المختصر المفيد للمسلم

المختصر المفيد للمسلم

મુસલમાન ભાઈઓ માટે ઉપયોગી વાતો.

Language: lang_gu
Prepared by:
Version: 1.0
Translations 45
Assamese Azerbaijani Bulgarian Bambara +41
Attachments 7
PDF
Audio
Video
+3

મુસલમાન ભાઈઓ માટે ઉપયોગી વાતો.

શરૂ અલ્લાહના નામથી, જે અત્યંત કૃપાળુ અને દયાળુ છે

પ્રસ્તાવના

દરેક પ્રકારની પ્રશંસા તે અલ્લાહ માટે જ છે, જે સમગ્ર સૃષ્ટિનો પાલનહાર છે, દરૂદ અને સલામતી ઉતરે દરેક પયગંબરો અને નબીઓ પર, તેમજ આપણા નબી મુહમ્મદ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ પર, તેમના પરિવારના લોકો તેમજ તેમના દરેક સહાબાઓ પર.

ત્યાર પછી:

માનવીઓ માટે અલ્લાહની ભવ્ય નેઅમતો માંથી એક નેઅમત એ કે તેણે આપણને ઇસ્લામ જેવો દીન આપી ઉપકાર કર્યો, અને તેના પર અડગ રાખ્યા, તેના આદેશો પર અમલ કરવાની તૌફીક આપી, આ કિતાબ દ્વારા સંક્ષિપ્ત રૂપમાં એક મુસલમાન તે સિદ્ધાંતોને શીખે છે, જેના દ્વારા તેનો દીન કાયમ રહે, જે તેના માટે આ મહાન દીનની વિશેષતાઓ સ્પષ્ટ કરે છે; જેથી તે પોતાના પાલનહાર, ઇસ્લામ દીન અને તેના નબી મુહમ્મદ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ વિષે તેની માહિતીમાં વધારો થાય, જેથી તે હિકમત અને જ્ઞાન સાથે અલ્લાહની ઈબાદત કરે.

માનવીઓના સર્જનની હિકમત

અલ્લાહ તઆલાએ આપણને એક મહાન હેતુ માટે પેદા કર્યા છે, તે એ કે ફક્ત તેની જ ઈબાદત કરવામાં આવે અને તેની સાથે કોઈને ભાગીદાર ઠેરવવામાં ન આવે, જેમ કે પવિત્ર અલ્લાહએ કહ્યું: {મેં જિન્નાત અને માનવીઓને ફકત એટલા માટે જ પેદા કર્યા છે કે તેઓ ફકત મારી જ બંદગી કરે} [અઝ્ ઝારિયાત: ૫૬] અર્થાત્: તેઓ ઈબાદતને ફક્ત તેના માટે જ ખાસ કરે અને તેની સાથે કોઈને ભાગીદાર ન ઠેરવે. આ મહાન હેતુની આસપાસ જ આ દુનિયામાં આપણા દરેક કાર્યો અને ઉદ્દેશ્યો ફરે છે, પવિત્ર અલ્લાહએ કહ્યું: {શું તમે એવું માનો છો કે અમે તમારું સર્જન બેકાર જ કર્યું છે અને એ કે તમે અમારી તરફ પાછા નહીં આવો? * અલ્લાહ તઆલા સાચો બાદશાહ છે, તે ઘણો જ ઉચ્ચ છે, તેના સિવાય કોઈ ઇલાહ નથી, તે જ પ્રતિષ્ઠિત, અર્શનો માલિક છે}. [અલ્ મુઅમિનૂન: ૧૧૫-૧૧૬].

મારો પાલનહાર અલ્લાહ છે

અલ્લાહ તઆલાએ કહ્યું: {હે લોકો! પોતાના તે પાલનહારની બંદગી કરો, જેણે તમને પણ પેદા કર્યા અને તમારા પહેલાના લોકોને પણ, (અને તેની ઈબાદત એટલા માટે કરો) કે તમે પરહેજગાર બની શકો}. [અલ બકરહ: ૨૧].

બોજી એક જગ્યાએ ઉચ્ચ અલ્લાહએ કહ્યું: {તે જ અલ્લાહ છે, જેના સિવાય કોઇ ઇલાહ નથી} [અલ્ હશ્ર: ૨૨].

એવી જ રીતે અલ્લાહ તઆલાએ કહ્યું: {તેના જેવી કોઇ વસ્તુ નથી, તે જ છે, જે દરેક વાત સાંભળે છે અને બધું જ જુએ છે}. [અશ્ શૂરા: ૧૧].

અલ્લાહ જ મારો અને દરેક વસ્તુઓનો પાલનહાર છે, તે જ માલિક, તે જ પેદા કરનાર, તે જ રોજી આપનાર અને તે જ દરેક વસ્તુઓની વ્યવસ્થા કરવાવાળો છે.

અને તે એકલો જ ઈબાદતને લાયક છે, તેના સિવાય કોઈ પાલનહાર નથી અને તેના સિવાય બીજો કોઈ ઇલાહ નથી.

તેના માટે દરેક સારા નામ છે, દરેક ઉચ્ચ ગુણો તેના માટે છે, જે તેણે પોતાના માટે સાબિત કર્યા અને જે ગુણોને નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ સાબિત કર્યા છે, તે ગુણો સંપૂર્ણતા અને સુંદરતાની અંતિમ સીમા સુધી પહોંચી ગયા છે, તેના જેવી બીજી કોઈ વસ્તુ નથી, તે સાંભળવાવાળો અને જોવાવાળો છે.

તેના પવિત્ર નામો માંથી:

અર્ રઝ્ઝાક  (ખૂબ રોજી આપનાર), અર્ રહમાન (અત્યંત કૃપાળુ), અલ્ કદીર (અત્યંત બળવાન), અલ્ મલિક (બાદશાહ), અસ્ સમીઅ (બધું જ સાંભળવાવાળો), અસ્ સલામ  (દરેક પ્રકારની ખામી તેમજ અવગુણથી સુરક્ષિત), અલ્ બસીર (બધું જ જોવાવાળો), અલ્ વકીલ  (કારસાજ, કામકાજની વ્યવસ્થા કરનાર), અલ્ ખાલિક (સર્જક, પેદા કરવાવાળો), અલ્ લતીફ (સૂક્ષ્મદર્શી), અલ્ કાફી (પૂરતો, કિફાયતી), અલ્ ગફૂર (માફ કરનાર).

અર્ રઝ્ઝાક: જે બંદાઓની રોજીનું ધ્યાન રાખતો હોય, જેના કારણે તેમના દિલો અને તેમના શરીરોને શક્તિ મળે છે.

અર્ રહમાન: વિશાળ અને ભવ્ય રહેમતો વાળો, જે દરેક વસ્તુ પર ફેલાયેલી છે.

અલ્ કદીર: સંપૂર્ણ શક્તિ ધરાવનાર, જેને કોઈ આજીજ ન કરી શકે અને ન તો કમજોર કરી શકે છે.

અલ્ મલિક: તે, જેની મહાનતા અને તાબેદારી અને વ્યવસ્થાના ગુણો વર્ણન કરવામાં આવે, જે દરેક વસ્તુમાં ફેરફાર કરવાનો અધિકાર ધરાવનાર હોય.

અસ્ સમીઅ: જે દરેક ગુપ્ત અને જાહેર અવાજ સાંભળે છે, અને તેના બંદાઓની દુઆઓ અને તેમની આજીજીને સાંભળે છે.

અસ્ સલામ: દરેક કમી, મુસીબત અને ખામીથી મુક્ત.

અલ્ બસીર: જેણે દરેક વસ્તુને પોતાના ઘેરાવમાં લઈ રાખી છે, ભલેને તે નાનામાં નાની વસ્તુ હોય, દરેક છુપાયેલી વસ્તુને પણ ખૂબ સારી રીતે જોઈ શકે છે.

અલ્ વકીલ: પોતાના સર્જનની રોજીનો જવાબદાર, તેમના ફાયદાઓની દેખરેખ કરનાર, અને જે તેના વલીઓ સંભાળે છે, તેમને સરળ બનાવનાર અને તેમના કાર્યોનો જવાબદાર.

અલ્ ખાલિક : કોઈ ઉપમા અને ઉદાહરણ વગર દરેક વસ્તુઓનો સર્જક અને ઉત્પત્તિકર્તા.

અલ્ લતીફ: જે પોતાના બંદોઓની ઇઝ્ઝત કરે છે, તેમના પર રહેમ કરે છે અને તેમના સવાલ કરવા પર તેમને આપે છે.

અલ્ કાફી: જે દરેકે જરૂરતમંદની જરૂરતોને પુરી કરતો હોય, ફક્ત તેની જ મદદ પૂરતી થઈ જાય અને જેને બીજા કોઈની જરૂરત ન હોય.

અલ્ ગફૂર: તે જે બંદાઓને ગુનાહોની બુરાઈથી પોતાના બંદોઓને બચાવે અને તેના પર તેમની પકડ ન કરે.

મારા નબી મુહમ્મદ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ

ઉચ્ચ અલ્લાહએ કહ્યું: {(લોકો) તમારી પાસે એક એવા પયગંબર આવ્યા છે, જે તમારા માંથી જ છે, જો તમને કોઈ તકલીફ પહોચે તો તેને સારું નથી લાગતું, જે તમારા ફાયદા માટે ઘણા ઇચ્છુક હોય છે, મોમિનો માટે ખૂબ જ દયાળુ અને માયાળુ છે}. [અત્ તૌબા: ૧૨૮].

એવી જ રીતે ઉચ્ચ અલ્લાહએ કહ્યું: {અને અમે તમને સૃષ્ટિના લોકો માટે દયાળુ બનાવીને જ મોકલ્યા છે}. [અલ્ અન્બિયા: ૧૦૭].

દયાળુ અને માર્ગદર્શક મુહમ્મદ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ:

તેઓ મુહમ્મદ બિન્ અબ્દુલ્લાહ બિન્ અબ્દુલ્ મુત્તલિબ બિન્ હાશિમ છે. અને હાશિમ કુરૈશ માંથી છે, અને કુરૈશ અરબના લોકો માંથી છે.

આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમની માતા: આમિનહ બિન્તે વહબ, અને દૂધ પીવડાવનાર: હલીમા સઅદિયહ, આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ અગિયાર પત્નીઓ સાથે લગ્ન કર્યા, અને જ્યારે આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ મૃત્યુ પામ્યા ત્યારે તેમાંથી નવ જીવંત હતી.

નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમને સાત સંતાન હતા, ત્રણ પુત્રો અને ચાર પુત્રીઓ, તેમના પુત્રો નીચે મુજબ છે: ક઼ાસિમ, અબ્દુલ્લાહ અને ઇબ્રાહિમ, અને પુત્રીઓ આ પ્રમાણે છે: ઝૈનબ, રૂક઼ય્યા, ઉમ્મે કુલ્ષૂમ અને ફાતિમહ.

જે આદેશો તે આપે તેનું અનુસરણ કરવામાં આવે, અને જે જણાવે તેના પર ઈમાન ધરવામાં આવે, અને જે વાતોથી તે રોકે તેનાથી બચવામાં આવે, અને અલ્લાહની ઈબાદત તેમના વર્ણવેલ તરીકા મુજબ કરવામાં આવે, તે સિવાય કોઈ પણ તરીકા પ્રમાણે ઈબાદત કરવામાં ન આવે.

તેમનો સંદેશ અને તેમના પહેલાના દરેક પયગંબરોનો સંદેશો એ જ હતો કે લોકોને એક અલ્લાહની ઈબાદત તરફ બોલાવવા અને તેની સાથે કોઈને ભાગીદાર ઠેરવવાથી રોકવા, ઉચ્ચ અલ્લાહએ કહ્યું: {તમારા કરતા પહેલા અમે જેટલા પયગંબરો મોકલ્યા, તેની તરફ આ જ વહી કરવામાં આવતી કે મારા સિવાય કોઈ સાચો ઇલાહ નથી, બસ! તમે સૌ મારી જ બંદગી કરો}. [અલ્ અન્બિયા: ૨૫].

આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ પયગંબરોની શ્રુંખલામાં અંતિમ પયગંબર છે, જેમ કે અલ્લાહ તઆલાએ કહ્યું: {(હે લોકો!) કોઇ પુરુષના પિતા મુહમ્મદ નથી, પરંતુ મુહમ્મદ ﷺ ફક્ત અલ્લાહના પયગંબર છે અને ખાતમુન્ નબીય્યીન્ (પયગંબરોમાં છેલ્લા નબી) છે અને અલ્લાહ તઆલા દરેક વસ્તુને સારી રીતે જાણે છે}. [અલ્ અહઝાબ: ૪૦].

અલ્લાહ તઆલાએ તેમને ઇસ્લામ દીન આપી સમગ્ર માનવજાતિ માટે મોકલ્યા, જેમકે ઉચ્ચ અલ્લાહએ કહ્યું: {અમે તમને દરેક લોકો માટે ખુશખબર આપનાર અને સચેત કરનાર બનાવી મોકલ્યા, પરંતુ વધારે પડતા લોકો જાણતા નથી}. [સબા: ૨૮].

