رسالتان موجزتان في الزكاة والصيام

رسالتان موجزتان في الزكاة والصيام

ઝકાત અને રોઝા વિશે બે સંક્ષિપ્ત પુસ્તિકા

Language: lang_gu
Prepared by: અબ્દુલ અઝીઝ બિન્ અબ્દુલ્લાહ બિન્ બાઝ
Version: 2.0
Translations 43
Assamese Azerbaijani Bengali Bosnian +39
Attachments 7
PDF
Audio
Video
+3

ઝકાત અને રોઝા વિશે બે સંક્ષિપ્ત પુસ્તિકા

સન્માનિય શૈખ

અબ્દુલ અઝીઝ બિન્ અબ્દુલ્લાહ બિન્ બાઝ

અલ્લાહ તઆલા તેમના પર રહમ કરે

પહેલી પુસ્તિકા

ઝકાત બાબતે કેટલાક અગત્યના મુદ્દાઓ

શરૂ અલ્લાહના નામથી જે અત્યંત કૃપાળુ અને દયાળુ છે

દરેક પ્રકારના પ્રશંસા તે અલ્લાહ માટે જ છે, જે એકલો છે, દરૂદ અને સલામતી તે નબી પર જેના પછી કોઈ નબી નથી અને તેમના સંતાનો અને સહાબાઓ પર, ત્યાર પછી:

આ શબ્દોને લખવાનો હેતુ લોકોને ફર્ઝ ઝકાતની યાદગીરી અને નસિંહત કરવાનો છે, જેના વિશે ઘણા મુસલમાનો અજાણ છે અને શરીઅતે વર્ણવેલ હિસાબ પ્રમાણે ઝકાત આપતા નથી, જ્યારે કે તેનું ખૂબ જ મહત્વ છે, અને ઝકાત ઇસ્લામના તે પાંચ અગત્યના સિદ્ધાંતો (પિલરો) માંથી એક છે, જેના વગર ઇસ્લામની બુનિયાદ શક્ય નથી, આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ કહ્યું: «ઇસ્લામ પાંચ વસ્તુઓ પર આધારિત છે: તે વાતની સાક્ષી આપવી કે અલ્લાહ સિવાય કોઈ સાચો ઇલાહ નથી અને મુહમ્મદ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ અલ્લાહના પયગંબર છે, નમાઝ કાયમ કરવી, ઝકાત આપવી, રમઝાનના રોઝા રાખવા, અને બૈતુલ્લાહ જઈ હજ્જ કરવી». તેને માન્ય હોવામાં ઇમામ બુખારી ઈમામ મુસ્લિમ એકમત છે. [૧] આ હદીષને ઈમામ બુખારી રહિમહુલ્લાહએ વર્ણન કરી છે, હદીષ નંબર: (૮) અને ઈમામ મુસ્લિમ રહિમહુલ્લાહએ વર્ણન કરી છે, હદીષ નંબર: (૧૬).

મુસલમાનો પર ઝકાતનું અનિવાર્ય હોવું તે ઇસ્લામની ઉત્કૃષ્ટ ગુણો માંથી છે, જેમા તેના અનુયાયીઓનું ખાસ ધ્યાન રાખવામાં આવ્યું છે, કારણકે તેના ઘણા ફાયદા છે અને ગરીબ, જરૂરતમંદ મુસલમાનોની જરૂરીયાતો પુરી કરવાનો મૂળ સ્ત્રોત છે .

તેના ફાયદાઓમાંથી પહેલો ફાયદો: અમીર અને ગરીબ વચ્ચેના સ્નેહના બંધનને મજબૂત કરવો છે; કારણકે માનવીનું મન પ્રાકૃતિક રીતે જેણે તેના પર ઉપકાર કર્યું છે, તેનાથી પ્રેમ કરવા લાગે છે.

તેના ફાયદોઓ માંથી બીજો ફાયદો: નફસને પવિત્રતા પાક અને શુદ્ધતા, તેમજ તેને કંજુસાઈ તેમજ લાલચ જેવા લક્ષણોથી દૂર રાખવાનો છે, જેવું કે કુરઆન મજીદમાં અલ્લાહ તઆલાએ આ વાત તરફ ઈશારો કર્યો છે: (હે નબી)! તમે તેમના માલ માંથી દાન માટેની રકમ લઇ લો, જેના કારણે તમે તેમના (માલ) અને તેઓને (પોતે) પવિત્ર કરી દો.) [અત્ તૌબા: ૧૦૩].

તેના ફાયદાઓ માંથી ત્રીજો ફાયદો: મુસલમાનોમાં જરૂરતમંદ પ્રત્યે ઉદારતા, કરુણા અને દયા જેવા ગુણો અપનાવવા પર પ્રેરિત કરવા છે.

તેના ફાયદાઓ માંથી ચોથો ફાયદો: બરકતો નેઅમતો અને અલ્લાહ તરફથી શ્રેષ્ઠ બદલાની પ્રાપ્તિ, જેવું કે અલ્લાહ તઆલાએ કહ્યું: {અને જે કંઈ તમે અલ્લાહના માર્ગમાં ખર્ચ કરો છો તો તેની જગ્યાએ તે તમને વધુ આપે છે, અને તે સૌથી શ્રેષ્ઠ રોજી આપનાર છે.} [સબા: ૩૯], સહીહ હદીષમાં આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ કહ્યું: અલ્લાહ તઆલા કહે છે: «હે આદમની સંતાન! તું (અલ્લાહના માર્ગમાં) ખર્ચ કર, તારા ઉપર જરૂર ખર્ચ કરવામાં આવશે...» આ સિવાય ઝકાતના ઘણા ફાયદા છે. [૨] આ હદીષને ઈમામ મુસ્લિમ રહિમહુલ્લાહએ વર્ણન કરી છે, હદીષ નંબર (૯૯૩).

