فضائل وآداب المسجد النبوي
મસ્જિદે નબવીની મહત્ત્વતા અને આદાબ અને નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમની કબર તેમજ તેમના બંને સાથીઓ (રઝી અલ્લાહુ અન્હુમા) ની કબરની ઝિયારતના આદેશો.
મસ્જિદે નબવીની મહત્ત્વતા અને આદાબ અને નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમની કબર તેમજ તેમના બંને સાથીઓ (રઝી અલ્લાહુ અન્હુમા) ની કબરની ઝિયારતના આદેશો.
તૈયાર કરેલ
મસ્જિદે હરમ અને મસ્જિદે નબવીમાં દીનની બાબતો વર્ણન કરતી એક પ્રમુખ સંસ્થા
૧૪૪૭ હિજરીસન
પ્રસ્તાવના
દરેક પ્રકારની પ્રશંસા સૃષ્ટીના પાલનહાર અલ્લાહ માટે જ છે, દરૂદ અને સલામતી ઉતરે, તે નબી પર, જેમને સૃષ્ટિ માટે અત્યંત દયાળુ બનાવી મોકલવામાં આવ્યા, તેમજ તેમના પરિવારના લોકો પર અને સાથીઓ પર અને તેમના પર, જેઓ તેમનું અનુસરણ કરે છે, અને કયામત સુધી તેમના માર્ગ પર ચાલે છે, ત્યાર પછી:
આ એક સંક્ષિપ્ત પુસ્તિકા છે, જેમાં મસ્જિદે નબવીની મહત્ત્વતા, તેની ઝિયારત કરવાના આદાબ તેમજ નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ અને તેમના બંને સાથીઓની કબરની ઝિયારતના આદાબ વર્ણન કરવામાં આવ્યા છે, આ પુસ્તિકા અમે મસ્જિદે નબવીના મુલાકાત કરનાર માટે સંકલિત કરી છે, જેથી તેઓ ઉમ્મતના નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમની મસ્જિદની મહત્ત્વતા, તેની ઝિયારતના આદાબ અને તેમાં નમાઝ પઢવા વિશે જ્ઞાન અને સમજ મેળવી શકે, અમે અત્યંત કૃપાળુ અને ઉદાર અલ્લાહથી દુઆ કરીએ છીએ કે તે આ પુસ્તિકાને ફાયદાકારક બનાવે, તેને નેક અને ફક્ત તેની પ્રસન્નતા માટે બનાવે, તે જ શ્રેષ્ઠ બદલો આપનાર અને આશા રાખવા માટે સૌથી સન્માનિય છે.
વૈજ્ઞાનિક કમિટી
પ્રથમ: મસ્જિદે નબવીની મહત્ત્વતાઓ
ઉચ્ચ અલ્લાહએ કહ્યું: {અને તમારો પાલનહાર જે ઇચ્છે છે, તેનું સર્જન કરે છે અને જેને ઇચ્છે છે, (પોતાના કામ માટે) પસંદ કરી લે છે, તેમાંથી કોઈને કંઇ પણ અધિકાર નથી, અલ્લાહ માટે જ પવિત્રતા છે, તે પવિત્ર છે, તે દરેક વસ્તુથી, જેને લોકો ભાગીદાર ઠેરવે છે. ૬૮} [અલ્ કસસ: ૬૮], અને ખરેખર અલ્લાહએ આ જગ્યાને તેમના નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમની મસ્જિદ માટે પસંદ કરી અને તેને ઘણી મહત્ત્વતાઓ દ્વારા ખાસ બનાવી, જેમાંથી કેટલીક નીચે પ્રમાણે છે:
તે એ ત્રણ મસ્જિદોમાંથી એક છે, જેની તરફ સફર કરવામાં આવે છે:
અબુ હુરૈરહ રઝી અલ્લાહુ અન્હુ વર્ણન કરે છે કે નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ કહ્યું: «ત્રણ મસ્જિદો સિવાય કોઈ મસ્જિદ માટે સફર કરવામાં ન આવે: ત્રણ મસ્જિદો મસ્જિદ અર્થાત્ મસ્જિદે નબવી, મસ્જિદે હરામ અને મસ્જિદે અકસા» [૧]. [૧] બુખારી (૧૧૮૯), મુસ્લિમ (૧૩૯૭) અને શબ્દો મુસ્લિમ શરીફના છે.
એવી જ રીતે તેમાં પઢવામાં આવેલ નમાઝ મસ્જિદે હરામ સિવાય અન્ય મસ્જિદો કરતા, એક હજાર નમાઝ બરાબર દરજ્જો ધરાવે છે:
અબૂ હુરૈરહ રઝી અલ્લાહુ અન્હુ રિવાયત કરે છે કે નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ કહ્યું: «મારી આ મસ્જિદમાં પઢવામાં આવેલ નમાઝ મસ્જિદે હરામ સિવાય અન્ય મસ્જિદો કરતા, એક હજાર નમાઝ બરાબર દરજ્જો ધરાવે છે». [૨] [૨] બુખારી (૧૧૯૦) , મુસ્લિમ (૧૩૯૫) અને શબ્દો બુખારી શરીફના છે.
તે મસ્જિદ જેનો પાયો પહેલા દિવસથી તકવા પર નાખવામાં આવ્યો:
અબૂ સઇદ ખુદરી રઝી અલ્લાહુ અન્હુ રિવાયત કરે છે, તેમણે કહ્યું: હું અલ્લાહના પયગંબર સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ પાસે તેમની પત્નીઓમાંથી કોઈ એકના ઘરમાં દાખલ થયો, તો મેં કહ્યું: હે અલ્લાહના પયગંબર! તે બે મસ્જિદોમાંથી કઈ મસ્જિદ છે, જેનો પાયો તકવા પર રાખવામાં આવ્યો છે? તો તેમણે મુઠ્ઠીભર કાંકરી લીધી, અને તેને જમીન પર મારી, પછી કહ્યું: «તે તમારી આ મસ્જિદ છે», અર્થાત્ મદીનાની મસ્જિદ [૩]. [૩] આ હદીષને ઈમામ મુસ્લિમ રહિમહુલ્લાહએ વર્ણન કરી છે, હદીષ નંબર: (૧૩૯૮).