એવી જ રીતે દરેક મુસલમાન પર આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમના ભવ્ય હકો છે તેમાંથી:

૧- આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમની નબુવ્વત, સત્યતા અને આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ દ્વારા લાવવામાં આવેલ મહાન શરીઅતના સુરક્ષિત હોવા પર ઈમાન લાવવું, અને તેમાં આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમનું અનુસરણ અને પાલન કરવું, અલ્લાહ તઆલાએ કહ્યું {તેઓ પોતાની ઇચ્છા પ્રમાણે કોઇ વાત નથી કરતા. * જે કઈ તેઓ કહે છે, તે વહી હોય છે, જે તેમના પર ઉતારવામાં આવે છે}. [અન્ નજમ: ૩-૪].

૨- આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ સાથે મોહબ્બત કરવી અને તેમની મોહબ્બતને પોતાની સંતાન અને દરેક સર્જનીઓની મોહબ્બત પર પ્રાથમિકતા આપવી, અને આ મોહબ્બતનો અર્થ એ છે કે નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમના માર્ગદર્શનથી પ્રસન્ન થવું અને આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમના આદેશોનું પાલન કરવું અને જેનાથી રોકે તેનાથી બચવું.

૩- આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમનો આદર, તેમની મદદ, તેમની મહાનતાનો આદર કરવો જરૂરી છે.

૪- આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ પર દરૂદ મોકલવામાં આવે, જે આ છે: આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમની પ્રશંસા કરવી અને અલ્લાહ પાસે દુઆ કરવી કે તે આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમનો ઝિક્ર બુલંદ કરે અને આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમની ઇઝ્ઝત અને મહાનતામાં વધારો કરે. આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ કહ્યું: «જે વ્યક્તિ માર પર એક વખત દરૂદ મોકલે છે, તેનાં પર દસ વખત રહેમતો ઉતારવામાં આવે છે» આ હદીષને ઇમામ મુસ્લિમ રહિમહુલ્લાહએ રિવાયત કરી છે.

૫- આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ વિષે ગુલુ કરવાથી અને અલ્લાહએ આપેલા દરજ્જાથી તેમને ઊંચા કરવાથી રોકવામાં આવ્યા છે; કારણકે નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ આ વિષે સખત ચેતવણી આપી છે, જેમકે આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ કહ્યું: «તમે લોકો મારા અને મારી પ્રસંશા બાબતે એટલો વધારો ન કરો જેટલો ઈસાઈઓએ મરીયમના પુત્ર વિષે કર્યો, હું તો ફક્ત તેનો બંદો છું, એટલા માટે તમે મને અલ્લાહના બંદો અને તેનો પયગંબર કહો». (આ હદીષને ઇમામ બુખારી રહિમહુલ્લાહએ રિવાયત કરી છે).

આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમના ગુણો:

સાચા, દયાળુ, સહનશીલ, ધીરજ રાખનાર, બહાદુર, દાનવીર, સારા અખલાક ધરાવનાર, ન્યાયી, આજીજી દાખવનાર અને દરગુજર કરનાર.

અલ્ કુરઆનુલ્ કરીમ: મારા પાલનહારની વાણી

અલ્લાહ તઆલાએ કહ્યું: {હે લોકો! તમારી પાસે તમારા પાલનહાર તરફથી સ્પષ્ટ દલીલ આવી ગઈ છે અને અમે તમારી તરફ સ્પષ્ટ અને ખુલ્લો માર્ગ બતાવનાર પ્રકાશ (કુરઆન મજીદ) ઉતાર્યું છે} . [અન્ નિસા: ૧૭૪].

કુરઆન કરીમ અલ્લાહ તઆલાની વાણી છે, જે તેણે હકીકતમાં પોતાના પયગંબર મુહમ્મદ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ પર ઉતાર્યું છે, જેથી તે લોકોને અંધકાર માંથી કાઢી પ્રકાશ તરફ માર્ગદર્શન આપે અને તેમને સત્ય માર્ગ તરફ માર્ગદર્શન આપે. જે વ્યક્તિ તેને પઢશે, તેના માટે ભવ્ય સવાબ છે અને જે વ્યક્તિ તેના પર અમલ કરશે, તે મજબૂત અને સચોટ માર્ગ પર હશે. અબ્દુલ્લાહ બિન મસ્ઊદ રઝી અલ્લાહુ અન્હુ રિવાયત કરે છે, તેમણે કહ્યું: નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ કહ્યું: «જે વ્યક્તિ અલ્લાહની કિતાબ માંથી એક હરફ (શબ્દ) પઢશે, તો તેના માટે એક નેકી છે, અને એક નેકી દસ નેકીઓ બરાબર છે, હું એમ નથી કહેતો કે (અલિફ, લામ, મિમ) એક હરફ છે, પરંતુ અલિફ એક હરફ છે, લામ એક હરફ છે અને મિમ એક હરફ છે». આ હદીષને ઈમામ તિર્મિઝી રહિમહુલ્લાહએ વર્ણન કરી છે.

અલ્લાહ તઆલાએ તેને ફેરફાર અને વિકૃતિથી સુરક્ષિત રાખ્યું અને તેને કયામત સુધી એક કાયમી નિશાની બનાવી દીધી, પવિત્ર અલ્લાહએ કહ્યું: {ખરેખર અમે જ આ કુરઆનને ઉતાર્યું છે અને અમે જ તેની સુરક્ષા કરનાર છે}. [અલ્ હિજર: ૯]. તેથી જે કોઈ પણ દાવો કરે કે કુરઆન અધૂરું છે અથવા તેમાં ફેરફાર કરવામાં આવ્યો છે, તો તેણે અલ્લાહ તઆલા અને તેના પયગંબર સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમને જુઠલાવ્યા અને તે ઇસ્લામ ધર્મ માંથી બહાર નીકળી જશે.

અને કુરઆન મજીદમાં તે જ આદેશો છે, જે પાછળની કિતાબોમાં હતા, પરંતુ તેમાં ઈલાહી આદેશો અને નૈતિકતાનો વધારો છે, અને તે કિતાબોમાં જે સત્ય હતું તેની પુષ્ટિ કરે છે, અને હાલ કુરઆન સિવાય અલ્લાહ તઆલા તરફથી એવી કોઈ કિતાબ નથી જેનું અનુસરણ, તેનું સન્માન, તેનું પઠન દ્વારા ઇબાદત કરવામાં આવે અને તેના પર અમલ કરવામાં આવે.

મારો દીન ઇસ્લામ

દીનના ત્રણ દરજ્જા છે: ઇસ્લામ, ઈમાન અને એહસાન.

પ્રથમ દરજ્જો: ઇસ્લામ

ઇસ્લામ તે છે: અલ્લાહની તોહીદનો સ્વીકાર કરવો અને અલ્લાહ સમક્ષ માથું જુકાવી દેવું, આજ્ઞાકારી બની તેનો આદેશ માની લેવો અને શિર્ક અને શિર્ક કરવાવાળાઓના માર્ગથી દૂર રહેવું.

ઇસ્લામના અરકાન (સ્તંભો)

અલ્લાહના પયગંબર સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ કહ્યું: «ઇસ્લામના પાંચ (સ્તંભો) છે, સાક્ષી આપવી કે અલ્લાહ સિવાય કોઈ ઈબાદતને લાયક નથી અને મુહમ્મદ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ અલ્લાહના પયગંબર છે, નમાઝ કાયમ કરવી, ઝકાત આપવી, રમઝાન રોઝા રાખવા, અને બૈતુલ્લાહની હજ કરવી». મુત્તફકુન અલૈહ (અર્થાત્ આ હદીષને ઈમામ બુખારી રહિમહુલ્લાહ અને ઈમામ મુસ્લિમ રહિમહુલ્લાહએ રિવાયત કરી છે).

ઇસ્લામના પાંચેય અરકાન ઈબાદત છે, દરેક મુસલમાન માટે અનિવાર્ય છે, જો કોઈ વ્યક્તિ આ પાંચેય અરકાનને જરૂરી ન સમજે અને તેના પર અમલ ન કરે, તો તેનો ઇસ્લામ દીન માન્ય નહીં ગણાય; કારણકે આ પાંચેય પર તો ઇસ્લામનો આધાર છે, એટલા માટે તો તેને ઇસ્લામના સ્તભો કહેવામાં આવે છે.

અને તે અરકાન (સ્તંભો) નીચે પ્રમાણે છે:

પહેલો સ્તંભ: ગવાહી આપવી કે અલ્લાહ સિવાય કોઈ ઈબાદતને લાયક નથી અને મુહમ્મદ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ અલ્લાહના પયગંબર છે.

અલ્લાહ તઆલાએ કહ્યું: {તો (હે પયગંબર) તમે જાણી લો કે અલ્લાહ સિવાય કોઇ બંદગીને લાયક નથી} [મુહમ્મદ: ૧૯].

બીજી એક જગ્યાએ ઉચ્ચ અલ્લાહએ કહ્યું: {(લોકો) તમારી પાસે એક એવા પયગંબર આવ્યા છે, જે તમારા માંથી જ છે, જો તમને કોઈ તકલીફ પહોચે તો તેને સારું નથી લાગતું, જે તમારા ફાયદા માટે ઘણા ઇચ્છુક હોય છે, મોમિનો માટે ખૂબ જ દયાળુ અને માયાળુ છે}. [અત્ તૌબા: ૧૨૮].

અલ્લાહ સિવાય કોઈ ઈબાદતને લાયક નથી સાક્ષીનો અર્થ: અલ્લાહ સિવાય કોઈ સાચો મઅબૂદ (પૂજ્ય) નથી.

મુહમ્મદ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ અલ્લાહના પયગંબર છે, તેનો અર્થ: જે વાતનો આદેશ આપે, તેનું અનુસરણ કરવું અને તેમણે જણાવેલ વાતોની પુષ્ટિ કરવી, અને જે વાતોથી સચેત કરે અથવા રોકે, તેનાથી બચવું, ફક્ત તેમણે વર્ણવેલ નિયમ પ્રમાણે જ અલ્લાહની બંદગી કરવામાં આવશે.

બીજો સ્તંભ: નમાઝ કાયમ કરવી.

અલ્લાહ તઆલાએ કહ્યું: {તમે નમાજ કાયમ કરો} [અલ્ બકરહ: ૧૧૦].

નમાઝ કાયમ કરવી, તેને તે જ પ્રમાણે પઢવામાં આવે જે રીતે અલ્લાહએ વર્ણન કરી છે અને જે પ્રમાણે મુહમ્મદ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ શીખવાડી છે.

ત્રીજો સ્તંભ: ઝકાત આપવી.

અલ્લાહ તઆલાએ કહ્યું: {ઝકાત આપો} [અલ્ બકરહ: ૧૧૦].

અલ્લાહ તઆલાએ સાચા મુસલમાનના ઇમાનની કસોટી કરવા, પોતાનો પાલનહારનો આભાર વ્યક્ત કરવા ઝકાત ફર્ઝ કરી છે, જેણે માલની ભવ્ય નેઅમત આપી તેના પર ઉપકાર કર્યો, અને ફકીરો અને લાચાર વ્યક્તિની મદદ કરવા માટે, જકાત અનિવાર્ય કરી છે.

અને ઝકાત, જેનો અધિકાર છે, તેને જ આપવી જોઈએ.

તે માલનો એક જરૂરી હક છે, જ્યારે માલ નક્કી કરેલ ગણતરી સુધી પહોંચી જાય, તો આઠ પ્રકારના લોકોને આ માલ આપવામાં આવશે, જેનું વર્ણન અલ્લાહએ કુરઆન મજીદમાં કર્યું છે, તેમના માંથી ફકીર અને લાચાર વ્યક્તિ પણ છે.

ઝકાત આપવી, રહેમત અને દયા કરવાની નિશાની છે, જે એક મુસલમાનના અખલાક અને માલની પવિત્રતા તેમજ લાચાર અને ફકીર લોકોને રાહત પહોંચાડવાનું કારણ છે, અને મુસ્લિમ વર્ગના લોકોમાં મોહબ્બત અને ભાઈચારાને ફેલાવવા માટે મજબૂત સ્ત્રોત છે, એટલા માટે જ એક ઠોસ સદાચારી મુસલમાન તેને સારી રીતે અને ખુશી ખુશી અદા કરે છે, પોતાને પવિત્ર કરવા માટે, અને એટલા માટે પણ તે ઝકાત આપે છે કે બીજા લોકોને પણ ખુશી મળે છે.

સંગ્રહિત કરેલા માલમાં ઝકાતનું પ્રમાણ અઢી ટકા લેખે નક્કી છે, સોનું, ચાંદી, રોક્કડ રૂપિયા, એવા વેપારનો સામાન, જે ફાયદા માટે ખરીદ્યો હોય, જ્યારે નક્કી કરેલ કિંમત સુધી રૂપિયા પહોંચી જાય તો પછી સુન્નત પ્રમાણે તે માલ માંથી જકાત આપવી અનિવાર્ય છે.