જે વ્યક્તિ ઝકાત કાઢવામાં આનાકાની તેમજ કંજુસાઈ કરશે, તો તે વ્યક્તિને સખત ચેતવણી આપવામાં આવી છે, અલ્લાહ તઆલાએ કહ્યું: {જે લોકો સોનું અને ચાંદી ભેગું કરીને રાખે છે અને અલ્લાહના માર્ગમાં ખર્ચ નથી કરતા, તેઓને તમે દુ:ખદાયી અઝાબની ખુશખબર આપી દો. ૩૪ જે દિવસે (સોનું અને ચાંદી) જહન્નમની આગમાં તપાવવામાં આવશે, પછી તેના વડે તેઓના કપાળોને, ખભાના ભાગને અને પીઠોને દઝાડવામાં આવશે, (તેઓને કહેવામાં આવશે) આ તે ખજાનો છે, જેને તમે પોતાના માટે ભેગી કરીને બનાવી રાખ્યો હતો, હવે! ભેગું કરેલું પોતાના ધનનો સ્વાદ ચાખો}. [અત્ તૌબા: ૩૪-૩૫], તે દરેક માલ, જેની ઝકાત કાઢવામાં ન આવી હોય, તે એવો ખજાનો છે, જેના દ્વારા કયામતના દિવસે તેના માલિકને અઝાબ આપવામાં આવશે, જેવું કે સહીહ હદીષમાં આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ કહ્યું: «જે વ્યક્તિ પાસે સોનું અને ચાંદી હોય અને તે (નિસાબ) સુધી પહોંચી જાય, છતાંય તેનો (ઝકાત)નો હક અદા ન કરે, તો કયામતના દિવસે તેના માલની આગની તખતીઓ બનાવવામાં આવશે, તે તખતીઓને આગમાં ગરમ કરવામાં આવશે, અને તેના વડે તેના કપાળ, તેની પીઠ અને તેના બાજુઓને દાગ આપવામાં આવશે, અને જ્યારે પણ તે તખતીઓ ઠંડી પડી જશે, ફરીવાર તેને ગરમ કરવામાં આવશે, આ અઝાબ એક એવા દિવસે આપવામાં આવશે, પચાસ હજાર વર્ષ બરાબર એક દિવસ હશે, (આ કાર્ય સતત ચાલુ રાખવામાં આવશે) અહીં સુધી કે બંદાઓ વચ્ચે નિર્ણય કરી દેવામાં આવશે, અને (અઝાબમાં સપડાયેલો વ્યક્તિ) જન્નત અથવા જહન્નમમાં પોતાનો માર્ગ જોઈ લેશે». [૩] આ હદીષને ઈમામ મુસ્લિમ રહિમહુલ્લાહએ વર્ણન કરી છે, હદીષ નંબર: (૯૮૭).

પછી આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ ઊંટ, ગાય અને બકરીઓના માલિકનું વર્ણન કર્યું, જે તેની ઝકાત આપતો નથી, અને જણાવ્યું કે તેને કયામતના દિવસે તે જાનવરો વડે અઝાબ આપવામાં આવશે.

સહીહ હદીષમાં અલ્લાહના પયગંબર સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ કહ્યું: «જે વ્યક્તિને અલ્લાહ તઆલાએ માલ આપ્યો અને તે તે માલની ઝકાત નથી આપતો, તો કયામતના દિવસે તેના તે (માલ)ને એક ઝેરી સાંપનું સ્વરૂપ આપવામાં આવશે, જેની આંખ પર બે કાળા દાગ હશે, જે સાંપ તેના ગળામાં પટ્ટાની માફક પહેરાવી દેવામાં આવશે, તે સાંપ તેના બન્ને ગાલ (જડબા) ને પકડીને કહેશે: હું તારો માલ છું, હું તારો ખજાનો છું», ફરી આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ અલ્લાહનો આ આદેશ પઢયો: (જે લોકો પર અલ્લાહ તઆલાએ પોતાની કૃપા કરી રાખી છે તે તેમાં પોતાની કંજુસીને પોતાના માટે ઉત્તમ ન સમજે, પરંતુ તે તેઓ માટે ખુબ જ ખરાબ છે, કયામતના દિવસે આ લોકોને પોતાની જે વસ્તુમાં કંજૂસાઈ કરી રહ્યા છે, તેનો હાર પહેરાવામાં આવશે). [આલિ ઇમરાન: ૧૮૦]. [૪] આ હદીષને ઈમામ બુખારી રહિમહુલ્લાહએ વર્ણન કરી છે, હદીષ નંબર: (૧૩૩૮).

ઝકાત ચાર પ્રકારની વસ્તુઓ પર અનિવાર્ય છે: જમીન માંથી ઉત્પન્ન થનાર ફળો અને અનાજ, ચરવાવાળા ઢોર, સોના અને ચાંદીમાં, વેપારના સામાનમાં.

અને આ ચારેય પ્રકારમાં દરેકનો એક નક્કી કરેલ નિસાબ (એવા માલ અથવા રોકકડ રકમને કહે છે, જેને એક નક્કી કરેલ પ્રમાણ સુધી પહોંચવું અને તેના પર એક વર્ષ પસાર થવું જરૂરી છે, અને તેનો પ્રમાણ ઓછા હોવા પર ઝકાત અનિવાર્ય થતી નથી) છે, નિસાબથી ઓછું હોય, તો તેમાં ઝકાત નથી, અનાજ અને ફળોનો નિસાબ: પાંચ વસક છે, એક વસકનો માપ સાઈઠ સાઅ છે, આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમના સાઅ પ્રમાણે, એટલા માટે ખજૂર, દ્રાક્ષ, ઘઉં, ચોખા, જુવાર અને આ પ્રમાણેના અનાજનો નિસાબ અલ્લાહના પયગંબર સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમના સાઅ પ્રમાણે ત્રણ સો સાઅ છે, અને એક સાઅનું પ્રમાણ જોવા જઈએ તો એક મધ્યસ્થ કદ ધરાવનાર વ્યક્તિનો એક ખોબો ચાર વખત થાય એટલું માપ એક સાઅનું હોય છે.