એવી જ રીતે વિદ્યાર્થીનો સવાબ અલ્લાહના માર્ગમાં મુજાહિદ (યુદ્ધ) ના સવાબ જેટલો છે:
અબૂ હુરૈરહ રઝી અલ્લાહુ અન્હુ રિવાયત કરે છે, તેમણે કહ્યું: મેં નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમને કહેતા સાંભળ્યા: «જે વ્યક્તિ મારી આ મસ્જિદમાં ફક્ત કોઈ ભલાઈ શીખવા અથવા શીખવાડવા માટે જ આવે, તો તે અલ્લાહના માર્ગમાં જિહાદ (યુદ્ધ) કરનાર વ્યક્તિના દરજ્જાની માફક દરજ્જો ધરાવે છે, અને જે કોઈ આ સિવાય બીજા કોઈ હેતુથી આવે, તો તે એવા વ્યક્તિના દરજ્જામાં છે, જે બીજાના સામાનને જોતો હોય» [૪]. [૪] આ હદીષને ઈમામ ઈબ્ને માજહ રહિમહુલ્લાહએ વર્ણન કરી છે, હદીષ નંબર: (૨૨૭), સહીહ સનદની સાથે.
તેમાં રિયાઝુલ્ જન્નહ છે:
અબુ હુરૈરહ રઝી અલ્લાહુ અન્હુથી રિવાયત છે કે નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ કહ્યું: «મારા ઘર અને મારા મિન્બર વચ્ચેની જગ્યા જન્નતના બગીચાઓ માંથી એક બગીચો છે, અને મારો મિન્બર મારા હૌજ પર છે» [૫]. [૫] મુત્તફકુન અલૈહિ: બુખારી, હદીષ નંબર: (૧૧૯૫), મુસ્લિમ: (૧૩૯૦).
બીજું: મસ્જિદે નબવી શરીફની ઝિયારત કરવી મુસ્તહબ છે
આજ મહત્તવતાઓ અને અન્ય કારણોસર મસ્જિદે નબવીમાં નમાઝ પઢવા અને ઇબાદત કરવા માટે તેની ઝિયારત કરવી મુસ્તહબ છે.
- હાજી અને બીજા લોકો માટે હજ પહેલા અથવા પછી મસ્જિદે નબવીની ઝિયારત કરવી સુન્નત છે, અને આ ઝિયારત ન તો હજની શરતો માંથી છે, ન તેના મુખ્ય ભાગો માંથી છે અને ન તેના અનિવાર્ય કાર્યો માંથી છે, અને તેનો હજ સાથે કોઈ સંબંધ નથી.
મસ્જિદે નબવી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમની ઝિયારત માટે નમાઝોની કોઈ સંખ્યા નક્કી નથી અથવા મદીનામાં કોઈ નક્કી સમય સુધી રોકાવું પણ જરૂરી નથી, પરંતુ એક નમાઝ પઢવાથી પણ ઝિયારત પૂરી થઈ જાય છે, ભલેને તે અનિવાર્ય હોય કે નફિલ, પરંતુ જેટલી વધુ નમાઝો તેમાં પઢવામાં આવશે, તેટલો જ સવાબ પણ વધુ મળશે.
મસ્જિદે નબવીની ઝિયારત કરનાર માટે મુસ્તહબ છે કે તે બધી જ અનિવાર્ય નમાઝો અને નફિલ નમાઝો પણ ત્યાં જ અદા કરે; કારણકે જેવું કે પહેલા વર્ણન થઈ ગયું છે કે તેમાં નમાઝ પઢવી મસ્જિદે હરામ સિવાય બાકી દરેક મસ્જિદોમાં નમાઝ પઢવાથી એક હજાર ઘણું શ્રેષ્ઠ છે.
ત્રીજું: મસ્જિદે નબવીની ઝિયારતના આદાબ
જ્યારે મુસલમાન મસ્જિદે નબવીમાં આવે, તો તેના માટે સામાન્ય રીતે મસ્જિદોના અને ખાસ કરીને મસ્જિદે નબવીના શરઈ અદબોનું પાલન કરવું મુસ્તહબ છે, જે નીચે પ્રમાણે છે:
મસ્જિદમાં શાંતિ, સભ્યતા, પવિત્રતા, સારો દેખાવ અને સારી ખુશ્બુ સાથે આવવું; કારણકે અબૂ હુરૈરહ રદિઅલ્લાહુ અન્હુ વર્ણન કરે છે, અલ્લાહના પયગંબર સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ કહ્યું: «જ્યારે નમાઝ માટે ઇકામત કહેવાય, તો તમે દોડતા દોડતા ન આવો, પરંતુ શાંતિ અને સભ્યતાથી આવો, જે નમાઝ તમને મળે તે પઢી લો અને જે છૂટી જાય, તે પૂરી કરી લો; કારણ કે તમારામાંથી કોઈ જ્યારે નમાઝનો ઇરાદો કરીને નીકળે છે, તો તે નમાઝમાં જ હોય છે»[૬], અને અબૂ સઇદ ખુદરી રઝી અલ્લાહુ અન્હુ રિવાયત કરે છે કે નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ કહ્યું: «શુક્રવારના દિવસે દરેક પુખ્તવય વ્યક્તિ પર ગુસલ કરવું વાજિબ છે, અને તે મિસ્વાક (દાતણ) કરે, જો કોઈ સુગંધ તેની પાસે હોય તે પણ જરૂર લગાવે»[૭], અને જ્યારે કોઈ સ્ત્રી મસ્જિદમાં આવે, તો તેના માટે જરૂરી છે કે તે સંપૂર્ણ પડદામાં હોય, અને તેના માટે ખુશ્બૂ અથવા સુગંધનો ઉપયોગ કરવો જાઈઝ નથી, કારણકે નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ કહ્યું: «જ્યારે તમારા માંથી કોઈ સ્ત્રી મસ્જિદમાં આવે, તો ખુશ્બુ ન લગાવે» [૮]. [૬] આ હદીષને ઈમામ બુખારી રહિમહુલ્લાહએ વર્ણન કરી છે, હદીષ નંબર: (૬૩૬) અને ઈમામ મુસ્લિમ રહિમહુલ્લાહએ વર્ણન કરી છે, હદીષ નંબર: (૬૦૨). [૭] મુત્તફકુન અલૈહ: સહીહ બુખારી, હદીષ નંબર: (૮૪૬), સહીહ મુસ્લિમ: (૮૫૮), અને મુહતલિમનો અર્થ: પુખ્તવય છે. [૮] આ હદીષને ઈમામ મુસ્લિમ રહિમહુલ્લાહએ વર્ણન કરી છે, હદીષ નંબર: (૪૪૩).