એવી જ રીતે બહીમતુલ્ અન્આમ અર્થાત્ ઢોર (ઊંટ, ગાય અને બકરી)માં પણ જકાત આપવી જરૂરી છે, જ્યારે તેની સંખ્યા ચોક્કસ પ્રમાણ સુધી પહોંચી જાય, અને જ્યારે કે તેનો માલિક એક વર્ષથી વધારે જમીનના ઉત્પાદન માંથી ખવડાવે.

એવી જ રીતે જમીન માંથી નીકળતી વસ્તુઓ જેવી કે રિકાઝ - એટલે અજ્ઞાનતાના સમયે દફનાવેલો ખજાનો -, એવી જ રીતે દાણા, ફળો અને ધાતુઓ પર પણ ઝકાત અનિવાર્ય છે, જ્યારે તે ચોક્કસ પ્રમાણ સુધી પહોંચી જાય.

ચોથું સ્તંભ: રમઝાન મહિનાના રોઝા રાખવા.

અલ્લાહ તઆલાએ કહ્યું: {હે ઇમાનવાળાઓ! તમારા પર રોઝા રાખવા જરૂરી કરી દેવામાં આવ્યા છે, જેવી રીતે તમારા પહેલાના લોકો પર જરૂરી કરી દેવામાં આવ્યા હતા, જેથી તમે ડરવાવાળા બની જાઓ}. [અલ્ બકરહ: ૧૧૦].

રમજાન: તે હિજરી સનનો નવમો મહિનો છે, અને તે મુસલમાનો પાસે પવિત્ર મહિનો છે, અને આ મહિનાનું એક ખાસ મહત્વ છે બીજા મહિનાઓ કરતા, અને આ સંપૂર્ણ મહિનાના રોજા રાખવા ઈસ્લામના પાંચ સ્તંભો માથી એક છે.

રમજાન માસના રોજા: એક પ્રકારની ઈબાદત છે, જેમાં ખાવા, પીવા અને સંભોગ કરવાથી રુકી જવામાં આવે છે, અને તે દરેક વસ્તુઓ જે ફજરથી મગરિબ સુધી જે રોજાને તોડવાનું કારણ બને છે, તેનાથી રમજાન મહિનામાં બચવું.

પાંચમો સ્તંભ: અલ્લાહના પવિત્ર ઘરની હજ કરવી.

અલ્લાહ તઆલાએ કહ્યું: {અને લોકો પર અલ્લાહ તઆલાનો હક એ છે કે જે વ્યક્તિ તેના ઘર સુધી પહોંચી શકતો હોય તે આ ઘરનો હજ કરે}. [આલિ ઇમરાન: ૯૭].

હજ કરવાની શક્તિ ધરાવનાર પર જીવનમાં એક વખત જરૂરી છે, હજ: બૈતુલ હરામ (અલ્લાહના પવિત્ર ઘર), અને પવિત્ર મક્કહ શહેરની પવિત્ર જગ્યાઓ તરફ ઈબાદત કરવાના હેતુથી એક નક્કી સમયમાં સફર કરવામાં આવે, અને ખરેખર નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ હજ કરી અને બીજા નબીઓએ પણ હજ કરી, અલ્લાહએ ઈબ્રાહીમ અલૈહિસ્ સલામને આદેશ આપ્યો કે તેઓ લોકોને હજ માટે આવાજ લગાવે, જેમકે પવિત્ર અલ્લાહએ કુરઆનમાં કહ્યું: {અને લોકોને હજ્જનો આદેશ આપી દો કે તેઓ તમારી પાસે દૂર દૂરથી ચાલીને અને પાતળા ઊંટો પર પણ સવાર થઇ આવે}. [અલ્ હજ્જ: ૨૭].

બીજો દરજ્જો: ઈમાન

ઇમાન: તે દરેક બાબતોનો એકરાર અને પુષ્ટિ, તેમજ અલ્લાહ અને તેના પયગંબરે ઈમાન લાવવા અને બાહ્ય તેમજ આંતરિક રીતે આત્મસમર્પણ કરવાનો આદેશ આપ્યો છે, તે દિલની પુષ્ટિ અને એવો અકીદો છે જેમાં દિલના અને અંગોના કાર્યોનો સમાવેશ થાય છે, તેમાં સંપૂર્ણ દીન પર કાયમ રહેવાનો સમાવેશ થાય છે, જે અનુસરણ કરવાથી વધે છે અને અવજ્ઞા કરવાથી ઘટે છે.

ઇમાનના સિદ્ધાંતો

નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમને ઈમાનના સિદ્ધાંતો વિશે સવાલ કરવામાં આવ્યો, તો આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ કહ્યું: «ઈમાન તે છે કે તમે અલ્લાહ પર, તેના ફરિશ્તાઓ પર, તેની કિતાબો પર, તેના પયગંબરો પર, કયામતના દિવસ પર અને તકદીરના સારા અથવા ખરાબ હોવા પર ઈમાન લાવો».

ઈમાનના અરકાન એ આંતરિક ઈબાદત છે, જે દરેક મુસલમાન માટે જરૂરી છે, કોઈ પણ વ્યક્તિનો ઇસ્લામ ત્યાં સુધી માન્ય નહીં ગણાય જ્યાં સુધી તે તેના પર ઈમાન ન લાવે અને તેના પ્રમાણે અમલ ન કરે, એટલા માટે તો તેને ઈમાનનના સિદ્ધાંતો કહેવામાં આવે છે. ઈસ્લામના અરકાન અને ઈમાનના અરકાન બંને વચ્ચે તફાવત: ઈસ્લામના અરકાનને માનવી પોતાના શરીરના અંગો વડે અદા કરે છે જેમકે બંને ગવાહીઓ નમાઝ, જકાત, અને ઈમાનના અરકાનને માનવી પોતાના દિલ વડે માને છે જેમકે: અલ્લાહ પર ઈમાન, તેના ફરિશ્તાઓ, તેની કિતાબો અને તેના પયગંબરો પર.

પહેલો સિદ્ધાંત : અલ્લાહ પર ઈમાન

ઉચ્ચ અલ્લાહએ કહ્યું: {ઈમાનવાળાઓ તે જ છે, જેઓ અલ્લાહ તઆલા પર ઈમાન રાખે છે}. [અન્ નૂર: ૬૨].

અમે અલ્લાહના અસ્તિત્વ પર ઈમાન ધરાવીએ છીએ, તેની રુબૂબિય્યત, ઉલૂહિય્યત, અને અસ્મા વ સિફાતમાં તેના એકલા હોવાનો અકીદો રાખીએ છીએ, અને અલ્લાહ પર ઈમાનમાં નીચેની બાબતોનો સમાવેશ થાય છે:

- પવિત્ર અલ્લાહના અસ્તિત્વ પર ઈમાન.

- સર્જકોનું સર્જન કરવામાં અલ્લાહ એકલો છે, તે વાત પર ઈમાન, અને તે દરેક વસ્તુઓનો માલિક, સર્જનહાર, રોજી આપનાર, અને દરેક કાર્યોનો વ્યવસ્થાપક છે.

- ફક્ત અલ્લાહ જ ઈબાદત ને લાયક છે, તેનો કોઈ પણ વસ્તુમાં તેનો કોઈ ભાગીદાર નથી જેમાથી: નમાઝ, દુઆ, નઝર, કુરબાની, મદદ માંગવી, આશરો માંગવો, અને દરેક પ્રકારની ઈબાદતોમાં.

- અલ્લાહના પવિત્ર નામો અને ગુણો પર ઈમાન, જે તેણે પોતાના માટે સાબિત કર્યા છે અને જે તેના નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ સાબિત કર્યા છે, અને તેના નામો અને ગુણોમાં જેનો તેણે પોતાના માટે ઈન્કાર કર્યો છે અને જેનો નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ ઈન્કાર કર્યો છે, અને તેના નામો અને ગુણો કમાલ અને સુંદરતાની છેલ્લી સીમા સુધી પહોંચી ગયા છે, તેના જેવું બીજું કોઈ નથી, તે સાંભળવાવાળો અને જોવાવાળો છે.

બીજો સિદ્ધાંત: ફરિશ્તાઓ પર ઈમાન.

અલ્લાહ તઆલાએ કહ્યું: {દરેક પ્રકારની પ્રશંસા તે અલ્લાહ માટે જ છે, જેણે આકાશો અને ધરતીનું સર્જન કર્યું, જે ફરિશ્તાઓને સંદેશાવાહક બનાવનાર છે, જેમના બે-બે ત્રણ-ત્રણ અને ચાર ચાર પાંખો છે, તે પોતાના સર્જનમાં જેવી રીતે ઇચ્છે વધારો કરે છે, નિ:શંક અલ્લાહ તઆલા દરેક વસ્તુ પર કુદરત ધરાવે છે}. [અલ્ ફાતિર: ૧].

અમે ઈમાન રાખીએ છીએ કે ફરિશ્તાઓ એક ગૈબી (અદ્રશ્ય) દુનિયાના છે, અને ખરેખર તેઓ અલ્લાહના બંદાઓ છે, જેમને નૂર (પ્રકાશ) દ્વારા પેદા કરવામાં આવ્યા છે, અને તેમને પોતાનું અનુસરણ કરનારા બનાવ્યા છે.

તે એક મહાન સર્જન છે, જેમની શક્તિ અને સંખ્યા વિશે અલ્લાહ જ જાણે છે, અને તેમના ગુણો, નામો અને કાર્યો સોંપ્યા છે, જે અલ્લાહએ તેમના માટે ખાસ કર્યા છે, અને જિબ્રઇલ અલૈહિસ્ સલામ તેમાથી જ છે, જેમને અલ્લાહએ પોતાના પયગંબરો તરફ વહી ઉતારવા માટે જવાબદાર બનાવ્યા છે.

ત્રીજો સ: અલ્લાહની કિતાબો પર ઈમાન

અલ્લાહ તઆલાએ કહ્યું: {હે મુસલમાનો! તમે સૌ (કિતાબવાળાઓને) કહી દો કે અમે અલ્લાહ પર ઇમાન લાવ્યા અને તે વસ્તુ પર, જે અમારી તરફ અવતરિત કરવામાં આવ્યું છે અને તેના પર, જે ઈબ્રાહીમ, ઇસ્માઇલ, ઇસ્હાક, યાકુબ અને તેમની સંતાનો પર અવતરિત કરવામાં આવ્યું, અને તે હિદાયત પર પણ, જે કંઇ મૂસા, ઇસા અને બીજા પયગંબરો પર તેમના પાલનહાર તરફથી આપવામાં આવી હતી. અમે તે પયગંબરો માંથી કોઇ વચ્ચે તફાવત નથી કરતા અમે તો અલ્લાહના આજ્ઞાકારી છે}. [અલ્ બકરહ: ૧૩૬].

અમે ઈમાન ધરાવીએ છીએ કે અલ્લાહ તઆલાએ પોતાના પયગંબરો પર કિતાબો ઉતારી, જે સમગ્ર માનવજાતિ માટે એક દલીલ અને અમલ કરનારાઓ માટે સ્પષ્ટ માર્ગ છે.

તેમને હિકમત અને સમજદારી શીખવાડી અને તેમને પવિત્ર કર્યા .

નિઃશંક અલ્લાહએ પોતાના નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમને દરેક લોકો માટે મોકલ્યા, તેમની શરીઅત દ્વારા બીજી પાછળની શરીઅતોને રદ કરી દીધી, અને કુરઆનને દરેક આકાશી પુસ્તકમાં પ્રબળ, રદ કરવાવાળું બનાવ્યું, અને અલ્લાહએ સુનિશ્ચિત કર્યું છે કે કુરઆન કોઈપણ ફેરફાર અથવા વિકૃતિથી સુરક્ષિત છે, ખરેખર ઉચ્ચ અલ્લાહએ કહ્યું: {ખરેખર અમે જ આ કુરઆનને ઉતાર્યું છે અને અમે જ તેની સુરક્ષા કરનાર છે}. [અલ્ હિજર: ૯]. એટલા માટે કે કુરઆન અલ્લાહ તરફથી માનવીઓ માટે અંતિમ પુસ્તક છે, અને મુહમ્મદ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ અંતિમ પયગંબર છે, અને ઇસ્લામ ધર્મ, તે એવો ધર્મ છે, જેને અલ્લાહએ કયામત સુધી માનવજાત માટે મંજૂર કર્યો, ઉચ્ચ અલ્લાહએ કહ્યું: {નિંશંક અલ્લાહ તઆલાની નજીક દીન ઇસ્લામ જ છે} [આલિ ઇમરાન: ૧૯].

અને આકાશી પુસ્તકો જેનું વર્ણન અલ્લાહએ કર્યું, તે નીચે મુજબ છે:

પવિત્ર કુરઆન: જેને અલ્લાહએ પોતાના નબી મુહમ્મદ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ પર ઉતાર્યું.