જો ખજૂરના ઝાડ અને ઉપજો કંઈ પણ ખર્ચ વગર જ સિંચાઇ, જેવું કે વરસાદના પાણીથી અથવા નહેર તેમજ ઝરણાંના પાણીથી, તો તેમાંથી દસમો ભાગ ઝકાત માટે કાઢવો જરૂરી છે.

પરંતુ જો તેને પાણી આપવા માટે ખૂબ મહેનત અને ખર્ચ કરવામાં આવે છે, જેમ કે પવનચક્કીઓ અને પમ્પિંગ મશીનો વગેરેથી, તો જરૂરી ઝકાતનો વિસમો ભાગ આપવામાં આવશે, જેમ કે અલ્લાહના પયગંબર સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ કહ્યું:

અને જ્યાં સુધી ચરવા વાળા ઢોર ઊંટ, ગાય અને બકરીનો નિસાબની વાત છે, તો આપ સલલ્લાહુ અલૈહિ વસલ્લમની સાચી હદીષોમાં વિસ્તૃત વર્ણન કરવામાં આવ્યું છે, જો તેને વિસ્તારપૂર્વક જાણવું હોય, તો તે આલિમો પાસે સવાલ કરી પૂછી શકે છે, જો તેણે ટૂંકમાં જાણવું હોય તો દરેકના ફાયદા માટે અમે જણાવી દઇએ છીએ.

ચાંદીનો નિસાબ, એક સો ચાળીસ મિષ્કાલ (૫૯૫ ગ્રામ) છે, સઉદી અરેબિયાના અરબી દિરહમ પ્રમાણે (૫૬) રિયાલ થાય છે.

સોનાનો નિસાબ વીસ મિષ્કાલ છે, જે ૧૧ સાઉદી પાઉન્ડ અને સાતમા ૩ ભાગ પાઉન્ડ અથવા ૯૨ ગ્રામ જેટલો થાય છે. જેની પાસે નિસાબ બેમાંથી એક અથવા બંને હોય અને તેના પર એક વર્ષ પસાર થઈ ગયું હોય, તેના માટે તેમના પર દસમાંનો ચોથો ભાગ અથવા ૨.૫% ઝકાત છે.

નફો વેપારના નિસાબની મૂડી પ્રમાણે થતો હોય છે, તેમાં નવા વર્ષની રાહ જોવાની જરૂર નથી, એ જ પ્રમાણે ઢોરનો નિસાબ પણ તેની મૂડી પ્રમાણે હોય છે, જો મૂળ ધન નિસાબના પ્રમાણ સુધી પહોંચી જાય, તો તેના માટે વર્ષની રાહ જોવાની જરૂર નથી.

સોનુ અને ચાંદીના નિસાબમાં તે (રોકકડ રકમ) નો પણ સમાવેશ થાય છે, જેને લોકો ઉપયોગમાં લેતા હોય છે, તેને દીનાર કહેવામાં આવે કે દિરહમ, ડોલર અથવા કરન્સી (ચલણ) ને કોઈ પણ નામ આપવામાં આવે, તેનો નિસાબ સોના અને ચાંદી પ્રમાણે જ ગણવામાં આવશે, જો તે રકમ સોના અને ચાંદીના નિસાબ સુધી પહોંચી જાય અને તેના પર એક વર્ષ પસાર થઈ જાય તો પછી તેમાં ઝકાત કાઢવી જરૂરી છે.

અને રોકકડ રકમ પ્રમાણે જ સ્ત્રીઓના સોના અને ચાંદીના ઘરેણાંનો પણ સમાવેશ થાય છે, ખાસ કરીને જ્યારે તે નિસાબ સુધી પહોંચી જાય અને તેના પર એક વર્ષ પસાર થઈ જાય, તો તેમાં ઝકાત કાઢવી જરૂરી છે, ભલેને તે ઉપયોગ માટે હોય કે કોઈને પહેરવા માટે આપ્યા હોય, આ જ આલિમોનો યોગ્ય મંતવ્ય છે, કારણકે આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ કહ્યું: «જે વ્યક્તિ સોના અને ચાંદીનો માલિક હોય અને તેની ઝકાત ન આપે તો ક્યામતના દિવસે તેના માટે આગની તકતીઓ બનાવવામાં આવશે». પહેલા વર્ણન કરેલ હદીષના અંત સુધી. [૫] આ હદીષને ઈમામ મુસ્લિમ રહિમહુલ્લાહએ વર્ણન કરી છે, હદીષ નંબર: (૯૮૭).

એટલા માટે પણ કે આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ એક સ્ત્રીના હાથમાં બે સોનાનાની બંગળીઓ જોઈને કહ્યું: «શું તેની ઝકાત આપો છો»? તેણીએ કહ્યું: ના, આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ કહ્યું: «શું તમે પસંદ કરશો કે અલ્લાહ તઆલા આ બન્ને બંગળીઓના બદલે કયામતના દિવસે તમને આગની બંગળીઓ પહેરાવે!» તેણીએ બન્ને બંગળીઓ ઉતારી દીધી અને કહ્યું: «આ બન્ને અલ્લાહ અને તેના રસૂલ માટે». [૬] આ હદીષ ઇમામ અબૂ દાવુદ રહિમહુલ્લાહએ વર્ણન કરી છે, હદીષ નંબર: (૧૫૬૩), અને ઇમામ નસાઈ રહિમહુલ્લાહએ વર્ણન કરી છે, હદીષ નંબર: (૨૨૭૦) હસન દરજ્જાની સનદ સાથે.