મસ્જિદે નબવીમાં પ્રવેશ કરતી વખતે જમણો પગ મૂકવો અને મસ્જિદમાં પ્રવેશ કરવાની દુઆ પઢવી. ઝિયારત કરનાર માટે મુસ્તહબ છે કે તે અન્ય મસ્જિદોની જેમ મસ્જિદે નબવીમાં પ્રવેશ કરતી વખતે પોતાનો જમણો પગ મૂકે અને આ દુઆ પઢે: «"બિસ્મિલ્લાહિ, વસ્સલામુ અલા રસૂલિલ્લાહ, અલ્લાહુમ્મગ્ફિર્ લી ઝુનૂબી વફ્તહ લી અબ્વાબ રહમતિક", અર્થ: અલ્લાહના નામથી, અને સલામતી ઉતરે અલ્લાહના પયગંબર પર, હે અલ્લાહ! તું મારા ગુનાહ માફ કરી દે અને મારા માટે રહેમતના દરવાજા ખોલી નાખ» [૯]. એવી જ રીતે આ પણ કહેતા: «"અઊઝુબિલ્લાહિલ્ અઝીમ, વ બિવજહિહિલ્ કરીમ, વબિ સુલ્તાનિહિલ્ કદીમિ મિનશ્ શયતાનિર્ રજીમી", અર્થ: હું મહાન અલ્લાહ પાસે, તેની પવિત્ર ઝાત અને તેના સામ્રાજ્ય દ્વારા ધૃતકારેલા શેતાનથી તારી પનાહમાં આવું છું»[૧૦]. [૯] આ હદીષને ઈમામ ઈબ્ને માજહ રહિમહુલ્લાહએ વર્ણન કરી છે, હદીષ નંબર: (૭૭૧), અને તેની સનદ સહીહ છે. [૧૦] આ હદીષને ઈમામ અબૂ દાવુદ રહિમહુલ્લાહએ વર્ણન કરી છે, હદીષ નંબર: (૪૬૬), સહીહ દરજ્જાની સનદ સાથે.
તહય્યતુલ્ મસ્જિદ અદા કરવી: જે વ્યક્તિ મસ્જિદે નબવીમાં નમાઝ પઢવા માટે દાખલ થાય, તેના માટે બેસતા પહેલા બે રકઅત તહય્યતુલ્ મસ્જિદ પઢવી સુન્નત છે; કારણકે અબૂ કતાદાહ અલ્ હારિષ બિન્ રિબ્ઈ અલ્ અન્સારી રઝી અલ્લાહુ અન્હુ થી રિવાયત છે, તેમણે કહ્યું: નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ કહ્યું: «તમારા માંથી જ્યારે કોઈ વ્યક્તિ મસ્જિદમાં પ્રવેશ કરે, તો બે રકઅત (તહહય્યતુલ્ મસ્જિદ) નમાઝ પઢયા વગર ન બેસે» [૧૧]. [૧૧] મુત્તફકુન અલૈહિ: બુખારી, હદીષ નંબર: (૧૧૭૧), મુસ્લિમ: (૭૧૪).
પહેલી સફમાં નમાઝ પઢવા માટે ઉત્સુક રહેવું જોઈએ; કારણકે તેમાં ઘણી મહાનતા અને કૃપા છે, અને તે ફક્ત વહેલા આવવાથી જ શક્ય છે, અબૂ હુરૈરહ રઝી અલ્લાહુ અન્હુ રિવાયત કરે છે કે અલ્લાહના પયગંબર સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ કહ્યું: «જો લોકો જાણી લે કે અઝાન આપવાનો અને પહેલી સફમાં નમાઝ પઢવાનો સવાબ કેટલો છે, તો તેમની પાસે ચિઠ્ઠીમાં (નામ લખી જેનું નામ આવે તે અઝાન આપે અને તે જ પહેલી સફમાં નમાઝ પણ પઢે) તે સિવાય અન્ય કોઈ માર્ગ ન હોત»[૧૨], એવી જ રીતે આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ પોતાના સહાબા રઝી અલ્લાહુ અન્હુમને કહે છે: «આગળ આવો, અને મારું અનુસરણ કરો, અને જે વ્યક્તિ તમારા પછી હોય તેઓ તમારું અનુસરણ કરે, કેટલાક લોકો સતત પાછળ ઉભા હોય છે, અહીં સુધી કે અલ્લાહ તેમને પાછળ કરી દેશે»[૧૩]. [૧૨] મુત્તફકુન અલૈહિ: બુખારી, હદીષ નંબર: (૬૧૫), મુસ્લિમ: (૪૩૭). [૧૩] આ હદીષને ઈમામ મુસ્લિમ રહિમહુલ્લાહએ વર્ણન કરી છે, હદીષ નંબર: (૪૩૮).
અને સ્ત્રીઓના હકમાં શ્રેષ્ઠ છે કે તેઓ પાછળ સફમાં નમાઝ પઢે, અને પુરુષોથી દૂર રહે, અબૂ હુરૈરહ રઝી અલ્લાહુ અન્હુ રિવાયત કરે છે, તેમણે કહ્યું: અલ્લાહના પયગંબર સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ કહ્યું: «પુરુષોની સૌથી શ્રેષ્ઠ સફ, પહેલી સફ છે અને અત્યંત ખરાબ સફ છેલ્લી સફ છે, જ્યારે કે સ્ત્રીઓની સૌથી શ્રેષ્ઠ સફ છેલ્લી સફ છે અને સૌથી ખરાબ સફ પહેલી સફ છે»[૧૪]. પરંતુ જો તેણીઓ અલગથી નમાઝ પઢે, અથવા તેણીઓ અને પુરુષો વચ્ચે કોઈ આડ હોય, જેમકે મસ્જિદે નબવીમાં છે, તો તેણીઓની સૌથી શ્રેષ્ઠ સફ પહેલી સફ છે; કારણકે તેનું કારણ દૂર થઈ જાય છે. [૧૪] આ હદીષને ઈમામ મુસ્લિમ રહિમહુલ્લાહએ વર્ણન કરી છે, હદીષ નંબર: (૪૪૦).