તૌરાત: જેને અલ્લાહએ પોતાના પયગંબર મૂસા અલૈહિસ્ સલામ પર ઉતારી.

ઈન્જીલ: જેને અલ્લાહએ પોતાના પયગંબર ઈસા અલૈહિસ્ સલામ પરફ ઉતારી.

ઝબૂર: જેને અલ્લાહએ પોતાના પયગંબર દાવૂદ અલૈહિસ્ સલામ પર ઉતારી.

સુહુફે ઈબ્રાહીમ: જેને અલ્લાહ એ પોતાના પયગંબર ઈબ્રાહીમ અલૈહિસ્ સલામ પર ઉતારી.

ચોથો સિદ્ધાંત: અલ્લાહના પયગંબરો પર ઈમાન

ઉચ્ચ અલ્લાહએ કહ્યું: {અમે દરેક કોમમાં પયગંબર મોક્લ્યા, (જે તેમને આ જ વાત કહેતા હતા) કે અલ્લાહની ઈબાદત કરો, અને તાગૂતથી બચો}. [અન્ નહલ: ૩૬].

અમે ઈમાન રાખીએ છીએ કે અલ્લાહએ પોતાના સર્જન તરફ પયગંબરોને તે હેતુ સાથે મોકલ્યા કે તેઓ તેમને એક અલ્લાહની ઈબાદત તરફ બોલાવે, જેનો કોઈ ભાગીદાર નથી, અને તેના સિવાય જેની ઇબાદત કરવામાં આવે છે તેનો ઈન્કાર કરવો.

અને તે (પયગંબર) માનવી છે અને અલ્લાહના સેવકો છે, તેઓ સાચા અને સાચું બોલનાર, પરહેજગાર, અમાનતદાર, હિદાયત પામેલા માર્ગદર્શક છે, અલ્લાહએ તેમને નિશાનીઓ દ્વારા ટેકો આપ્યો, જે તેમની પ્રામાણિકતા વર્ણન કરે છે, અને અલ્લાહએ તેઓને જેની સાથે મોકલ્યા હતા તેઓએ તે પહોચાડી દીધું, અને તેઓ બધા સ્પષ્ટ હક અને યોગ્ય માર્ગદર્શન પર હતા.

અને તેઓની દાવત શરૂઆતથી લઈ અંત સુધી ફક્ત એક જ હતી, તે તૌહીદ કે અલ્લાહની ઇબાદત માં કોઈને ભાગીદાર ઠેરવવામાં ન આવે.

પાંચમો સિદ્ધાંત: આખિરતના દિવસ પર ઈમાન.

અલ્લાહ તઆલાએ કહ્યું: {અલ્લાહ સિવાય કોઈ ઇલાહ નથી, તે તમને સૌને ચોક્કસ કયામતના દિવસે ભેગા કરશે, જેના આવવામાં કોઇ શંકા નથી, અલ્લાહ તઆલા સિવાય સાચી વાત બીજો કોની હોઇ શકે છે?} [અન્ નિસા: ૮૭] .

આપણે આખિરતના દિવસ પર ઈમાન ધરાવીએ છીએ, જે કયામતનો દિવસ છે અને જેના પછી કોઈ દિવસ નથી, આપણે તેનાથી સંબંધિત દરેક બાબતોમાં ઈમાન ધરાવીએ છીએ, જેના વિશે આપણાં પાલનહારે પોતાની પવિત્ર કિતાબમાં જાણ કરી અથવા જેના વિશે આપણાં નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ જાણ કરી, જેમકે માનવીનું મૃત્યુ, મૃત્યુ પછી ફરી જીવિત થવું, કયામતના દિવસે ભેગા થવું, ભલામણ, ત્રાજવું, હિસાબ, જન્નત અને જહન્નમ, અને બીજી એવી બાબતો જે આખિરતના દિવસ સાથે જોડાયેલી છે.

છઠ્ઠો સિદ્ધાંત: સારી અને ખરાબ તકદીર પર ઈમાન

ઉચ્ચ અલ્લાહએ કહ્યું: {નિ:શંક અમે દરેક વસ્તુને એક અંદાજા પર પેદા કરી છે}. [અલ્ કમર: ૪૯].

અમે સારી અને ખરાબ બંને પ્રકારની તકદીર પર ઈમાન રાખીએ છીએ, જે સર્જનીઓ માટે અલ્લાહ તઆલાનો આદેશ છે, જેનું તે પહેલાથી જ્ઞાન ધરાવે છે, અને તેની હિકમત પ્રમાણે છે, આ દુનિયામાં સર્જન સાથે જે કઇ પણ થાય છે, તે ઉચ્ચ અલ્લાહના જ્ઞાન, આદેશ અને વ્યવસ્થા પ્રમાણે થાય છે, જેમાં તેનો કોઈ ભાગીદાર નથી, અને સર્જનની તકદીર તેમના પેદા થયા પહેલાથી અલ્લાહ પાસે લખાયેલી છે, નિઃશંક માનવી પાસે ઈરાદો અને ઈચ્છા છે અને તે કાર્યો કરે છે; પરંતુ આ બધું અલ્લાહના ઈલ્મ, ઈરાદા અને ઈચ્છા વગર નથી થતું.

તકદીર પર ઈમાન લાવવામાં ચાર બાબતોનો સમાવેશ થાય છે, જે નીચે મુજબ છે:

પ્રથમ: અલ્લાહના સર્વવ્યાપી જ્ઞાની હોવા પર ઈમાન

બીજું: કયામત સુધી જે કઇ પણ થશે, તે અલ્લાહ પાસે લખેલું છે તેના ઈમાન.

ત્રીજું: તે વાત પર ઈમાન કે અલ્લાહ કાર્યો કરવાની સંપૂર્ણ શક્તિ ધરાવે છે, તે જે ઈચ્છે છે, તે થાય છે અને જે નથી ઈચ્છતો તે નથી થતું.

ચોથું: તે વાત પર ઈમાન કે અલ્લાહ જ દરેક વસ્તુઓનો સર્જનહાર છે, તેના સર્જનમાં તેનું કોઈ ભાગીદાર નથી.

ત્રીજો મરતબો: અલ્ અહેસાન

એહસાન: તમે અલ્લાહની ઈબાદત એવી રીતે કરો કે તમે તેને જોઈ રહ્યા છો, અને જો તમે તેને જોઈ નથી શકતા, તો તે તો તમને જોઈ જ રહ્યો છે. ઉચ્ચ અલ્લાહએ કહ્યું: {નિ:શંક અલ્લાહ તઆલા પરહેજગારો અને સદાચારી લોકો સાથે છે}. [અન્ નહલ: ૧૨૮].

પાકી સફાઇના આદેશો

ઉચ્ચ અલ્લાહએ કહ્યું: {અલ્લાહ તઆલા તૌબા કરવાવાળાને અને પાક-સાફ રહેવાવાળાને પસંદ કરે છે}. [અલ બકરહ: ૨૨].

અલ્લાહના પયગંબર સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ કહ્યું: (જે વ્યક્તિએ એવી રીતે વઝૂ કર્યું, જે રીતે હું કરું છું, ફરી બે રકઅત નમાઝ પઢી, મનને પ્રચલિત કર્યા વગર, તો તેના પાછળના દરેક ગુનાહ માફ કરી દેવામાં આવે છે) આ હદીષને ઇમામ બુખારી રહિમહુલ્લાહએ રિવાયત કરી છે.

નમાઝની મહત્ત્વતા કે અલ્લાહએ તેના પહેલા પાકી-સફાઈનો આદેશ આપ્યો, અને તેને નમાઝના સહીહ હોવાની શરતો માથી એક શરત બનાવી, તે નમાઝની ચાવી છે તેના ગુણોની અનુભૂતિ કરવાથી હૃદય નમાઝ અદા કરવા ઉત્સુક બને છે, આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ કહ્યું: (સ્વચ્છતા ઈમાનનો એક ભાગ છે, અને અલ્ હમ્દુ લિલ્લાહ કહેવું, ત્રાજવાને ભરી દે છે, અને સુબ્હાનલ્લાહ અને અલ્ હમ્દુ લિલ્લાહ, તે બંને -અથવા તે બંને માંથી એક- આકાશ અને જમીન વચ્ચેની ખાલી જગ્યાને ભરી દે છે, નમાઝ એક પ્રકાશ છે, સદકો કરવો એક પુરાવો છે, સબર કરવી તે એક પ્રકારનો પ્રકાશ છે, અને કુરઆન તમારા હિતમાં અથવા તમારા વિરુદ્ધ એક દલીલ છે, દરેક વ્યક્તિ સવાર કરે છે, અને તે પોતાની જાતને વેચીને કાં તો તેને આઝાદ કરવાવાળો હોય છે અથવા તેને નષ્ટ કરવાવાળો હોય છે) આ હદીષને ઇમામ મુસ્લિમ રહિમહુલ્લાહએ રિવાયત કરી છે.

આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ કહ્યું: (જે વ્યક્તિ સારી રીતે વઝૂ કરે, તો તેના શરીર માંથી ગુનાહ નીકળી જાય છે, અહીં સુધી કે બન્ને નખની નીચેથી પણ નીકળી જાય છે) આ હદીષને ઇમામ મુસ્લિમ રહિમહુલ્લાહએ રિવાયત કરી છે.

તેથી માનવી પયગંબર સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમના આદેશ મુજબ નિખાલસતા સાથે આ ઈબાદત અપનાવી વઝૂ કરી, આત્મશુદ્ધિ અને આધ્યાત્મિક રીતે અલ્લાહ તરફ પાછો ફરે છે.

વઝૂ શા માટે જરૂરી છે?:

૧- સામાન્ય નમાઝ, ભલે તે અનિવાર્ય હોય કે નફિલ હોય.

૨- કાબાનો તવાફ.

૩- મુસ્હફ (કુરઆન) સ્પર્શ કરવા.

હું પાક પાણીથી વઝૂ અને સ્નાન કરું છું:

પાક પાણી: તે દરેક પાણી, જે આકાશમાંથી ઊતરે છે અથવા જમીન માથી નીકળે છે અને તેના મૂળ પર રહે છે અને તેના ત્રણ લક્ષણોમાં કોઈ ફેરફાર થયો ન હોય, તેનો રંગ, સ્વાદ, સુગંધ: અને તે વસ્તુ જે પાણીની શુદ્ધતા ખત્મ કરી દે છે.

વઝૂ કરવું

પ્રથમ તબક્કો ૧: નિયત, જેનું સ્થાન દિલમાં છે, નિયતનો અર્થ: અલ્લાહની નિકટતા પ્રાપ્ત કરવા ઈબાદત કરવાનો દિલમાં ઈરાદો કરવો.

બીજો તબક્કો ૨: હું કહું છું: બિસ્મિલ્લાહ.

ત્રીજો તબક્કો ૩: બંને હથેળીઓ ત્રણ વખત ધોવી.

ચોથો તબક્કો ૪: કોગળા કરવા, ત્રણ વખત.

કોગળા કરવા: મોઢામાં પાણી નાખી કોગળા કરવા કરવું.

પાંચમો તબક્કો ૫: નાકમાં પાણી લઇ જવું, પછી ત્રણ વાર નાક સાફ કરવું, અને નાકમાં પાણી લઇ જવું: નાકમાં અંત સુધી પાણી પહોંચાડવું.

નાકને ખંખેરવું: નાકને એવી રીતે ખંખેરવું કે જે કઇ પણ નાકમાં છે, તે કાઢી નાખવું.

છઠ્ઠો તબક્કો ૬: ચહેરો ધોવો, ત્રણ વખત.

ચહેરાની સીમા:

ચહેરો: જેને સામેથી જોઈ શકાય.

તેની પહોળાઈની સીમા: એક કાનેથી બીજા કાન સુધી.

તેની લંબાઈની સીમા: માથાના વાળ જ્યાંથી ઊગે છે, ત્યાંથી હડપચી સુધીનો ભાગ.

ચહેરો ધોવામાં દરેક નાના વાળનો સમાવેશ થાય છે, એવી જ રીતે તેમાં બયાઝ અને અઝારનો પણ સમાવેશ થાય છે.

બયાઝનો અર્થ: ગાલ બંને બાજુ કાનની બૂટ સુધી.

અઝારનો અર્થ: કલમથી લઈ કાનની પાછળ જ્યાં માથાના વાળ હોય છે, તે હાડકું.

એવી જ રીતે ચહેરો ધોવામાં તે દરેક વાળનો પણ સમાવેશ થાય છે જે દાઢીમાં સામેથી દેખાય છે.

સાતમો તબક્કો ૭: બંને હાથ ધોવા, જેની શરૂઆત બંને હાથની આંગળીઓ થી બંને હાથની કોણીઓ સુધી, ત્રણ વખત.

બંને કોણીઓને ધોવી બંને હાથ ધોવાના ફરજિયાતમાંથી છે.

આઠમો તબક્કો ૮: સંપૂર્ણ માથાનો બંને હાથ વડે એકવાર મસો કરવો, એવી જ રીતે બંને કાનનો પણ.