ઉમ્મે સલમા રઝી અલ્લાહુ અન્હા દ્વારા સાબિત છે કે તેઓ સોનાના દાગીના પહેરતા હતા, તેમણે આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમને પૂછ્યું: હે અલ્લાહના પયગંબર! શું તે પણ ખજાનો છે? આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ કહ્યું: «જે માલ ઝકાતના નિસાબ સુધી પહોંચી જાય અને તેની ઝકાત આપી દેવામાં આવે, તો તે માલ ખજાનો નથી». આ સમજૂતી માટે અન્ય હદીષો પણ વર્ણન થઈ છે. [૭] આ હદીષને ઈમામ અબૂ દાવુદ રહિમહુલ્લાહએ વર્ણન કરી છે, હદીષ નંબર: (૧૫૬૪).

જ્યાં સુધી ધંધાની વાત છે, અર્થાત્ તે સામાન, જે વેપાર માટે તૈયાર કરવામાં આવ્યો હોય, તો વર્ષના અંતમાં તેની કિંમતનો હિસાબ કરવામાં આવશે, અને તેની સંપૂર્ણ કિંમતનો અંદાજો કાઢી અઢી ટકા લેખે ઝકાત કાઢવામાં આવશે, ભલેને તેની ખરીદી કિંમતના બરાબર હોય કે તેનાથી વધુ હોય કે ઓછી હોય, કારણકે હઝરત સમુરહ રઝી અલ્લાહુ અન્હુ રિવાયત કરે છે, તેમણે કહ્યું: «આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ અમને તે માલમાં પણ ઝકાત કાઢવાનો આદેશ આપ્યો, જેને વેચાણ માટે તૈયાર કરત હતા», [૮] આ હદીષને ઈમામ અબૂ દાવુદ રહિમહુલ્લાહએ વર્ણન કરી છે, હદીષ નંબર: (૧૫૬૨).

આ આદેશના સંદર્ભમાં વેચાણની નિયતથી લીધેલી જમીનો, ઇમારતો, ગાડીઓ, પાણી ખેંચવાવાળી મશીન તેમજ અન્ય એવો સામાન જેને વેચાણ માટે તૈયાર કરવામાં આવ્યો છે, તેનો પણ સમાવેશ થાય છે.

જો કે તે ઇમારતો જેને ભાડે આપવા માટે તૈયાર કરવામાં આવી હોય, અને તે વેચાણ માટે ન હોય, તો તેના ભાડા પર ઝકાત અનિવાર્ય થશે, જ્યારે તે રકમ પર વર્ષ પસાર થઈ જાય, પરંતુ તે ઇમારતો પર ઝકાત નથી, કારણકે તે વેચાણ માટે તૈયાર કરવામાં નથી આવી, એવી જ રીતે પોતાના ઉપયોગ માટે ખરીદેલી ગાડીઓ તેમજ ભાડા માટે ખરીદેલી ગાડીઓ પણ જો તે વેચાણ માટે ન્ હોય તો તેના પર ઝકાત નથી, એટલા માટે કે તેના માલિકે તે ગાડીઓને પોતાના ઉપયોગ માટે ખરીદી છે.

જો ભાડે આપેલી ગાડીઓના માલિક પાસે ભાડાની રકમ અથવા અન્ય કોઈ પણ રીતે એટલી રકમ ભેગી થાય જે નિસાબ સુધી પહોંચતી હોય, તો એક વર્ષ પસાર થવા પર ઝકાત કાઢવી જરૂરી થશે, ભલેને તે રકમને તેણે ખર્ચ કરવું માટે અથવા લગ્ન માટે ભેગી કરી હોય અથવા મિલકત ખરીદવા માટે ભેગા કર્યા હોય, અથવા દેવું આપવા માટે રાખી હોય, અથવા અન્ય કોઈ હેતુસર હોય, શરીઅતની સામાન્ય દલીલો આ રીતે માલ ભેગી થવા પર તેના પર ઝકાત વાજિબ હોવાનો આદેશ લગાવે છે.

આલિમોના સાચા મંતવ્ય પ્રમાણે દેવું ઝકાત કાઢવાથી રોકતું નથી, જેવું કે ઉપરોક્ત પુરાવાથી સાબિત થાય છે.

એવી જ રીતે આલિમોના મતે અનાથ અને મંદબુદ્ધિ વ્યક્તિના માલમા પણ ઝકાત વાજિબ છે, જ્યારે તે માલ નિસાબ સુધી પહોંચી જાય અને એક વર્ષ પસાર થઈ જાય, તો તેમના જવાબદારો પર જરૂરી છે કે તેઓ તેમના તરફથી ઝકાત આપે; તેની દલીલ (પુરાવો) તે સામાન્ય હદીષો જે આ સંદર્ભમાં વર્ણન કરવામાં આવી છે, ઉદાહરણ તરીકે મઆઝ રઝી અલ્લાહુ અન્હુની હદીષ છે, કે જ્યારે નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ તેમને યમન તરફ રવાના કર્યા તો કહ્યું: «ખરેખર અલ્લાહ તઆલાએ તેમના માલ માંથી ઝકાત અનિવાર્ય કરી છે, જે માલ તેમના ધનવાન લોકો પાસેથી લેવામાં આવી તેમના ગરીબ લોકોને આપવામા આવશે». [૯] આ હદીષને ઈમામ બુખારી રહિમહુલ્લાહએ વર્ણન કરી છે, હદીષ નંબર: (૧૩૯૫), અને ઈમામ મુસ્લિમ રહિમહુલ્લાહએ વર્ણન કરી છે, હદીષ નંબર: (૧૯).