ઇમામની પાછળ નમાઝ પઢવી, અને તેનાથી આગળ વધવાથી બચવું; કારણકે અબૂ હુરૈરહ રઝી અલ્લાહુ અન્હુની હદીષ છે કે આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ કહ્યું: «ઇમામ એટલા માટે બનાવવામાં આવે છે કે તમે તેનું અનુસરણ કરો»[૧૫]. [૧૫] આ હદીષને ઈમામ બુખારી રહિમહુલ્લાહએ વર્ણન કરી છે, હદીષ નંબર: (૭૨૨) અને ઈમામ મુસ્લિમ રહિમહુલ્લાહએ વર્ણન કરી છે, હદીષ નંબર: (૪૧૭).
નમાઝ પઢનાર માટે ઇમામથી આગળ ઉભા રહેવું જાઇઝ નથી, સિવાય કે મજબૂરીની સ્થિતિમાં, જેમકે મસ્જિદ નમાઝીઓથી ભરાઈ ગઈ હોય અને તેને નમાઝ પઢવા માટે ઇમામની આગળ સિવાય બીજી કોઈ જગ્યા ન મળે.
સફોની વચ્ચેની ખાલી જગ્યાઓ ભરવી અને તેને સીધી કરવી, પરંતુ લોકો સાથે ધક્કામુક્કી કરવાથી અને તેમને તકલીફ આપવાથી, તેમજ તેમને ઓળંગીને જવાથી અને નમાઝ પઢનાર લોકોની આગળથી પસાર થવાથી સાવચેત રહેવું; કારણ કે આ બાબત તેને ગુનાહમાં નાખી દે છે.
રવઝહમાં નમાઝ પઢવી, જેના માટે શક્ય હોય; કારણકે અબુ હુરૈરહ રઝી અલ્લાહુ અન્હુ વર્ણન કરે છે, કે નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ કહ્યું: «મારા ઘર અને મારા મિન્બર વચ્ચેની જગ્યા જન્નતના બગીચાઓ માંથી એક બગીચો છે, અને મારો મિન્બર મારા હૌઝ પર છે»[૧૬]. [૧૬] મુત્તફકુન અલૈહિ: બુખારી, હદીષ નંબર: (૧૧૯૫), મુસ્લિમ, હદીષ નંબર: (૧૩૯૦).
રવઝહમાં નમાઝ પઢવાની કોઈ વિશેષ મહત્ત્વતા વિશે વર્ણન કરવામાં નથી આવ્યું, પરંતુ તે સાબિત છે કે તે જન્નતના બગીચાઓમાંથી એક બગીચો છે -જેમકે આગળ વર્ણવેલ અબૂ હુરૈરહ રઝી અલ્લાહુ અન્હુની હદીષ દ્વારા સાબિત થાય છે- અને ઇબાદતોની મહત્ત્વતા તેના સમય અને સ્થળની મહત્ત્વતાને કારણે વધી જાય છે.
* ઝિયારત કરનારે રવઝહમાં નમાઝ પઢવા માટે યોગ્ય સમય પસંદ કરવો જોઈએ, અને એવા સમયનો પ્રયત્ન કરવો જોઈએ જ્યારે ભીડ ઓછી હોય, તેણે પોતાના મુસ્લિમ ભાઈઓ સાથે ધક્કા-મુક્કી કરવી, લોકોને ઓળંગીને આગળ વધવું, અથવા ત્યાં નમાઝ પઢવા માટે નમાઝીઓની આગળથી પસાર થવું જાયઝ નથી; કારણકે રવઝહમાં નમાઝ પઢવી નફિલ છે, માટે કોઈ હરામ કાર્ય કરીને તેની મહત્ત્વતા પ્રાપ્ત ન કરવી જોઈએ, એવી જ રીતે ઝિયારત કરનારે રવઝહમાં દાખલ થવા માટેના ખાસ નિયમો અને વ્યવસ્થાઓનું પાલન કરવું જોઈએ, યોગ્ય સમય પસંદ કરવો જોઈએ, અને ઝિયારત કરનારાઓના પ્રવેશનું આયોજન કરનારાઓ સાથે સહકાર આપવો જોઈએ.
સમયનો સદુપયોગ વધુમાં વધુ એવા નેક કાર્યો કરીને કરવો જે પવિત્ર સર્જનહારની નિકટતા અપાવે, જેમકે નમાઝ, કુરઆનની તિલાવત, ઝિક્ર, દુઆ, ઝિક્રની મજલિસોમાં હાજર રહેવું, ઇલ્મી દર્સ, કુરઆને કરીમના શિક્ષણના વર્ગો, વગેરે.
અલ્લાહની કિતાબનું સન્માન કરવું અને તેના પાનાઓ સાથે ગેરવર્તન કરવાથી, તેના પર લખવાથી, અથવા તેની બાજુમાં જૂતા મૂકીને કે જમીન પર મૂકીને તેનું અપમાન કરવા જેવી બાબતોથી સુરક્ષા કરવી; કારણ કે અલ્લાહ તઆલાએ કહ્યું: {આ પ્રમાણેના (દરેક કાર્યો)થી બચવું જોઈએ, અને જે વ્યક્તિ અલ્લાહની નિશાનીઓની ઇજજત કરે, આવું તેના દિલમાં અલ્લાહના ડરના કારણે છે.૩૨} [અલ્ હજ્જ: ૩૨].
અલ્લાહ તઆલાએ હરામ કરેલ બાબતોમાં નજર નીચી રાખવી: મસ્જિદે નબવીના મુલાકાતી માટે જરૂરી છે કે તે પોતાની નજર તે વસ્તુઓથી નીચી રાખવી જેને જોવી તેના માટે હલાલ નથી, અને તેણે આ પવિત્ર જગ્યાએ ગુનોહ કરવાની ગંભીરતા અને તેના પર મળતી સઝાને જાણી લેવી જોઈએ; કારણકે સમય અને સ્થળની મહાનતાના કારણે પાપોનો ગુનોહ વધુ ભવ્ય બની જાય છે, અને તે જ રીતે નેકીઓ પણ, અને મુસ્લિમ સ્ત્રી માટે જરૂરી છે કે તે શરઈ પડદાનું પાલન કરે, અને પોતાનો શણગારને પ્રદર્શિત ન કરે, જેથી પુરુષો ફિતનામાં ન પડે; કારણકે તેનો ગુનોહ ખૂબ જ મહાન છે.