(મસો કરવાની) શરૂઆત માથાના આગળના ભાગથી લઇ છેલ્લા ભાગ સુધી, ફરી તેને ત્યાંથી પાછો લાવવો.

બંને કાનમાં બંને તર્જનીને નાખવી, અને તેના વિરુદ્ધ બંને અંગૂઠાને કાનની બહાર રાખવામાં આવે; એવી જ રીતે કાનના અંદર અને બહાર બંને ભાગ પર મસો કરવામાં આવે.

નવમો તબક્કો ૯: બંને પગ ધોવા, જેની શરૂઆત બંને પગની આંગળીઓ થી પગની ઘૂંટી સુધી, ત્રણ વખત, અને બંને ઘૂંટીઓ ધોવી, તે પગ ધોવાના ફરજિયાતમાંથી છે.

બંને ઘૂંટીઓ: પગના નીચેના ભાગમાં બંને બાજુ બહાર નીકળેલા હાડકાં.

દસમો તબક્કો ૧૦: મુસલમાન માટે સુન્નત તરીકો એ છે કે તે વઝૂ પછી આ દુઆ પઢે: "અશ્હદુ અલ્લા ઇલાહ ઇલ્લલ્લાહુ વહદહુ લા શરીક લહુ, વ અશ્હદુ અન્ન મુહમ્મદન્ અબ્દુહુ વ રસૂલુહ, અલ્લાહુમ્મજ્અલ્ની મિનત્તવ્વાબીન, વજ્અલ્ની મિનલ મુતતહ્હિરીન" (અર્થ: હું ગવાહી આપું છું કે અલ્લાહ સિવાય કોઈ સાચો ઇલાહ નથી, તે એકલો જ છે, તેનો કોઈ ભાગીદાર નથી, અને હું ગવાહી આપું છું કે મુહમ્મદ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ તેના બંદા અને પયગંબર છે, હે અલ્લાહ! મને ખૂબ તૌબા કરવાવાળાઓમાંથી બનાવી દે અને મને ખૂબ પાક-સાફ રહેનારાઓમાંથી બનાવી દે), કારણ કે નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ કહ્યું: (જે વ્યક્તિ સારી રીતે વઝૂ કરે, પછી કહે: "અશ્હદુ અલ્લા ઇલાહ ઇલ્લલ્લાહુ વહદહુ લા શરીક લહુ, વ અશ્હદુ અન્ન મુહમ્મદન્ અબ્દુહુ વ રસૂલુહ, અલ્લાહુમ્મજ્અલ્ની મિનત્તવ્વાબીન, વજ્અલ્ની મિનલ મુતતહ્હિરીન", તો તેના માટે જન્નતના આઠેય દરવાજા ખોલી દેવામાં આવે છે, તે જ્યાંથી ઈચ્છે પ્રવેશ કરી શકે છે). આ હદીષને ઈમામ તિર્મિઝી રહિમહુલ્લાહએ વર્ણન કરી છે.

નીચેની બાબતોના કારણે વુઝુ તૂટી જાય છે:

૧- બંને માર્ગમાંથી નીકળવાવાળી વસ્તુઓ, જેમકે મૂત્ર, મળ, હવા નીકળવી, વીર્ય, મઝી (જે મનેચ્છા અથવા લૈંગિક કલ્પનાઓ દરમિયાન નીકળતું સ્પષ્ટ અને ચીકણું પાણી).

૨- બુદ્ધિ જતી રહેવી, ગાઢ ઊંઘના કારણે, અથવા બેભાન થઈ જવાથી, અથવા નશો કરવાથી, અથવા પાગલ થઈ જવાથી.

૩- તે દરેક વસ્તુઓ જે ગુસ્લને ફરજિયાત કરી દે, જેમકે જનાબત, માસિક સ્રાવ, નિફાસ (બાળજન્મ પછી થાતો રક્તસ્ત્રાવ).

જ્યારે માનવી પોતાની જરૂરત પૂર્ણ કરે તો તેના પર જરૂરી છે કે ગંદકીને દૂર કરે, જો પવિત્ર પાણી દ્વારા કરે, તો તે શ્રેષ્ઠ છે, જો પાણી વગર કરે, તો તે ગંદકીને પથ્થર, પાંદડા, કાપડ વગેરે જેવી વસ્તુઓથી દૂર કરે, એવી જ રીતે તેને ત્રણ વખત અથવા તેનાથી વધુ પવિત્ર કરવાવાળી વસ્તુઓ દ્વારા અને પવિત્ર અને યોગ્ય વસ્ત્ય દ્વારા કરવામાં આવે.

ચામડાના મોજાં અને રૂના મોજાં પર મસો કરવો

ચામડાના મોજાં અને રૂના મોજાં પર તેને ધોયા વગર મસો કરવો શકય છે, કેટલીક શરતો પ્રમાણે, જે નીચે મુજબ છે:

૧. તેને હદષે અસ્ગર (નાની અશુદ્ધતા) અને હદષે અકબર (મોટી અશુદ્ધતા) પછી સંપૂર્ણ પવિત્રતા પછી પહેરવામાં આવ્યા હોય.

૨. તે બંને પવિત્ર હોય, નાપાક ન હોય.

૩. તે બંને પર મસો તેના નક્કી કરેલ સમયગાળા સુધી કરવામાં આવે.

૪. તે બંને હલાલ હોય, તે ચોરી કરેલા કે હડપ કરેલા ન હોય.

અલ્ ખિફાન: તે મોજાં જેને માનવી પોતાના પગમાં પહેરે છે, જે નરમ ચામડાના બનેલા હોય છે, જેમકે ચપ્પલ જે પગને ઢાંકે છે, અલ્ જવરબાન: તે મોજાં જેને માનવી પોતાના તળિયામાં પહેરે છે, જે રૂના બનેલા હોય છે, જેને શરાબ (મોજા) કહેવામાં આવે છે.

ચામડાના મોજાં પર મસો કરવાની પરવાનગીની હિકમત: ચામડાના મોજાં પર મસો કરવાની હિકમત મુસલમાનો માટે સરળતા અને સહેલાઇ છે કે તેઓ ચામડાના અને રૂના મોજાં કાઢવામાં અને પગ ધોવાની તકલીફ ન કરે, ખાસ કરીને ઠંડીના સમયે અને સફરમાં.

મસો કરવાનો સમયગાળો: રહેવાસી: એક દિવસ અને એક રાત (૨૪ કલાક). મુસાફર: ત્રણ દિવસ અને તેની રાતો (૭૨ કલાક).

ચામડાના અને રૂના મોજાં પર મસો કરવાનો સમયગાળાની શરૂઆત, જ્યારે પાક થયા પછી પહેલી વખત મસો કર્યો હશે ત્યારથી ગણાશે.

ચામડાના મોજાં અને રૂના મોજાં પર મસો કરવાનો તરીકો:

૧. હાથ ભીના કરવા.

૨. હાથને પગના ઉપરના ભાગ પર ફેરવવો (આંગળીઓથી પગની ઘૂંટી સુધી).

૩. જમણા પગ ઉપર જમણા હાથ વડે અને ડાબા પગ ઉપર ડાબા હાથ વડે માસો કરવો.

મસાને અમાન્ય કરનારી બાબતો: ૧. ગુસલ (સ્નાન) અનિવાર્ય થઈ જવું. ૨. મસાનો સમયગાળો પૂર્ણ થઇ જવો.

અલ્ ગુસ્લ (સ્નાન) અર્થાત્ ગુસ્લે જનાબત

જો કોઈ પુરુષ અથવા સ્ત્રી સંભોગ કરે, ભલે વીર્ય સ્ખલન ન થાય, અથવા જાગતી વખતે અથવા સુતી વખતે મનેચ્છા સાથે વીર્ય સ્ખલન થાય; તો તે બંને પર ગુસ્લ (સ્નાન) અનિવાર્ય થઇ જાય છે, જેથી તે બંને નમાઝ પઢી કરી શકે અથવા તે કાર્યો કરી શકે જેના માટે પવિત્રતા જરૂરી છે, એવી જ રીતે સ્ત્રી, માસિક સ્રાવ અને બાળજન્મથી પાક થાય, તો તેણીએ નમાઝ અથવા એવી બાબત જેના પહેલા સ્નાન કરવું જોઈએ, જેમાં પવિત્રતા જરૂરી હોય.

ગુસ્લ (અર્થાત્ ગુસ્લે જનાબત) કરવાનો તરીકો:

એક મુસલમાન પોતાના સંપૂર્ણ શરીર પર પાણી નાખે, તેમાં કોગળા કરવા અને નાક સાફ કરવું શામેલ છે, જ્યારે તે સંપૂર્ણ શરીર પર પાણી નાખી લે તો તે હદષે અકબરથી પાક થઇ જાય છે, અને તેની પવિત્રતા પૂરી થઈ જાય છે.

અને એક બીજી વધુ સંપૂર્ણ રીત પણ છે, જેના પર નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ અમલ કરતા હતા, અને તે આ પ્રમાણે છે:

૦૧ ગંદકી દૂર કરવાની નિયત.

૦૨ બિસ્મિલ્લાહ પઢવું, બંને હાથ ત્રણ વખત ધોવા, પછી ગુપ્તાંગ ધોવા.

૦૩ સંપૂર્ણ વઝૂ, જે રીતે એક મુસલમાન નમાઝ માટે વઝૂ કરે છે.

૦૪ માથા પર ત્રણ વખત પાણી નાખવું, જેનાથી વાળના મૂળયા સુધી પાણી પહોંચી જાય.

૦૫. સંપૂર્ણ શરીર પર પાણી નાખવું અને શરીરના જમણા ભાગથી શરૂઆત કરવી, પછી ડાબો ભાગ, અને હાથ વડે માલીશ કરવી. જેથી પાણી શરીરના દરેક અંગ સુધી પહોંચી જાય.

જુનુબી (અશુદ્ધ) વ્યક્તિ જ્યાં સુધી સ્નાન ન કરી ત્યાં સુધી નીચે આપેલ કાર્યો કરવા યોગ્ય નથી:

૦૧ નમાઝ.

૦૨. કાબા શરીફનો તવાફ.

૦૩ મસ્જિદમાં રોકાવવું, પરંતુ તેના માટે મસ્જિદમાંથી પસાર થવું માન્ય છે.

૦૪ કુરઆનને સ્પર્શ કરવું.

૦૫ કુરઆની તિલાવત કરવી.

તયમ્મુમ

જ્યારે કોઈ મુસલમાનને પાણી ન્ મળે તો તે મારી દ્વારા પવિત્રતા મેળવે અથવા પાણી ઉપયોગ કરવાની શક્તિ ન ધરાવતો હોય, કોઈ બીમારીના કારણે અને તેને નમાઝનો સમય ખત્મ થઈ જવાનો ભય હોય, તો તે માટી દ્વારા તયમ્મુમ કરે.

તયમ્મુમ કરવાનો તરીકો એ કે તે બંને હાથને જમીન પર એકવાર મારવા, ફરી તેના વડે પોતાના ચહેરા પર અને બંને હથેળીઓ પર મસો કરવો, પરંતુ શરત એ કે માટી પાક હોય.

આ વસ્તુઓ તયમ્મુમને ખતમ કરી દે છે:

૧- જે બાબતો વઝૂને અમાન્ય કરે છે, તે બાબતો તયમ્મુમને પણ અમાન્ય કરી દે છે.

૨- ઇબાદત શરૂ કરતાં પહેલાં પાણી મળી આવવું, જેના માટે તયમ્મુમ કર્યું હતું.

નમાઝ

અલ્લાહએ દરેક મુસલમાન માટે દિવસ અને રાત દરમિયાન પાંચ નમાઝો ફરજ કરી છે, તે આ છે: ફજર, ઝોહર, અસર, મગરિબ અને ઈશા.

નમાઝની તૈયારી

જ્યારે નમાઝનો સમય થઇ જાય, તો એક મુસલમાન હદષે અકબર અને હદષે અસ્ગરથી પાક થઇ જાય.

હદષે અકબર: જેના કારણે એક મુસલમાન પર ગુસ્લ અનિવાર્ય થઇ જાય.

હદષે અસ્ગર: જેના કારણે એક મુસલમાન પર વઝૂ અનિવાર્ય થઇ જાય.

એક મુસલમાન સ્વચ્છ કપડાંમાં એવી જગ્યાએ નમાઝ પઢે છે, જે પાક હોય, તેના (કપડાં) તેના અંગોને ઢાંકીને રાખે.

એક મુસલમાન નમાઝના સમયે પોતાને યોગ્ય વસ્ત્રોથી શણગારે છે અને તેનાથી પોતાનું શરીર ઢાંકે છે. નમાઝ દરમિયાન પુરુષ માટે નાભિ અને ઘૂંટણની વચ્ચેનો કંઈપણ ભાગ ખુલ્લો રાખવાની પરવાનગી નથી.

ચહેરા અને હથેળીઓ સિવાય, સ્ત્રીએ નમાઝમાં પોતાનું સંપૂર્ણ શરીર ઢાંકવું જરૂરી છે.