ઝકાત અલ્લાહનો હક છે, એટલા માટે તે લોકોને આપવું યોગ્ય નથી, જે તેના પાત્ર નથી, ન તો માનવી પોતાના માટે તે રકમથી કંઈ ફાયદો પ્રાપ્ત કરે અથવા કોઈ નુકસાન દૂર કરે, ન તો તેનાથી પોતાના માલની સુરક્ષા કરે અથવા પોતાની કોઈ મુસીબતને દૂર કરે, પરંતુ મુસલમાન પર વાજિબ છે કે તે ઝકાતની રકમ તેમના હકદાર સુધી પહોંચાડી તેમના પર ખર્ચ કરે; કારણકે તે જ તેના હકદાર છે, કોઈ બીજા હેતુ મતે તેને ઉપયોગમાં ન લે અને અલ્લાહ માટે ખુશી ખુશી તેને આપે, જેથી તે પોતાની જવાબદારી અદા કરી શકે અને ભવ્ય સવાબનો હકદાર બને તેમજ તેના માલમાં બરકત થાય.

અલ્લાહ તઆલાએ પોતાની મહાન કિતાબમાં ઝકાત કોને આપવામાં આવશે, તેની સ્પષ્ટતા કરી દીધી છે, જેમકે અલ્લાહએ કહ્યું: {અલ્લાહ તરફથી દાન ફકત ફકીરો માટે, લાચારો માટે, ઝકાત ઉઘરાવનારાઓ માટે, તેઓ માટે જેમના હૃદયો ઇસ્લામ તરફ ઝુકેલા છે, તથા કેદીઓને છોડાવવા માટે, દેવાદારો માટે, તથા અલ્લાહના માર્ગમાં અને મુસાફરો માટે ફરજિયાત છે અને અલ્લાહ જ્ઞાની તથા હિકમતવાળો છે} [અત્ તૌબા: ૬૦].

આ આયતના અંતમાં અલ્લાહના બે મહાન પવિત્ર નામો (અલ્ અલીમ અને અલ્ હકીમ)નું વર્ણન કરી, બંદાઓને ચેતવણી આપી કે તે પોતાના બંદાઓની સ્થિતિ જાણે છે કે કોણ તેમના માંથી ઝકાતના હકદાર છે, અને કોણ નથી અને તે તેમને અને તેમની રકમના આદેશ આપવામાં ખૂબ જ હિકમત વાળો છે, તે દરેક વસ્તુઓને તેની યોગ્ય જગ્યાએ મૂકે છે, (ભલેને કેટલાક આદેશોમાં તેની હિકમત છુપી હોય), જેથી તેની શરીઅતથી લોકો સંતુષ્ટ થઈ અને તેના આદેશનો સ્વીકાર કરે.

અલ્લાહથી દુઆ છે કે તે આપણને અને દરેક મુસલમાનોને દીનની સાચી સમજ આપે, તેની બાબતે સત્ય માર્ગની તૌફીક આપે, અને તેની પ્રસન્નતાના કામોમાં આગળ રહેવાની તૌફીક આપે, અને તેને ક્રોધિત કરવાવાળા કાર્યોથી આપણને દૂર રાખે, ખરેખર અલ્લાહ બધું જ સાંભળવાવાળો અને ખૂબ જ નજીક છે!

દરૂદ અને સલામતી ઉતરે અલ્લાહના પયગંબર અને તેના બંદા મુહમ્મદ પર તેમના પરિજનો અને તેમના સહાબાઓ પર.

વૈજ્ઞાનિક સંશોધન વહીવટના જનરલ પ્રમુખ

વલ્ ઇફતાઉ વદ્ દઅવતિ વલ્ ઇરશાદિ (ફતવો, આમંત્રણ અને માર્ગદર્શન)

પ્રતિષ્ઠિત શૈખ અબ્દુલ અઝીઝ બિન્ અબ્દુલ્લાહ બિન્ બાઝ

બીજી પુસ્તિકા

રમઝાનના રોઝા તેમજ કિયામુલૈલ (રાત જાગીને નમાઝ પઢવી)ની મહત્ત્વતાનું વર્ણન, સાથે સાથે એવી બાબતોનું વર્ણન, જેનાથી લોકો અજાણ હોઈ શકે છે.

"બિસ્મિલ્લાહિર્ રહમાનિર્ રહીમ" (શરૂ અલ્લાહના નામથી જે અત્યંત કૃપાળુ અને દયાળુ છે)

અબ્દુલ અઝીઝ બિન્ અબ્દુલ્લાહ બિન્ બાઝ તરફથી આ પુસ્તિકા તે દરેક મુસલમાનો માટે, જે તેને જુએ, અલ્લાહ મને અને તે દરેકને ઇમાનવાળાઓના માર્ગે ચલાવે, તેમજ મને અને તેમને કુરઆન અને સુન્નતની સાચી સમજ આપે, આમીન!

તમારા સૌ પર અલ્લાહની સલામતી, રેહમતો અને તેની બરકતો ઉતરે.

ત્યાર પછી: આ એક સંક્ષિપ્ત નસીહત છે, જેમાં રમઝાન અને કિયામ (તરાવીહ તેમજ તહજ્જુદ)ની મહત્ત્વતા, તેમજ તેમાં નેક કાર્યોમાં આગળ વધવાની મહત્ત્વતાનું વર્ણન સાથે કેટલીક એવી બાબતોનું વર્ણન, જેનાથી કેટલાક લોકો અજાણ હોય શકે છે.