મોબાઇલમાં ફોટોગ્રાફી કરવી અથવા ફોટા અને વીડિયો જોવામાં વ્યસ્ત રહેવા પ્રત્યે ચેતવણી આપવામાં આવી છે, અને આ બાબત ત્યારે વધુ ગંભીર બની જાય છે, જ્યારે આ ફોટા અને વીડિયો હરામ હોય.
મસ્જિદે નબવીમાં ઝઘડો, ઊંચો અવાજ, ગુમ થયેલી વસ્તુની જાહેરાત કરવી, વેચાણ, અને તેના જેવી અન્ય બાબતોથી બચીને રહેવું, જે અન્ય મસ્જિદોમાં પણ યોગ્ય નથી; કારણ કે અબૂ હુરૈરહ રઝી અલ્લાહુ અન્હુ નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમથી વર્ણન કરે છે કે આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ કહ્યું: «જ્યારે તમે કોઈને મસ્જિદમાં લે-વેચ કરતો જુઓ, તો કહો: અલ્લાહ તારા વેપારને સફળ ન કરે, અને જ્યારે તમે કોઈને તેમાં કોઈ ખોવાયેલી વસ્તુની જાહેરાત કરતો જુઓ, તો કહો: અલ્લાહ તને તે પાછી ન ફેરવે»[૧૭]. [૧૭] આ હદીષને ઈમામ તિર્મિઝી રહિમહુલ્લાહએ વર્ણન કરી છે, હદીષ નંબર: (૧૩૨૧), અને ઈમામ ઈબ્ને ખુઝૈમહ રહિમહુલ્લાહએ વર્ણન કરી છે, હદીષ નંબર: (૧૩૦૫), સહીહ સનદની સાથે.
વ્યક્તિગત પાકી સફાઇનું ધ્યાન રાખવું, અને અયોગ્ય દુર્ગંધ જેમ કે કાચું લસણ, કાચી ડુંગળી, ધૂમ્રપાન અને પરસેવાથી બચવું, અને તેના જેવી બીજી વસ્તુઓ, જેનાથી નમાઝી ભાઈઓને તકલીફ પહોંચે; જાબિર બિન્ અબ્દુલ્લાહ રઝી અલ્લાહુ અન્હુ રિવાયત છે, તેમણે કહ્યું: અલ્લાહના પયગંબર સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ કહ્યું: «જે વ્યક્તિ કાચું લસણ અને કાચી ડુંગળી ખાઈ લે તો તેણે અમારાથી દૂર રહેવું જોઈએ, -અથવા કહ્યું: તે અમારી મસ્જિદથી દૂર રહે, અને પોતાના ઘરમાં જ બેસી રહે» [૧૮]. [૧૮] આ હદીષને ઈમામ બુખારી રહિમહુલ્લાહએ વર્ણન કરી છે, હદીષ નંબર: (૭૩૫૯), ઈમામ મુસ્લિમ રહિમહુલ્લાહએ વર્ણન કરી છે, હદીષ નંબર: (૫૬૪).
મસ્જિદે નબવીની સફાઈનો ખ્યાલ રાખવો, અને મસ્જિદની અંદર અને તેના પ્રાંગણોમાં કચરો ન ફેંકવો, જેમકે વધેલું ભોજન અને ઇફ્તારના પાથરણાં (ખાસ કરીને રમઝાન મહિનામાં), અથવા આવવા-જવાના રસ્તાઓ અને પ્રાંગણોમાં થૂંકવું નહીં, વગેરે.
આવવા-જવાના રસ્તાઓ પર, દરવાજાઓ પર અને ભીડવાળી જગ્યાઓ પર નમાઝ પઢવાનું ટાળવું; કારણકે તેનાથી નુકસાન થાય છે, રસ્તાઓ બંધ થઈ જાય છે અને મુસલમાનોને તકલીફ પહોંચે છે.
પુરુષો અને સ્ત્રીઓ મસ્જિદે નબવીની અંદર અથવા તેના આંગણામાં પોત પોતાની નક્કી કરેલી જગ્યાઓ પર નમાઝ પઢે, પુરુષ સ્ત્રીની બાજુમાં નમાઝ ન પઢે અને ન તો સ્ત્રી પુરુષની બાજુમાં, અને શક્ય હોય ત્યાં સુધી ઈમામથી આગળ વધવાથી બચવું જોઈએ.
મસ્જિદમાંથી નીકળતી વખતે ડાબો પગ મૂકી કહે: «"અલ્લાહુમ્મ ઇન્ની અસ્અલુક મિન્ ફઝ્-લિક" (અર્થ: હે અલ્લાહ! હું તારી પાસે તારી કૃપાનો સવાલ કરું છું)»[૧૯], અથવા આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ પર દરૂદ પઢે અને કહે: «"રબ્બિગ્ફિર્-લી ઝુનૂબિ, વફ્તહ-લી અબ્વાબ રહ્-મતિક" અર્થ: હે મારા પાલનહાર! મારા ગુનાહોને માફ કરી દે, અને તારી કૃપા lના દરવાજાઓને મારા માટે ખોલી દે»[૨૦]. [૧૯] આ હદીષને ઈમામ મુસ્લિમ રહિમહુલ્લાહએ વર્ણન કરી છે, હદીષ નંબર: (૭૧૩). [૨૦] આ હદીષને ઈમામ તિર્મિઝી રહિમહુલ્લાહએ વર્ણન કરી છે, હદીષ નંબર: (૩૧૪), સહીહ સનદની સાથે.
ચોથું: નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમની કબર અને બન્ને સહાબાઓની કબરની ઝિયારત વિષે આદેશો અને આદાબ
* નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ અને તેમના બન્ને સાથીઓ: અબૂ બકર અને ઉમર રઝી અલ્લાહુ અન્હુમાની કબરોની ઝિયારત કરવી, મદીનાવાસીઓ અને બહારથી આવનાર મુલાકાતીઓ માટે મુસ્તહબ છે; કબરોની ઝિયારતને જાઈઝ ઠેરવતી સામાન્ય દલીલોને કારણે, જેમાંથી એક, આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ કહ્યું: «મેં તમને કબરોની ઝિયારત કરવાથી રોક્યા હતા, પરંતુ હવે તેની ઝિયારત કરો»[૨૧]. [૨૧] આ હદીષને ઈમામ મુસ્લિમ રહિમહુલ્લાહએ વર્ણન કરી છે, હદીષ નંબર: (૯૭૭).