એક મુસલમાન નમાઝમાં વર્ણવેલ શબ્દો સિવાય કઇ બોલતો નથી અને તે ચૂપ રહી ઈમામને સાંભળે છે, અને તે નમાઝમાં આસપાસ જોતો નથી, જો અગર તે નમાઝની દુઆઓ યાદ કરવામાં કમજોર પડે તો તે નમાઝમાં અલ્લાહનો ઝિક્ર કરે અને તસ્બિહ કરતો રહે અહીં સુધી કે નમાઝ પૂર્ણ ન થઇ જાય, અને તેને સૌથી પહેલાં નમાઝ અને તેની દુઆઓ શીખવી જોઈએ.

યોગ્ય રીતે નમાઝ પઢવા માટે આપણે ઈન્ શાઅ અલ્લાહ નીચે વર્ણવેલ તરીકાનું અનુસરણ કરીશું અને તેને જાળવી રાખીશું:

પ્રથમ તબક્કો ૧: નિયત, તે ફરજ માટે છે જે હું અદા કરવા માંગુ છું, અને નિયતનું સ્થાન હ્રદયમાં છે.

ત્યાર બાદ હું વઝૂ કરું છું, અને કિબલા તરફ ચહેરો કરું છું, અને હું ઊભો રહી નમાઝ અદા કરું છું, જો ઊભો રહેવા પર સક્ષમ હોય.

બીજું ૨: હું મારા બંને હાથ ખભા સુધી ઊંચા કરું છું અને કહું છું: (અલ્લાહુ અકબર) નમાઝમાં દાખલ થવાની નિયતથી.

ત્રીજુ ૩: હું શરૂઆતની દુઆ પઢુ છું, જેનો ઉલ્લેખ નીચે ઉલ્લેખ કરવામાં આવ્યો છે: ("સુબ્હાનકલ્લાહુમ્મ વબિહમ્દિક વતબારકસ્મુક વતઆલા જદ્દુક વલા ઈલાહ ગયરુક" અર્થ: હે અલ્લાહ! તું પાક છે અને તારી જ પ્રશંસા છે, અને તારું નામ બરકતવાળું છે, અને તારી શાન ઉચ્ચ છે, અને તારા સિવાય કોઈ પૂજ્ય નથી).

ચોથું ૪: હું ધ્રુત્કારેલા શૈતાનથી અલ્લાહની પનાહ માંગુ છું અને હું કહું છું: (અઊઝુબિલ્લાહિ મિનશ્ શૈતોનિર્ રજીમ).

પાંચમુ ૫: હું દરેક રકાઅતમાં સૂરે ફાતિહાની તિલાવત કરું છું જે નીચે મુજબ છે: {દરેક પ્રકારની પ્રશંસા અલ્લાહ માટે જ છે, જે સમગ્ર સૃષ્ટિનો પરવરદિગાર (પાલનહાર) છે. * (જે) ઘણો જ કૃપાળુ, અત્યંત દયાળુ, (છે). * બદલાના દિવસ (કયામત) નો માલિક છે. * અમે ફકત તારી જ બંદગી કરીએ છીએ અને ફકત તારી જ પાસે મદદ માંગીએ છીએ. * અમને સત્ય (અને સાચો) માર્ગ બતાવ. * તે લોકોનો માર્ગ, જેમના પર તે કૃપા કરી. તે લોકોનો (માર્ગ) ન બતાવ, જેમના પર તું ક્રોધિત થયો અને તેમનો પણ માર્ગ ન બતાવ, જેઓ પથભ્રષ્ટ છે}.

ત્યાર પછી (આમીન) કહેવું, અને તેનો અર્થ: હે અલ્લાહ! તું કબૂલ કર.

સૂરે ફાતિહા પઢયા પછી, મારા માટે કુરઆન માંથી જે કઈ પણ સરળ હશે તેની તિલાવત કરીશ, દરેક નમાઝની ફક્ત પહેલી અને બીજી રકાઅતમાં, આ જરૂરી નથી પરંતુ આ પ્રમાણે કરવામાં ઘણો સવાબ છે.

છઠ્ઠું ૬: હું કહું છું: (અલ્લાહુ અકબર) ફરી હું રુકૂઅ કરીશ, અહીં સુધી કે મારી પીઠ સીધી ન થઇ જાય, હું મારા બંને હાથ આંગળીઓથી પહોળા કરીને મારા ઘૂંટણ પર મૂકીશ, ફરી હું રુકૂઅમાં કહીશ: ("સુબ્હાન રબ્બીયલ્ અઝીમ" અર્થ: મારો પાલનહાર ઘણો જ ઉચ્ચ છે) ત્રણ વખત.

સાતમુ ૭: ફરી હું આ કહેતા રુકૂઅ માંથી ઊભો થઈશ: ("સમિઅલ્લાહુલિમન્ હમિદહ" અર્થ: અલ્લાહએ સંભાળ્યું જેણે તેની પ્રસંશા કરી) બંને હાથ ખભા સુધી ઊંચા કરીશ, અને જ્યારે મારું શરીર સંપૂર્ણ રીતે સ્થિર થઇ જશે ત્યારે હું કહીશ: ("રબ્બના વલકલ્ હમ્દ" અર્થ: હે અમારા પાલનહાર! દરેક પ્રકારના વખાણ તારા મા ).

આઠમું હું કહીશ: (અલ્લાહુ અકબર) હું મારા બંને હાથ, બંને ઘૂંટણ, બંને પગ, કપાળ અને નાક વડે સિજદો કરીશ, અને હું મારાં સિજદામાં કહીશ: ("સુબ્હાન રબ્બીયલ્ અઅલા" અર્થ: મારો પાલનહાર ઘણો જ ઉચ્ચ છે) ત્રણ વખત.

નવમુ ૯: હું કહું છું: (અલ્લાહુ અકબર) ફરી હું સિજદો કરી ઊભો થાઉં છું, અહીં સુધી કે મારી પીઠ સીધી ન થઇ જાય, જમણા પગે બેસીને અને ડાબા પગને ઊભો રાખીને, અને હું કહું છું: ("રબ્બીગ્ ફિર્લી" અર્થ: હે મારા પાલનહાર! મને માફ કરી દે) ત્રણ વાર.

દસમુ ૧૦: ફરી હું કહું છું: (અલ્લાહુ અકબર) પહેલા કરેલા સિજદા પ્રમાણે બીજો સિજદો કરું છું.

અગિયારમુ ૧૧: ફરી હું સિજદો કરી સીધો ઊભો થાઉં છું, અને બાકીની બધી રકાઅતો પહેલી રકાઅતમાં પ્રમાણે અદા કરું છું.

ઝોહર, અસર, મગરિબ, ઈશાની બે રકાઅત પઢયા પછી હું પહેલાં તશહ્હુદ માટે બેસું છું, અને તે આ છે: ("અત્તહિય્યાતુ લિલ્લાહિ વસ્સલવાતુ વત્તય્યિબાતુ, અસ્સલામુઅલૈક અય્યુહન્ નબીય્યુ વરહ્-મતુલ્લાહિ વબરકાતુહુ, અસ્સલામુઅલૈના વઅલા ઈબાદિલ્લાહિસ્ સોલિહીન, અશ્હદુ અલ્ લા ઈલાહ ઇલ્લલ્લાહુ વ અશ્હદુ અન્ન મુહમ્મદન્ અબ્દુહુ વરસૂલુહુ" (અર્થ: (મારા) દરેક પ્રકારના વખાણ, દરેક પ્રકારની દુઆઓ અને દરેક સારા કાર્યો અને વાતો ફક્ત અલ્લાહ માટે જ છે, હે પયગંબર! તમાર પર સલામ, અલ્લાહની કૃપા અને તેની બરકતો ઉતરે, અમારા પર અને અલ્લાહના દરેક સદાચારી બંદાઓ પર પણ સલામતી ઉતરે, હું ગવાહી આપું છું કે અલ્લાહ સિવાય કોઈ સાચો ઇલાહ નથી અને હું ગવાહી આપું છું કે મુહમ્મદ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ તેના બંદા અને પયગંબર છે)) ત્યાર બાદ હું ત્રીજી રકાઅત માટે ઊભો થાઉં છું.

દરેક નમાઝની છેલ્લી રકાઅત પઢયા પછી હું છેલ્લા તશહ્હુદ પઢવા માટે બેસુ છું, જે આ છે: ("અત્તહિયાતુ લિલ્લાહિ વસ્સલવાતુ વત્તય્યિબાતુ, અસ્સલામુ અલૈક અય્યુહન્ નબીય્યુ વરહ્-મતુલ્લાહિ વબરકાતુહુ, અસ્સલામુ અલૈના વઅલા ઈબાદિલ્લાહિસ્ સોલિહીન, અશ્હદુ અલ્ લાઈલાહ ઇલ્લલાહુ વ અશ્હદુ અન્ન મુહમ્મદન્ અબ્દુહુ વરસૂલુહુ, અલ્લાહુમ્મ સલ્લી અલા મુહમ્મદિવં વ અલા આલી મુહમ્મદ કમા સલ્લયતા આલા ઈબ્રાહીમ વ અલા આલી ઈબ્રાહીમ, ઈન્નક હમીદુમ્ મજીદ, અલ્લાહુમ્મ બારિક અલા મુહમ્મદિવં વ અલા આલી મુહમ્મદ કમા બારક્તા આલા ઈબ્રાહીમ વ અલા આલી ઈબ્રાહીમ, ઈન્નક હમીદુમ્ મજીદ" અર્થ: (મારી) દરેક પ્રકારની ઈબાદતો, જે જુબાન વડે થતી હોય, જે અંગો વડે થતી હોય, અને જે માલ વડે થતી હોય તે ફક્ત અલ્લાહ માટે જ છે, હે પયગંબર ! તમાર પર સલામતી થાય અને અલ્લાહની રહેમત અને તેની બરકતો નાઝિલ થાય,અમારા પર અને અલ્લાહ ના દરેક સદાચારી બંદાઓ પર પણ સલામતી નાઝિલ થાય, હું ગવાહી આપું છું, કે અલ્લાહ સિવાય કોઈ ઇલાહ(ઈબાદત ને લાયક) નથી અને હું ગવાહી આપું છું કે મુહમ્મદ સલ્લ્લાહુ અલય્હિ વસલ્લમ તેના બંદા અને રસૂલ છે, હે અલ્લાહ ! મુહમ્મદ અને તેમની સંતાન પર રહેમતો નાઝિલ કર જેવી રીતે તે ઈબ્રાહીમ અને તેમની સંતાન પર રહેમતો નાઝિલ કરી, ખરેખર તું વખાણને લાયક અને બુઝુર્ગીવાળો છું, હે અલ્લાહ ! મુહમ્મદ અને તેમની સંતાન પર બરકતો નાઝિલ કર જેવી રીતે તે ઈબ્રાહીમ અને તેમની સંતાન પર બરકતો નાઝિલ કરી, ખરેખર તું વખાણને લાયક અને બુઝુર્ગીવાળો છું)

બારમુ ૧૨: ત્યાર પછી હું જમણી તરફ સલામ ફેરવી કહું છું: (અસ્સલામુ અલૈકુમ્ વરહ્-મતુલ્લાહ) ફરી ડાબી તરફ સલામ ફેરવી કહું છું: (અસ્સલામુ અલૈકુમ્ વરહ્-મતુલ્લાહ) નમાઝ પૂર્ણ કરવાની નિયતથી, અને આ રીતે મેં નમાઝ પઢી લીધી.

મુસલમાન મહિલાનો હિજાબ (પડદો)

ઉચ્ચ અલ્લાહએ કહ્યું: {હે પયગંબર! પોતાની પત્નીઓને, પોતાની દીકરીઓને અને મુસલમાન સ્ત્રીઓને કહી દો કે તેઓ પોતાના પર પોતાની ચાદર લટકાવી રાખે, તેનાથી તરત જ તેણીઓની ઓળખ થઇ જશે, પછી તેણીઓને સતાવવામાં નહીં આવે અને અલ્લાહ તઆલા માફ કરવાવાળો, દયાળુ છે}. [અલ્ અહઝાબ: ૫૯].

અલ્લાહએ એક મુસલમાન મહિલા માટે હિજાબ પહેરવાનું અને તેના ખાનગી અંગોને અને સંપૂર્ણ શરીરને તેના દેશમાં ચાલતા સામાન્ય કપડા દ્વારા અજાણ પુરુષોથી ઢાંકવું જરૂરી છે, એવી જ રીતે તેના માટે જાઈઝ નથી કે તે પોતાના પડદાને પોતાના પતિ અને મહરમ સિવાય અન્ય કોઈ કોઈની સામે ઉતારે, તે લોકો: જેની સાથે મુસલમાન મહિલાને કાયમી લગ્ન કરવાની છૂટ નથી, તે લોકો નીચે મુજબ છે: (પિતા અને તેના ઉપરના, અને પુત્ર અને તેના નીચેના, અને કાકા અને મામા, અને ભાઈ, ભાઈનો દીકરો અને બહેનનો દીકરો, અને માતાનો પતિ, અને પતિના પિતા અને તેના ઉપરના, અને પતિનો પુત્ર અને તેના નીચેના, અને પાલક ભાઈ અને દૂધ પીવડાવનાર સ્ત્રીનો પતિ, અને દૂધના સંબંધથી તે બધા સંબંધો હરામ છે જે વંશના સંબંધથી હરામ છે).