અલ્લાહના પયગંબર સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ દ્વારા સાબિત છે કે આપ પોતાના સાથીઓને રમઝાનના મહિનાની ખુશખબર આપતા હતા અને કહેતા કે ખરેખર આ એવો મહિનો છે, જેમાં રહમતના તેમજ જન્નતના દરવાજા ખોલી દેવામાં આવે છે, અને જહન્નમના દરવાજા બંધ કરી દેવામાં આવે છે, અને શૈતાનોને કેદ કરી દેવામાં આવે છે, આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ કહે છે: «જ્યારે રમઝાન મહિનાની પહેલી રાત હોય છે, તો જન્નતના દરવાજા ખોલી નાખવામાં આવે છે અને તેનો કોઈ પણ દરવાજો બંધ હોતો નથી, તેમજ જહન્નમના દરવાજા બંધ કરી દેવામાં આવે છે, તેમાંથી એક પણ ખુલ્લો હોતો નથી, શૈતાનોને સાંકળોથી બાંધી દેવામાં આવે છે, અને એક પોકારવાવાળો પોકારે છે, હે નેકીની ઈચ્છા ધરનાર! આગળ વધ, અને બુરાઈની ઈચ્છા ધરાવનાર! રુકી જાઓ. અને અલ્લાહ તઆલા કેટલાક લોકોને જહન્નમથી આજાદ કરે છે અને આ કાર્ય (રમજાનની) દરેક રાત થતું હોય છે». [૧] આ હદીષને ઈમામ તિર્મિઝી રહિમહુલ્લાહએ વર્ણન કરી છે, હદીષ નંબર: (૬૮૨), અને ઈમામ ઈબ્ને માજહ રહિમહુલ્લાહએ વર્ણન કરી છે, હદીષ નંબર: (૧૬૪૨).

એવી જ રીતે આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ કહે છે: «રમઝાનનો મહિનો, બરકતવાળો મહિનો તમારી પાસે આવી પહોંચ્યો છે, અલ્લાહ તમારા પર પોતાની રહમત (કૃપા) ઉતારે છે, ગુનાહને ખત્મ કરે છે, દુઆઓને કબૂલ કરે છે અને નેકીઓમાં અલ્લાહ તઆલા તમારી સ્પર્ધાને જુએ છે અને પોતાના ફરિશ્તાઓ સમક્ષ તમારા પર ગર્વ કરે છે; જેથી અલ્લાહને પોતાની તરફથી નેકીઓ (સત્કાર્યો) કરીને બતાઓ; કારણકે સૌથી વધારે બદનસીબ તે વ્યક્તિ છે, જે આ પવિત્ર મહિનામાં અલ્લાહની રહમતથી વંચિત કરી દેવામાં આવે». [૨]આ હદીષને ઈમામ તબ્રાની રહિમહુલ્લાહએ "મુસ્નદ" માં વર્ણન કરી છે, હદીષ નંબર: (૨૨૩૮).

એવી જ રીતે આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ કહે છે: «જે વ્યક્તિ રમઝાનના રોઝા ઇમાન અને સવાબની આશાથી રાખશે, તો તેના પાછળના નાના ગુનાહ માફ કરી દેવામાં આવશે, અને જે વ્યક્તિ ઇમાન અને સવાબની આશાથી રમઝાનમાં કિયામ કરશે, તો તેના પણ પાછળના નાના ગુનાહ માફ કરી દેવામાં આવશે અને જે વ્યક્તિ ઇમાન તેમજ સવાબની આશાથી લૈલતુલ્ કદ્રમાં કિયામ કરશે, તેના પર પાછળના નાના ગુનાહ માફ કરી દેવામાં આવશે». [૩] આ હદીષને ઈમામ બુખારી રહિમહુલ્લાહએ વર્ણન કરી છે, હદીષ નંબર: (૨૦૧૪), અને ઈમામ મુસ્લિમ રહિમહુલ્લાહએ વર્ણન કરી છે, હદીષ નંબર: (૭૬૦).

એવી જ રીતે આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ કહે છે: «અલ્લાહ તઆલા કહે છે: ઈબ્ને આદમનું દરેક કાર્ય તેના માટે છે, તેની નેકીને દસ ગણાંથી લઈને સાતસો ગણી વધારી દેવામાં આવે છે, ફક્ત રોઝા સિવાય, તે મારા માટે છે, અને હું જ તેનો બદલો આપીશ; તે મારા માટે પોતાની મનેચ્છાઓ અને ખાવા-પીવાનું છોડે છે, રોજદાર માટે બે ખુશખબરો છે: એક ખુશખબર ઈફતારી વખતે અને બીજી ખુશખબર જ્યારે તે કયામતના દિવસે અલ્લાહ સાથે મુલાકાત કરશે ત્યારે. અને અલ્લાહની નજીક રોજદારના મોઢા માંથી આવતી દુર્ગંધ કસ્તુરીની કિંમતી ખુશબુ કરતા પણ વધુ પ્રિય છે». [૪] આ હદીષને ઈમામ ઈબ્ને માજહ રહિમહુલ્લાહએ વર્ણન કરી છે, હદીષ નંબર (૧૬૩૮).

એવી જ રીતે રમઝાનના રોઝા, કિયામની મહત્ત્વતા અને સામાન્ય રૂપે રોઝાની મહત્ત્વતા દર્શાવતી ઘણી હદીષો વર્ણન થઈ છે.

જેથી એક મોમિને આ મળેલ તકથી ફાયદો ઉઠાવવો જોઇએ અને રમઝાન મહિનામાં અલ્લાહ તઆલાએ નેકીઓ વિશે જે બરકતો અને રહમતો મૂકી છે, તેની પ્રાપ્તિ માટે મહેનત કરવી જોઈએ, અનુસરણ કરવામાં આગળ વધવુ જોઈએ, અને બુરાઈના કામોથી બચવુ જોઈએ, જે વસ્તુ અલ્લાહએ અનિવાર્ય કરી છે, તેને પૂર્ણ કરવાની ખૂબ કોશિશ કરવી જોઈએ, ખાસ કરીને પાંચ વખતની નમાઝ, કારણકે શહાદતની ભવ્ય ગવાહી પછી બીજી ફરજ નમાઝની પાંબદી છે, એટલા માટે દરેક મુસ્લિમ પુરુષ અને સ્ત્રી માટે જરૂરી છે કે તેને અદા કરવા માટે ખૂબ હિફાજત કરે અને તેને અત્યંત આજીજી પૂર્વક અને શાંતિપૂર્વક પઢવી જોઈએ.