અને આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમના મૃત્યુ પછી આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ પર સલામ મોકલવાની મહત્ત્વતા પર આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમનો આ આદેશ પુરાવો આપે છે: «જયારે પણ કોઈ વ્યક્તિ મારા પર સલામ મોકલે છે, તો મહાન ઉચ્ચ અલ્લાહ મારા પ્રાણ મારામાં પાછા મોકલી દે છે, અહી સુધી કે હું તેના સલામનો જવાબ આપી દઉં»[૨૨]. [૨૨] મસુન્દ અહમદ, હદીષ નંબર: (૧૦૮૧૫), જેની સનદ હસન દરજ્જાની છે.
અને સ્ત્રીઓ માટે આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમની કબર અને અન્ય મુસલમાનોની કબરોની ઝિયારત કરવી જાઈઝ નથી; કારણકે કબરોની ઝિયારત પુરુષો માટે છે, અને સ્ત્રીઓને કબરોની ઝિયારત કરવાથી રોકવામાં આવી છે, જેમકે ઇબ્ને અબ્બાસ રઝીયલ્લાહુ અન્હુમાથી રિવાયત છે, તેમણે કહ્યું: «અલ્લાહના રસૂલ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ કબરોની ઝિયારત કરનારી સ્ત્રીઓ, તેના પર મસ્જિદ બનાવનારાઓ અને દીવા કરનારાઓ પર લઅનત કરી છે»[૨૩]. અબુ હુરૈરહ રઝી અલ્લાહુ અન્હુ રિવાયત કરે છે, તેમણે કહ્યું: «આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ કબરોની વધુ પ્રમાણમાં મુલાકાત લેનારી સ્ત્રીઓ પર લઅનત કરી છે»[૨૪]. [૨૩] આ હદીષને ઈમામ અબૂ દાવુદ રહિમહુલ્લાહએ વર્ણન કરી છે, હદીષ નંબર: (૩૨૩૬), અને ઈમામ તિર્મિઝી રહિમહુલ્લાહએ વર્ણન કરી છે, હદીષ નંબર: (૩૨૦) અને ઈમામ નસાઈ રહિમહુલ્લાહએ વર્ણન કરી છે, હદીષ નંબર: (૨૦૪૩). [૨૪] આ હદીષને ઈમામ તિર્મિઝી રહિમહુલ્લાહએ વર્ણન કરી છે, હદીષ નંબર: (૧૦૫૬), અને ઈબ્ને માજહ રહિમહુલ્લાહએ વર્ણન કરી છે, હદીષ નંબર: (૧૫૭૬), હસન સનદ સાથે.
* ફક્ત નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમની કબરની ઝિયારતની નિયતથી સફર કરવો જાઈઝ નથી; પરંતુ તેણે પોતાના સફરની નિયત મસ્જિદની ઝિયારત અને તેમાં નમાઝ પઢવા માટે કરવી જોઈએ, જ્યારે તે મદીનહ પહોંચી જાય, તો તેના માટે કબરની ઝિયારત કરવી જાઈઝ છે, જેવી રીતે મદીનહના રહેવાસીઓ માટે જાઈઝ છે; કારણકે નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ કહ્યું છે: «ત્રણ મસ્જિદો સિવાય કોઈ મસ્જિદ માટે સફર કરવામાં ન આવે: ત્રણ મસ્જિદો મસ્જિદ અર્થાત્ મસ્જિદે નબવી, મસ્જિદે હરામ અને મસ્જિદે અકસા»[૨૫]. [૨૫] બુખારી, હદીષ નંબર: (૧૧૮૯), મુસ્લિમ, હદીષ નંબર: (૧૩૯૭) શબ્દો મુસ્લિમ શરીફના છે.
નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમની કબર અને તેમના બન્ને સહાબાઓ રઝી અલ્લાહુ અન્હુમાની કબરની ઝિયારતના શરઈ આદબ.
ઝિયારત કરનાર નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમની કબરની સામે ઉભો રહે, પછી અદબ અને ધીમા અવાજે નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ પર સલામ પઢે, અને કહે: (“અસ્સલામુ અલયક યા રસૂલુલ્લાહ વરહ્મતુલ્લાહિ વ બરકાતુહુ” અર્થ: હે અલ્લાહના પયગંબર તમારા પર સલામતી, અને અલ્લાહની કૃપાઓ ઉતરે), અને જો તેનાથી વધુ આ શબ્દો પણ કહે: (“અશ્હદુ અન્નક કદ બલ્લગતર્ રિસાલત, વ અદ્ દયતલ્ અમાનત, વ નસહતલ્ ઉમ્મત, વ જાહદ્ત ફિલ્લાહિ હક્કલ્ જિહાદ” અર્થ: હું ગવાહી આપું છું કે આપે સંદેશ પહોંચાડી દીધો, આપે અમાનત અદા કરી, આપે ઉમ્મતને નસીહત કરી, અને અલ્લાહના માર્ગમાં જે પ્રમાણે મહેનત કરવી જોઈએ તે આપે કરી), તો તેમાં કોઈ વાંધો નથી; કારણકે આ બધું સત્ય છે.
પછી એક ડગલું જમણી બાજુ જઇ અબૂ બકર સિદ્દીક રઝી અલ્લાહુ અન્હુની કબર સામે ઊભા રહેવું, અને કહે: «"અસ્સલામુ અલૈક યા અબા બકર અસ્ સિદ્દીક, અસ્સલામુ અલૈક યા ખલીફતું રસૂલિલ્લાહિ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ, રઝી અલ્લાહુ અન્ક વ અરઝાક, વ જઝાક અન્ ઉમ્મતિ મુહમ્મદિન્ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ ખૈરન્" અર્થ: હે અબૂ બકર સિદ્દીક! તમારા પર સલામતી થાય, હે અલ્લાહના પયગંબર સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમના નાયબ! તમારા પર સલામતી થાય, અલ્લાહ તમારાથી પ્રસન્ન થાય અને તમને પણ રાજી કરે, અને મુહમ્મદ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમની ઉમ્મત તરફથી અલ્લાહ તમને સર્વ શ્રેષ્ઠ બદલો આપે».