એક મુસલમાન મહિલા તેના ડ્રેસમાં ઘણા નિયમોનું પાલન કરે:

પહેલું: જેમાં સંપૂર્ણ શરીર આવી જાય.

બીજું: તે કપડા એવા ન હોવા જોઈએ કે સ્ત્રી બિન્ મહરમ પુરુષોની હાજરીમાં પોતાને શણગારવા માટે પહેરે.

ત્રીજું: પારદર્શક પણ ન હોવા જોઈએ કે તેણીનું શરીર દેખાતું હોય.

ચોથું: તે ઢીલા હોવા જોઈએ, ચુસ્ત ન હોવા જોઈએ કે જે તેણીના શરીરના અંગો વિશે કઇ વર્ણન કરે.

પાંચમું: તે સુગંધિત ન હોય, જો તે એવા અજાણ પુરુષો પાસેથી પસાર થવાની હોય જેઓ તેને સૂંઘી શકે.

છઠ્ઠું: તે પુરુષોના કપડાં માફક ન હોય.

સાતમું: તે કપડા બિન મુસ્લિમ મહિલાઓની ઈબાદતોમાં અને તેમના તહેવારોમાં પહેરવામાં આવતા કપડા માફક ન હોય.

આઠમું: તે વિખ્યાતીના કપડાં ન હોય.

મોમિનના ગુણો

ઉચ્ચ અલ્લાહએ કહ્યું: {સાચા મોમિન તો એ લોકો છે કે જ્યારે તેમની સામે અલ્લાહ તઆલાના નામનો ઝિકર કરવામાં આવે તો તેઓના હૃદય ધ્રુજી ઉઠે છે અને જ્યારે અલ્લાહ તઆલાની આયતો તેમની સમક્ષ પઢી સંભળાવવામાં આવે છે તો તેઓના ઈમાન વધી જાય છે અને તે લોકો પોતાના પાલનહાર પર ભરોસો કરે છે}. [અલ્ અન્ફાલ: ૨].

- પોતાની વાતમાં સાચો હોય, જૂઠ્ઠો ન હોય.

- કરાર અને વચનને પૂરા કરે.

- તે લડાઇ ઝઘડામાં અપશબ્દો ન બોલે.

- અમાનત અદા કરે.

- મુસલમાન ભાઈ માટે તે જ વસ્તુ પસંદ કરે છે જે પોતાના માટે પસંદ કરે.

- ઉદાર હોય.

- લોકો માટે સારો હોય.

- સંબધ જાણવી રાખે.

- અલ્લાહની વહેંચણીથી રાજી થઈ જાય અને સમૃદ્ધિની સ્થિતીમાં અલ્લાહનો આભાર વ્યક્ત કરે, અને ગરીબીમાં ધીરજ રાખે છે.

- શરમાળ હોય.

- લોકો પર ઉપકાર કરે.

- તેનું દિલ દ્વેષથી પાક હોય અને તેના અંગો બીજા પર અત્યાચાર કરવાથી પણ પાક હોય.

- લોકો સાથે દરગુજર કરે.

- તે વ્યાજ ન લેતો હોય વ્યાજખોરો સાથે વ્યવહાર પણ ન્ કરે.

- દુષ્કર્મ ન કરે.

- શરાબનું સેવન ન કરે.

- પાડોશીઓ સાથે સદ્ વર્તન કરે.

- જુલમ ન કરે અને ધોખો ન આપે.

- ન તો ચોરી કરે છે ન છેતરપિંડી કરે.

- માતા પિતાનો આજ્ઞાકારી હોય પછી ભલેને તેઓ બિન મુસ્લિમ હોય, અને તેમની આજ્ઞાનું સાચા માર્ગમાં પાલન કરે.

- તે પોતાના બાળકોને ભલાઈથી ઉછેરે, તેમને શરીઅતના ફરજો પૂરા કરવાનો આદેશ આપે અને દુષ્ટતાથી રોકે.

- તે બિન-મુસ્લિમોની કાર્યો સાથે તેમની ધાર્મિક લાક્ષણિકતાઓ અથવા રિવાજો સાથે સરખામણી ન કરે જે તેમના માટે એક લક્ષણ અને સૂત્ર છે.

- તે અલ્લાહ તરફ પાછો ફરે અને પોતાની કમીઓ અને ગુનાહોથી તેની પાસે માફી માંગે.

મુસલમાનના અકીદાના મહત્વના નિયમો

૦૧- અલ્લાહ આપણો પાલનહાર છે, તેના સિવાય કોઈ સાચો ઇલાહ નથી, તેના સિવાય કોઈ પાલનહાર નથી અને તેના સિવાય કોઈ ઇલાહ નથી, તેના જેવું કંઈ નથી, અને કોઈ વસ્તુ તેને લાચાર કરી શકતી નથી, અને તે બધું જ સાંભળવાવાળો અને જોવાવાળો છે.

૦૨- અલ્લાહ તઆલા આકાશોમાં પોતાના દરેક સર્જન કરતા ઉચ્ચ છે, તેમનાથી અલગ છે, અને તેની બુલંદી દરેક રીતે સંપૂર્ણ છે, ઝાત પ્રમાણે, કુદરત પ્રમાણે અને પ્રભુત્વ પ્રમાણે, અને તે દરેક વસ્તુને ઘેરી લેનાર છે.

૦૩- અલ્લાહ તઆલાએ પોતાના માટે અથવા તેના નબી મુહમ્મદ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ તેના માટે જે નામો અને ગુણો સાબિત કર્યા છે, આપણે તેને સાબિત કરીએ છીએ, અને જેનો અલ્લાહે પોતાના માટે અથવા તેના નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ ઈન્કાર કર્યો છે, તેનો આપણે નકારીએ છીએ.

૦૪- અલ્લાહ તઆલા દુઆઓ કબૂલ કરે છે, જરૂરિયાતો પૂરી કરે છે, અને દરેક વસ્તુનો માલિક છે, તેના સિવાય કોઈ નુકસાન અને ફાયદો પહોંચાડી શકતું નથી, અને બંદો એક પલક ઝપકાવવા માટે પણ તેનાથી બેનિયાઝ નથી, કોઈ પણ મુસલમાન માટે જાઈઝ નથી કે તે ઈબાદતના કોઈ પણ પ્રકારમાં અલ્લાહ સિવાય કોઈ બીજાનો ઇરાદો કરે, જેમકે દુઆ, નમાઝ, નઝર (મન્નત), કુરબાની, ડર, આશા, ભરોસો અને આ સિવાય બીજી જાહેર કે છુપી ઈબાદતો, અને જો કોઈ પણ ઈબાદત અલ્લાહ તઆલા સિવાય કોઈ અન્ય માટે કરે છે, તે અલ્લાહ સાથે શિર્ક કરનાર છે.

૦૫- સૌથી મોટો ગુનોહ અને મહાન પાપ અલ્લાહ સાથે શિર્ક કરવું છે, અને જે શિર્ક પર મૃત્યુ પામશે, તો અલ્લાહ તેના માટે જન્નત હરામ કરી દીધી છે અને તેનું ઠેકાણું જહન્નમ છે, આ તે એવો ગુનોહ છે, જેને અલ્લાહ માફ નથી કરતો, જો બંદો તૌબા કર્યા વિના તેના પર મૃત્યુ પામે.

૦૬- જે વસ્તુ બંદાથી ચૂકી ગઈ, તે તેને મળવાની ન હતી, અને જે તેને મળી તે તે ચૂકવાની ન હતી, અને મુસલમાન પર અલ્લાહના નિર્ણયો અને તેણે નક્કી કરેલ ભાગ્ય પર ઈમાન લાવવું, અલ્લાહના નિર્ણય પર રાજી રહેવું, અને દરેક સ્થિતિમાં પોતાના પાલનહારની પ્રશંસા કરવી અને તેનો આભાર વ્યક્ત કરવો જરૂરી છે.

૦૭- મુહમ્મદ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ આપણા નબી, સૌથી શ્રેષ્ઠ મનુષ્ય અને અંતિમ પયગંબર છે, તેઓ કયામતના દિવસે ભલામણ કરનાર છે, તેમની ભલામણ સ્વીકારવામાં આવશે, અલ્લાહ તઆલાએ તેમને મિત્ર બનાવ્યા છે, જે રીતે ઇબ્રાહિમ અલૈહિસ્ સલામને મિત્ર બનાવ્યા હતા.

૧૦- આપણી કિતાબ પવિત્ર કુરઆન છે, જે એક મુઅજિઝો છે, જેની સત્યતા નિશ્ચિત છે, અને જેની તિલાવત કરવી ઈબાદત છે. તેને અલ્લાહ તઆલાએ ફરિશ્તાઓમાં શ્રેષ્ઠ, જિબ્રાઈલ અલૈહિસ્ સલામ દ્વારા આપણા નબી મુહમ્મદ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ પર ઉતાર્યું છે, અને અલ્લાહ તઆલાએ તેને દરેક પ્રકારના ફેરફારથી સુરક્ષિત રાખ્યું છે, જેમ કે પવિત્ર અલ્લાહએ કહ્યું: {ખરેખર અમે જ આ કુરઆનને ઉતાર્યું છે અને અમે જ તેની સુરક્ષા કરનાર છે}. [અલ્ હિજર: ૯].

૧૧- અલ્લાહની સૌથી નજીક તે લોકો છે, જેઓ તેના સૌથી વધુ આજ્ઞાકારી છે અને તેની શરિયતનું સૌથી વધુ પાલન કરે છે, કોઈ અરબીને કોઈ બિન-અરબી પર કોઈ મહત્ત્વતા નથી, ન તો કોઈ બિન-અરબીને કોઈ અરબી પર, ન તો કોઈ સફેદને કાળા પર, ન તો કોઈ કાળાને સફેદ પર, સિવાય કે તકવા (પરહેજગારી) ના આધારે, લોકો આદમથી છે, અને આદમ માટીથી છે, પવિત્ર અલ્લાહે કહ્યું: {અલ્લાહની પાસે તમારા માંથી ઇજજતવાળો તે છે, જે સૌથી વધારે પરહેજ્ગાર હોય} [અલ્ હુજુરાત: ૧૩].

૧૨- મુસલમાન પ્રતિષ્ઠિત લખવાવાળા ફરિશ્તાઓ પર અકીદો રાખે છે, અને તેમના અસ્તિત્વ પર ઈમાન રાખે છે, અને એ કે તેઓ સર્જિત બંદાઓ છે, જેમને અલ્લાહ તઆલાએ પ્રકાશથી પેદા કર્યા છે, અને તેઓ અલ્લાહ તઆલાના સર્જનો માંથી એક સર્જન છે, જેમાંથી: જિબ્રઈલ વહી પર નિયુક્ત છે, મિકાઈલ વરસાદ પર નિયુક્ત છે, ઇસ્રાફીલ સૂર ફૂંકવા પર નિયુક્ત છે, અને મલિકુલ્ મોત, જે બંદાઓની રૂહ (આત્મા) કાઢવા પર નિયુક્ત છે.

૧૩- મુસલમાન કયામતની નિશાનીઓ, દજ્જાલના નીકળવા, અંતિમ સમયે આકાશ માંથી ઈસા ઇબ્ને મરયમ અલૈહિસ્ સલામના ઉતરવા, અને સૂરજનું પશ્ચિમમાંથી ઉગવા પર ઈમાન રાખે છે.

૧૪- એક મુસલમાનનો અકીદો છે કે જે કબરના અઝાબનો હકદાર છે તેના માટે અઝાબ છે અને જે તેની નેઅમતોનો હકદાર છે તેના માટે નેઅમતો છે, તથા તેની કબરમાં તેના પાલનહાર, તેના દીન અને તેના નબી વિશે મુનકર અને નકીર દ્વારા સવાલ કરવામાં આવશે, અને કબર જન્નતના બગીચાઓમાંથી એક બગીચો છે અથવા જહન્નમના ખાડાઓમાંથી એક ખાડો છે.

૧૫- કયામતના દિવસે મૃત્યુ પછી ફરીવાર જીવિત થવા અને અમલોના બદલા પર અકીદો રાખે છે, અને જન્નત અને જહન્નમ બન્ને સર્જન છે, જે ક્યારેય નષ્ટ નહીં થાય.

૧૬- જાદુ અલ્લાહ સાથે કુફ્ર છે, તેને શીખવું અને જાદુગરો તથા દજ્જાલો પાસે જવું જાઈઝ નથી, અને મુસલમાન કોઈ જ્યોતિષ કે અર્રાફ (ભવિષ્ય વર્ણન કરનાર) ની વાતનો સ્વીકાર ન કરે; કારણકે જેણે તે બન્નેની વાતનો સ્વીકાર કર્યો, તેણે તે દીનનો ઇન્કાર કર્યો જે મુહમ્મદ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ પર ઉતારવામાં આવ્યો છે.