અને પુરુષ માટે તો આ એક અગત્યની ફરજ છે કે નમાઝ તો અલ્લાહના ઘર એટલે કે મસ્જિદમાં જમાઅત સાથે અદા કરે, જેમાં અલ્લાહનું નામ બુલંદ કરવા અને તેમાં પોતાનું નામનો ઝિક્ર કરવાની ખાસ તાકીદ કરી છે. {અને નમાઝ કાયમ કરો અને ઝકાત આપતા રહો, અને રૂકુઅ કરવાવાળાઓ સાથે તમે પણ રૂકુઅ કરતા રહો}. [અલ્ બકરહ: ૪૩], બીજી એક જગ્યાએ અલ્લાહ તઆલાએ કહ્યું: {નમાઝોની પાબંદી કરો, ખાસ કરીને વચ્ચેની નમાઝની અને અલ્લાહ તઆલા માટે અદબ સાથે ઉભા રહો}. [અલ્ બકરહ: ૨૩૮], અને કહ્યું: {નિ:શંક આ ઈમાનવાળાઓએ સફળતા પ્રાપ્ત કરી લીધી. ૧ નિ:શંક આ ઈમાનવાળાઓએ સફળતા પ્રાપ્ત કરી લીધી ૨}. [અલ્ મુઅમિનૂન: ૧-૨] અહીં સુધી કહ્યું: {જેઓ પોતાની નમાઝોની દેખરેખ રાખે છે, આ જ લોકો વારસદાર છે, જેઓ ફિરદૌસ (જન્નતમાં ઉચ્ચ સ્થાનનું નામ) ના વારસદાર હશે, જ્યાં તેઓ હંમેશા રહેશે}. [અલ્ મુઅમિનૂન: ૯-૧૧] એવી જ રીતે આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ કહ્યું: «અમારી અને તે (કાફિરો) વચ્ચે એક વચન છે અને તે નમાઝ છે, તો જે વ્યક્તિ નમાઝ છોડી દે, તો તેણે કુફ્ર કર્યું». [૫] આ હદીષને ઈમામ તિર્મિઝી રહિમહુલ્લાહએ વર્ણન કરી છે, હદીષ નંબર: (૨૬૨૧), અને ઈબ્ને માજહ રહિમહુલ્લાહએ વર્ણન કરી છે, હદીષ નંબર: (૧૦૭૯).

એવી જ રીતે અગત્યની ફરજો માંથી એક ઝકાત આપવી પણ છે, જેમકે અલ્લાહએ કહ્યું: {અને તેમને આદેશ તો એ જ આપવામાં આવ્યો હતો કે તેઓ અલ્લાહની ઈબાદત એવી રીતે કરે કે બંદગી તરફ એકત્રિત થઇ ફક્ત તેના માટે જ કરે, અને નમાઝને કાયમ કરે., તેમજ ઝકાત આપતા રહો, આ જ સાચો દીન છે}. [અલ્ બૈય્યિનહ: ૫], બીજી એક જગ્યાએ અલ્લાહ તઆલાએ કહ્યું: {નમાઝ કાયમ પઢતા રહો, ઝકાત આપતા રહો અને અલ્લાહના પયગંબરની આજ્ઞાનું પાલન કરતા રહો, જેથી તમારા પર દયા કરવામાં આવે}. [અન્ નૂર: ૫૬].

અલ્લાહની કિતાબ અને સુન્નત દ્વારા આ વાત સાબિત છે કે જે પોતાના માલની ઝકાત નથી આપતો તેના માલ દ્વારા જ તેને ક્યામતના દિવસે અઝાબ આપવામાં આવશે.

નમાઝ અને ઝકાતની અગત્યની ફરજો પછી એક ફરજ રમઝાનના રોઝા છે, તે પણ ઇસ્લામના વર્ણવેલ પાંચ સિદ્ધાંતો માંથી એક સિદ્ધાંત છે, આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ દ્વારા વર્ણન છે: «ઇસ્લામ પાંચ વસ્તુઓ પર આધારિત છે: તે વાતની સાક્ષી આપવી કે અલ્લાહ સિવાય કોઈ સાચો ઇલાહ નથી અને મુહમ્મદ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ અલ્લાહના પયગંબર છે, નમાઝ કાયમ કરવી, ઝકાત આપવી, રમઝાન રોઝા રાખવા, અને બૈતુલ્લાહનો હજ્જ કરવો». [૬] આ હદીષને ઈમામ બુખારી રહિમહુલ્લાહએ વર્ણન કરી છે, હદીષ નંબર: (૮) અને ઈમામ મુસ્લિમ રહિમહુલ્લાહએ વર્ણન કરી છે, હદીષ નંબર: (૧૬).