પછી એક પગલું જમણી બાજુ જઇ ઉમર બિન ખત્તાબ રઝી અલ્લાહુ અન્હુની કબર સામે ઉભા રહે અને કહે: «"અસ્સલામુ અલૈક યા ઉમરલ્ ફારૂક, રઝી અલ્લાહુ અન્ક વ અરઝાક, વ જઝાક અન્ ઉમ્મતિ મુહમ્મદિન્ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ ખૈરન્" અર્થ: હે ઉમર ફારૂક! તમારા પર સલામતી થાય, અલ્લાહ તમારાથી પ્રસન્ન થાય અને તમને પણ પ્રસન્ન કરે, અને મુહમ્મદ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમની ઉમ્મત તરફથી અલ્લાહ તમને સર્વ શ્રેષ્ઠ બદલો આપે».
ઈબ્ને ઉમર રઝી અલ્લાહુ અન્હુમા જ્યારે સફરથી પરત આવતા, તો અલ્લાહના પયગંબર સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમની કબર પાસે આવીને કહેતા: «"અસ્સલામુ અલૈક યા રસૂલુલ્લાહ, અસ્સલામુ અલૈક યા અબા બકર, અસ્સલામુ અલૈક યા અબતાહુ" અર્થ: હે અલ્લાહના પયગંબર! તમારા પર સલામતી થાય, હે અબૂ બકર! તમારા પર સલામતી થાય, હે મારા પિતા! તમારા પર સલામતી ઉતરે, ત્યાર પછી ત્યાંથી નીકળી જતા»[૨૬]. [૨૬] આ હદીષને ઈમામ બૈહકી રહિમહુલ્લાહએ સુનનુલ્ કુબ્રામાં વર્ણન કરી છે, હદીષ નંબર: (૧૦૨૭૧), સહીહ સનદ સાથે.
કબરની દીવાલો અને વાડને સ્પર્શ ન કરે, અને ન તો તેને ચૂમે:
ઈમામ માલિક રહિમહુલ્લાહએ કહ્યું: "જયારે કોઈ વ્યક્તિ નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ પર સલામ પઢે, તો કબર તરફ મોઢું રાખીને ઉભો રહે; કિબ્લા તરફ નહીં, અને નજીક જઈ સલામ પઢે અને કબરને હાથ વડે સ્પર્શ ન કરે" [૨૭]. [૨૭] કાઝી અયાઝ રહિમહુલ્લાહની કિતાબ, અશ્ શિફા, (૨/૧૯૯).
અને દરેક આલિમો આ વાત પર એકમત છે કે નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમની કબરને હાથ વડે સ્પર્શ કરવામાં ન આવે અને તેને ચૂમવામાં ન આવે.
કબર પાસે વધુ સમય ઊભા ન રહેવું, પરંતુ સલામ કરીને ત્યાંથી નીકળી જવું.
ઈમામ માલિક રહિમહુલ્લાહએ કહ્યું: "હું પયગંબર સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમની કબર પાસે ઊભા રહીને દુઆ કરવી યોગ્ય નથી સમજતો, પરંતુ સલામ કરી આગળ વધી જવું જોઈએ" [૨૮]. [૨૮] કાઝી અયાઝ રહિમહુલ્લાહની કિતાબ, અશ્ શિફા, (૨/૧૯૯).
અને નાફિઅ રહિમહુલ્લાહએ કહ્યું: "ઈબ્ને ઉમર રઝી અલ્લાહુ અન્હુ કબર પર સલામ મોકલતા હતા.. મેં તેમને સો વખત અને તેનાથી પણ વધુ વખત કબર પાસે આવતા જોયા છે, તેઓ કહેતા: ""અસ્સલામુ અલૈન્ નબી, અસ્સલામુ અલા અબી બકર, અસ્સલામુ અલા અબી" (અર્થ: અલ્લાહના પયગંબર સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ પર સલામ. અબૂ બકર પર સલામ. મારા પિતા પર સલામ) પછી તેઓ ત્યાંથી જતા રહેતા" [૨૯]. [૨૯] આ હદીષને ઈમામ આજરી રહિમહુલ્લાહએ કિતાબ અશ્ શરીઅહ (૫/૨૩૭૪) માં વર્ણન કરી છે, હદીષ નંબર: (૧૮૫૩).
કેટલાક ઝિયારત કરનાર જોરજોરથી અવાજ કરતા હોય છે અને લાંબા સમય સુધી ઉભા રહેતા હોય છે, આ શરીઅત વિરુદ્ધ કાર્ય છે.
પયગંબર સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ અથવા તેમના સિવાય અન્ય કોઈ પણ સર્જન પાસે કોઈ લાભ મેળવવા, કોઈ નુકસાનને દૂર કરવા, કોઈ જરૂરત પૂર્ણ કરવા બાબતે સવાલ કરવા, કોઈ મુસીબતને દૂર કરવા, બીમારને તંદુરસ્તી, ભલામણ માંગવા, અઝાબથી મુક્તિ મેળવવા, અથવા તેના જેવી અન્ય દુઆઓ કરવી જાઈઝ નથી; કારણકે અલ્લાહ સિવાય અન્યને એવી બાબતોમાં પોકારવું જેના પર ફક્ત અલ્લાહ જ શક્તિ ધરાવે છે, તે હરામ અને મોટું શિર્ક છે, ઉચ્ચ અલ્લાહએ કહ્યું: ﴾અને તમારા પાલનહારનો આદેશ છે કે તમે મને પોકારો, હું તમારી દુઆ કબૂલ કરીશ, નિ:શંક જે લોકો મારી બંદગીથી ઘમંડ કરે છે, તે નજીકમાં જ અપમાનિત થઇ જહન્નમમાં પહોંચી જશે﴿ [ગાફિર: ૬૦]. બીજી એક જગ્યાએ પવિત્ર અલ્લાહએ કહ્યું: ﴾ખરેખર અલ્લાહને છોડીને જેની બંદગી તમે કરો છો, તેઓ પણ તમારા જેવા જ બંદાઓ છે, જો તમે તમારા (વચનમાં) સાચા હોવ તો જરૂરી છે કે જ્યારે તમે તેમને પોકારો તો તેઓ તેનો જવાબ આપે﴿. [અલ્ અઅરાફ: ૧૯૪], બીજી એક જગ્યાએ ઉચ્ચ અને મહાન અલ્લાહએ કહ્યું: ﴾અને એ કે મસ્જિદો ફકત અલ્લાહ માટે જ છે. બસ! અલ્લાહ તઆલા સાથે કોઇ અન્યને ન પોકારો﴿ [અલ્ જિન: ૧૮].