૧૭ - મુસલમાન પયગંબર સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમના સહાબીઓથી મોહબ્બત કરે છે, અને તેમનાથી મોહબ્બત કરનારાઓથી મોહબ્બત કરે છે અને તેમનાથી દ્વેષ રાખનારાઓથી દ્વેષ રાખે છે; કારણકે તેમનાથી મોહબ્બત કરવી દીન અને ઈહસાન છે, અને તેમનાથી દ્વેષ રાખવો કુફ્ર અને નિફાક (દંભ) છે, નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ કહ્યું: «મારા સહાબીઓને ગાળો ન આપો». (આ હદીષને ઈમામ મુસ્લિમ રહિમહુલ્લાહએ વર્ણન કરી છે). અને જે કોઈ પણ સહાબીઓ માંથી કોઈ એક પર આક્ષેપ લગાવે અથવા તેમનું અપમાન કરે, તો તે ગુમરાહ (પથભરષ્ટ) અને બિદઅતી છે.

૧૬- મુસલમાન અલ્લાહના પયગંબર સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ પછી ખિલાફતને આ પ્રમાણે માને છે: સૌ પ્રથમ અબૂ બકર સિદ્દીક રઝી અલ્લાહુ અન્હુ, તેમને સમગ્ર ઉમ્મત પર શ્રેષ્ઠતા અને પ્રાધાન્યતા આપતા, ત્યાર પછી ઉમર બિન ખત્તાબ રઝી અલ્લાહુ અન્હુ, ત્યાર પછી ઉષ્માન રઝી અલ્લાહુ અન્હુ, ત્યાર પછી અલી બિન અબી તાલિબ રઝી અલ્લાહુ અન્હુ, અને તેઓ હિદાયત પામેલા ખલીફાઓ અને આગેવાનો છે.

૧૭- ઈબાદતના કાર્યો અલ્લાહ અને તેના પયગંબર દ્વારા નક્કી કરેલ છે, તેથી અલ્લાહ તઆલાની કિતાબ અથવા તેના પયગંબર સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમની સુન્નતથી સાબિત કોઈ પણ ઈબાદત કરવી જાઈઝ નથી, અને નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમના મૃત્યુ પછી લોકો દ્વારા શરૂ કરવામાં આવેલ દરેક ઈબાદત જે તેમના માર્ગદર્શન મુજબ ન હોય, તે અસ્વીકાર્ય બિદઅત છે, આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ કહ્યું: «જે કોઈ અમારા આ દીનમાં એવી નવી વાત લાવે જે તેમાંથી નથી, તો તે રદ છે». (આ હદીષને ઈમામ બુખારી રહિમહુલ્લાહએ વર્ણન કરી છે).

૧૮- ઈબાદત કબૂલ થવાનો આધાર બે મૂળભૂત શરતો પર છે: પહેલી: ઈબાદતમાં અલ્લાહ તઆલા માટે નિખાલસતા અને બીજી: તેમાં પયગંબર સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમનું અનુસરણ. તે ઈબાદત કબૂલ થતી નથી, જે અલ્લાહ માટે નિખાલસતાપૂર્વક ન હોય, અને તે પણ કબૂલ થતી નથી જે અલ્લાહના પયગંબર સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમના માર્ગદર્શન મુજબ ન હોય.

મારી ખુશી મારા ધર્મ ઇસ્લામમાં છે

ઉચ્ચ અલ્લાહએ કહ્યું: {જે વ્યક્તિ પણ નેક કાર્ય કરે, પછી તે પુરુષ હોય કે સ્ત્રી હોય, શરત એ કે તે મોમિન હોવા જોઈએ, તો અમે તેમને ખરેખર અત્યંત શ્રેષ્ઠ જીવન આપીશું અને આખિરતમાં તેમના સત્કાર્યોનો ઉત્તમ બદલો પણ તેમને જરૂર આપીશું}. [અન્ નહલ: ૯૭].

એક મુસલમાનના હૃદયમાં ખુશી, આનંદ લાવનારી બાબતોમાંથી સૌથી મોટી બાબત, તેનો અલ્લાહ સાથે કોઇ જીવંત કે મૃત કે કોઈ મૂર્તિ વગર સીધો સંબંધ છે, અલ્લાહએ પોતાની મહત્વપૂર્ણ કિતાબમાં વર્ણન કર્યું કે તે પોતાના બંદાઓથી હંમેશા નજીક હોય છે, તે તેમની દુઆઓ સાંભળે છે અને તેને કબૂલ કરે છે, જેમકે પવિત્ર અલ્લાહ એ કહ્યું: {(અને હે નબી!) જ્યારે મારા બંદાઓ મારા વિશે તમારાથી સવાલ કરે તો તમે કહી દો કે હું ઘણો જ નજીક છું, દરેક પોકારવાવાળાની પોકારને જ્યારે પણ તે મને પોકારે, હું તેની પોકારને કબૂલ કરું છું, એટલા માટે તેઓ મારો આદેશ માને અને મારા પર જ ઇમાન ધરાવે, આશા છે કે તેઓ હિદાયત મેળવી લે}. [અલ્ બકરહ: ૧૮૬], અલ્લાહએ આપણને આદેશ આપ્યો કે આપણે તેની પાસે દુઆ માંગીએ અને અલ્લાહએ દુઆને એક મોટી ઈબાદત બનાવી દીધી જેના દ્વારા એક મુસલમાન પોતાના પાલનહારની નિકટતા પ્રાપ્ત કરે છે, જેમકે ઉચ્ચ અલ્લાહએ કહ્યું: {અને તમારા પાલનહારનો આદેશ છે કે તમે મને પોકારો, હું તમારી દુઆ કબૂલ કરીશ, નિ:શંક જે લોકો મારી બંદગીથી ઘમંડ કરે છે, તે નજીકમાં જ અપમાનિત થઇ જહન્નમમાં પહોંચી જશે}. [ગાફિર:૬૦], એક સદાચારી મુસલમાન હંમેશા પોતાના પાલનહારનો જરૂરિયાતમંદ હોય છે, તેમની વચ્ચે હંમેશા દુઆ હોય છે, સત્કાર્યો દ્વારા તે અલ્લાહની નિકટતા પ્રાપ્ત કરે છે.

ખરેખર અલ્લાહએ આપણને આ બ્રહ્માંડમાં ભવ્ય હિકમતના હેતુથી બનાવ્યા છે અને તેણે આપણને વ્યર્થ નથી બનાવ્યા, ફક્ત તેની બંદગી કરવા માટે બનાવ્યા છે અને તેનો કોઈ ભાગીદાર નથી, તેણે આપણાં માટે દીન તૈયાર કર્યો, જે આપણાં જીવનની ખાનગી અને જાહેર દરેક બાબતોમાં નિયમન કરે છે અને આ ન્યાયી શરીઅતે જીવનની જરૂરિયાતોને સાચવી રાખી છે, જે આપણો દીન, જાન, આબરૂ, મન અને ધન છે, અને જે વ્યક્તિ આ શરીઅતના નિયમોનું પાલન કરે છે અને તેની અવજ્ઞા કરવાથી બચે છે, તો તેની આ દરેક જરૂરિયાતો સાચવી લેવામાં આવી, અને તે પોતાનું જીવન શાંતિ પૂર્વક પસાર કરે છે જેમાં કોઈ શંકા નથી.

એક મુસલમાનને પોતાના પાલનહાર સાથે ગાઢ સંબંધ તેને શાંતિ અને માનસિક આરામ આપે છે, શાંતિ, સલામતી અને આનંદની અનુભૂતિ થાય છે,અને એક મોમિન બંદો હંમેશા પોતાના પાલનહારનો સાથ, તેની દેખરેખ હોવાની અનુભૂતિ કરે છે, ઉચ્ચ અલ્લાહએ કહ્યું: {અલ્લાહ તે લોકોનો દોસ્ત છે, જેઓ ઈમાન લાવ્યા, તે તેઓને (કૂફર અને શિર્કના) અંધકાર માંથી કાઢી પ્રકાશ તરફ લઇ આવે છે} [અલ્ બકરહ: ૨૫૭].

આ મહાન સંબંધ એક ભાવનાત્મક સ્થિતી છે, જે મહાન કૃપાળુની ઈબાદતના આનંદ તરફ દોરી જાય છે, અને તેની સાથે મુલાકાત કરવા ઉત્સાહિત કરે છે, અને ઈમાનની મીઠાસનો અનુભવ કરી, જાણે તેનું દિલ સુખના આકાશમાં ઉડે છે.

તે મીઠાશ જેનો આનંદ ફક્ત તે જ વર્ણવી શકે છે જેણે સારા કાર્યો કરીને અને ખરાબને ટાળીને તેનો સ્વાદ ચાખ્યો હોય. એટલા માટે કે નબી મુહમ્મદ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ કહ્યું: (તેને ઇમાનનો સ્વાદ મળ્યો, જે અલ્લાહને રબ તરીકે, ઇસ્લામને ધર્મ તરીકે અને મુહમ્મદને પયગંબર તરીકે સ્વીકાર કરે છે). આ હદીષને ઇમામ મુસ્લિમ રહિમહુલ્લાહએ રિવાયત કરી છે.

હા, જો કોઈ વ્યક્તિ તેના સર્જકને હંમેશા પોતાની સાથે હોવાનો અનુભવે કરે, અને તેને તેના નામો અને ગુણોથી ઓળખે, અને તેની ઇબાદત એવી રીતે કરે, જાણે તેને જોઈ રહ્યો છે, અને પોતાની ઈબાદત ફક્ત અલ્લાહ માટે જ કરે છે, અને અલ્લાહ સિવાય બીજું કોઈ નથી તો તે દુનિયામાં પણ અને આખિરતમાં પણ ઉત્તમ જીવન પસાર કરે છે.

અહીં સુધી કે એક મોમિન પર જ્યારે દુનિયામાં કોઈ મુસીબત આવે છે, તો તેના યકીનની ઠંડકથી મુસીબતની ગરમી દૂર થઇ જાય છે, અને તે અલ્લાહના નિર્ણય પર રાજી રહે છે, તે એકલો જ દરેક વસ્તુઓના તેના સારા કે ખરાબ હોવા પર કુદરત ધરાવે છે , અને સંપૂર્ણ તેનાથી રાજી રહે છે.

એક મુસલમાનને તેના સુખ અને શાંતિમાં વધારો કરવા માટે જે બાબતોનું ધ્યાન રાખવું જોઇએ તેમાંથી એક વધારામાં વધારે અલ્લાહનો ઝીકર કરે, કુરઆન કરીમની તિલાવત કરે, જેમકે ઉચ્ચ અલ્લાહએ કહ્યું: {જે લોકો ઇમાન લાવ્યા તેમના હૃદય અલ્લાહના ઝિકરથી શાંતિ પ્રાપ્ત કરે છે, યાદ રાખો! અલ્લાહના ઝિકરમાં જ દિલને શાંતિ મળે છે}. [અર્ રઅદ: ૨૮]. એક મુસલમાન જેટલો અલ્લાહનો ઝિક્ર કરે છે, અને કુરઆનની તિલાવત કરે છે તેટલો જ તેનો સંબંધ અલ્લાહ સાથે મજબૂત બને છે, જેનાથી તેનું મન પાક થાય છે અને તેનું ઈમાન મજબૂત બને છે.

એટલા માટે એક મુસલમાન માટે જરૂરી છે કે દીનના કાર્યો તેના સહીહ સ્ત્રોત દ્વારા શીખવાની કોશિશ કરે, જેથી અલ્લાહની ઇબાદત આંતરદૃષ્ટિથી કરી શકાય, નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ કહ્યું: (ઈલ્મ પ્રાપ્ત કરવું દરેક મુસલમાન માટે જરૂરી છે) આ હદીષને ઈમામ ઈબ્ને માજહ રહિમહુલ્લાહએ રિવાયત કરી છે, અને અલ્લાહનો આજ્ઞાકારી બનીને રહેવું જરૂરી છે જેણે તેનું સર્જન કર્યું છે, પછી ભલે તેની હિકમત જાણતા હોય કે ન જાણતા હોય, અલ્લાહએ પોતાની મહાન કિતાબમાં કહ્યું: {અને કોઇ મોમિન પુરુષ અને મોમિન સ્ત્રીને અલ્લાહ અને તેના પયગંબરના નિર્ણય પછી પોતાના કોઇ કાર્યમાં અધિકાર રહેતો નથી, (યાદ રાખો) અલ્લાહ અને તેના પયગંબરની જે પણ અવજ્ઞા કરશે, તે સ્પષ્ટ ગુમરાહીમાં પડી જશે}. [અલ્ અહઝાબ: ૩૬].

દરુદ અને સલામતી આપણા નબી મુહમ્મદ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ પર અને તેમના સંતાન પર અને તેમના દરેક સાથીઓ પર.