કબર પાસે દુઆ ન કરવી, અને જો દુઆ કરવાનો ઈરાદો હોય તો કબરથી આગળ વધી, કિબ્લા તરફ મોઢું ફરી દુઆ કરવી, અને દુઆ માટે કબર તરફ મોઢું ન કરવું.
અને ઈમામ માલિક રહિમહુલ્લાહએ કહ્યું: "મારા મતે નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમની કબર પર ઊભા રહીને દુઆ કરવી યોગ્ય નથી".
મસ્જિદમાં પ્રવેશ કરતી વખતે અને બહાર નીકળતી વખતે વારંવાર કબરની મુલાકાત લેવી શરીઅત મુજબ જાઈઝ નથી, ભલે તે મદીનહના રહેવાસીઓ હોય કે બહારથી આવનારા મુલાકાતીઓ; કારણકે આ શક્ય છે કે આમ કરવાથી કબરને ઈદ (વારંવાર ભેગા થવાની જગ્યા) બનાવી લેવામાં આવશે.
આ પ્રમાણે અલ્લાહના પયગંબર સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ રોક્યા છે, અને કહ્યું: «મારી કબર ને ઈદ (મેળો) ન બનાવશો, પોતાના ઘરોને કબ્રસ્તાન ન બનાવો, અને તમે જ્યાં પણ હોવ મારા પર દરૂદ મોકલતા રહો, કારણકે તમે જ્યાં પણ હશો, તમારું દરૂદ મારા સુધી પહોંચાડવામાં આવે છે»[૩૦]. [૩૦] મસુન્દ અહમદ, હદીષ નંબર: (૮૮૦૪), આ હદીષની સનદ હસન દરજ્જાની છે.
અને “મારી કબરને મેળો ન બનાવશો” નો અર્થ: કોઈ ખાસ સમય અથવા કોઈ ખાસ સ્થિતિમાં વારંવાર તેની પાસે અવર-જવર કરવી, જેમ કે દરરોજ, દર અઠવાડિયે અથવા દર મહિને તેની ઝિયારતને ખાસ કરવી, અથવા કોઈ ચોક્કસ સ્થિતિ સર્જાતા તેની ઝિયારત કરવી, અને એમ પણ કહેવામાં આવ્યું છે: અર્થાત તેને એવો મોસમ ન બનાવશો, જેમાં તમે ભેગા થાઓ[૩૧]. [૩૧] જુઓ: ઈમામ રાગિબ અલ્ અસ્ફહાની કિતાબ, અલ્ મુફરદાત, (પેજ નંબર: ૫૯૪), અને ઈમામ શૌકાની રહિમહુલ્લાહની કિતાબ, શરહુસ્ સુદૂર બિ તહરીમ રફઉલ્ કુબૂર (પેજ નંબર: ૧૬).
અને ઈમામ માલિક રહિમહુલ્લાહએ કહ્યું: "મદીનાના રહેવાસીઓ જે મસ્જિદમાં આવે અને જાય છે, તેમના માટે કબર પાસે ઊભા રહેવું જરૂરી નથી, પરંતુ તે તો ફક્ત બહારથી આવતા લોકો માટે છે"[૩૨]. [૩૨] કાઝી અયાઝ રહિમહુલ્લાહની કિતાબ, અશ્ શિફા, (૨/૧૯૯), ઇબ્ને હાજ્ રહિમહુલ્લાહની કિતાબ, અલ્ મદ્ખલ્, (૧/૨૬૨).
અને તેમનું (રહિમહુલ્લાહ) કહેવું છે: "આ ફક્ત પરદેશીઓ માટે છે": એટલે કે સામાન્ય ઝિયારત, દાખલ થતા અને નીકળતા સમયે વારંવાર ઝિયારત કરવી નહીં.
કબરની સામે નમાઝ પઢનારની માફક એક હાથ બીજા હાથ પર છાતી પર અથવા તેની નીચે રાખીને ઉભા રહેવું જાઈઝ (યોગ્ય) નથી; કારણકે આ સ્થિતિ નમાઝ માટે જ ખાસ છે, અને તે આજીજી અને વિનમ્રતાની સ્થિતિ છે, જે પવિત્ર અને ઉચ્ચ અલ્લાહ સિવાય કોઈના માટે યોગ્ય નથી.
દૂરથી નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ પર સલામ મોકલવા માટે કબર તરફ મોઢું ન કરવું જોઈએ, જેમકે કેટલાક લોકો કરે છે; કારણ કે આ કાર્ય ન તો સહાબા રઝી અલ્લાહુ અન્હુમએ કર્યું છે અને ન તો સદાચારી પૂર્વજોએ, જેમકે ચાર ઈમામો અને અન્ય.
કોઈપણ દિશાથી પવિત્ર કબર તરફ મોઢું કરીને દુઆ, કુરઆનની તિલાવત અથવા તેના જેવા કાર્યો ન કરવા; કારણકે આ પણ પાછલી બિદ્અતનો જ એક ભાગ છે, અને કોઈ મુસલમાન માટે જાઈઝ નથી કે તે દીનમાં એવી વાતોનો અવિષ્કાર કરે જેની અલ્લાહએ પરવાનગી આપી નથી, ઈમામ માલિક રહિમહુલ્લાહએ આ પ્રકારના કાર્યોને નકારીને કહ્યું: "આ કોમના અંતિમ લોકોનો સુધારો પણ તે જ વસ્તુ દ્વારા થશે, જેના દ્વારા પહેલાના લોકોનો સુધારો કરવામાં આવ્યો હતો" [૩૩]. [૩૩] ઈબ્ને બાઝ રહિમહુલ્લાહની કિતાબ, મજમૂઉ ફતાવા (૧૬/ ૧૧૦).
નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ પર સલામ પેશ કરતી વખતે વીડિયો બનાવવા અને સીધા પ્રસારણમાં વ્યસ્ત ન રહેવું.
દરૂદ અને સલામતી ઉતરે આપણા નબી મુહમ્મદ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ પર, અને તેમના ઘરવાળાઓ પર અને તેમના સાથીઓ પર.