એટલા માટે દરેક મુસલમાન માટે જરૂરી છે કે તે પોતાની નમાઝ, રોઝા અને કિયામને પ્રતિબંધિત વાતો અને કાર્યોથી બચાવીને રાખે; કારણકે રોઝાનો એક અગત્યનો હેતુ અલ્લાહનું અનુસરણ અને તેણે અવૈધ કરેલ કાર્યોથી બચવું, અનુસરણમાં મનેચ્છાઓ વિરુદ્ધ નફસ સાથે પ્રયત્ન તેમજ રોઝો તોડવાવાળી વસ્તુઓથી બચીને રહેવું, રોઝો ફક્ત ખાવાપીવાથી રુકી જવું અને રોઝો તોડવાવાળી વસ્તુઓથી રુકી જવાનું નામ નથી; એટલા માટે સાચી હદીષમાં આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ કહ્યું: «રોઝો એક ઢાલ (આડ) છે, તમારા માંથી જે વ્યક્તિ પણ રોઝો રાખે, ન તો તે કોઈ અશ્લિલ કાર્ય કરે અને ન તો કોઈને બોલે, જ્યારે કોઈ તેને ગાળો આપે અથવા ઝઘડો કરે, તો તેને કહી દે કે હું રોઝોથી છું», એવી જ રીતે આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ દ્વારા સહીહ હદીષથી સાબિત છે, આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ કહ્યું: «જે જૂઠું બોલે, તેના આધાર પર અમલ કરે અને અજ્ઞાનતાથી ન બચે, તો અલ્લાહ તઆલાને કોઈ જરૂર નથી કે તે ખાવા અને પીવાનું છોડી દે». એટલા માટે આ આયતો અને અન્ય દલીલો દ્વારા જાણવા મળે છે કે રોજેદાર પર જરૂરી છે કે તે પોતાને તે દરેક વસ્તુઓથી બચાવે, જે અલ્લાહએ તેના પર પ્રતિબંધિત કરેલી છે, અને તે દરેક વસ્તુની પાંબદી કરે, જે અલ્લાહએ તેના પર અનિવાર્ય કરી છે, અને એવી જ રીતે તેનાથી માફી, જહન્નમથી છુટકારો અને રોઝા તેમજ કિયામ કબૂલ થવાની આશા કરી શકાય છે. [૭] આ હદીષને ઈમામ બુખારી રહિમહુલ્લાહએ વર્ણન કરી છે, હદીષ નંબર: (૧૯૦૪), અને ઈમામ નસાઈ રહિમહુલ્લાહએ વર્ણન કરી છે, હદીષ નંબર: (૨૫૩૭). [૮] આ હદીષને ઈમામ બુખારી રહિમહુલ્લાહએ વર્ણન કરી છે, હદીષ નંબર: (૧૮૦૪), અને ઈમામ અબૂ દાઊદ રહિમહુલ્લાહએ વર્ણન કરી છે, હદીષ નંબર: (૨૩૬૨).

કેટલાક એવા આદેશો, જેનાથી ઘણા લોકો અજાણ હોય શકે છે:

તેમાંથી: મુસલમાન પર જરૂરી છે કે તે રોઝો ઇમાન સાથે અને સવાબની આશા કરતા રાખે, દેખાડો, વિખ્યાતી, લોકોનું અનુસરણ અથવા પોતાના ઘરવાળાઓ અથવા પોતાના શહેરી વાસીઓનું અનુસરણ કરતા ન રાખે, પરંતુ તેના માટે જરૂરી છે કે રોઝા માટે પ્રોત્સાહિત કરવાવાળી વસ્તુઓને ધ્યાનમાં રાખીને રોઝો રાખે, તેનું ઇમાન હોવું જોઈએ કે અલ્લાહએ તેના પર રોઝા રાખવા જરૂરી કર્યા છે, અને અલ્લાહ પાસે સવાબની આશા રાખી રોઝો રાખવામાં આવે, એવી જ રીતે રમઝાનના કિયામુલ્લૈલ પણ ઇમાન અને અલ્લાહ પાસે સવાબની આશા રાખી કરવા જોઈએ, ન કે બીજા અન્ય હેતુ ખાતર; એટલા માટે આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ કહ્યું: «જે વ્યક્તિ રમઝાનના રોઝા ઇમાન અને સવાબની આશાથી રાખશે, તો તેના પાછલા નાના ગુનાહ માફ કરી દેવામાં આવશે, અને જે વ્યક્તિ ઇમાન અને સવાબની આશાથી રમઝાનમાં કિયામ કરશે, તો તેના પણ પાછળના નાના ગુનાહ માફ કરી દેવામાં આવશે અને જે વ્યક્તિ ઇમાન તેમજ સવાબની આશાથી લૈલતુલ્ કદ્રમાં કિયામ કરશે, તેના પર પાછળના નાના ગુનાહ માફ કરી દેવામાં આવશે». [૯] આ હદીષને ઈમામ બુખારી રહિમહુલ્લાહએ વર્ણન કરી છે, હદીષ નંબર: (૨૦૧૪), ઈમામ મુસ્લિમ રહિમહુલ્લાહએ વર્ણન કરી છે, હદીષ નંબર: (૭૬૦).

એવી જ રીતે તે બાબતો જેનાથી લોકો અજાણ છે તેમાંથી એક: કેટલીક વખતે કોઈની ઇજાથી નીકળતું લોહી અથવા નશ્કોરી ફૂટવાથી અથવા ઉલટી થવાથી તેમજ પાણી અને પેટ્રોલ ઈચ્છા વગર જ રોજદારના હલક સુધી પહોંચી જાય છે, તો આ દરેક બાબતોથી રોઝો તૂટતો નથી, જો કોઈ જાણી જોઈને ઉલટી કરે, તો તેનાથી રોઝો તૂટી જશે, કારણકે આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ કહ્યું: «જેને (અચાનક) ઉલટી આવી જાય, તેના પર રોઝાની કઝા નથી અને જાણી જોઈને ઉલટી કરે, તો તેના પર રોઝાની કઝા કરવી જરૂરી છે». [૧૦] આ હદીષને ઈમામ તિર્મિઝી રહિમહુલ્લાહએ વર્ણન કરી છે, હદીષ નંબર: (૭૨૦), અને ઈબ્ને માજહ રહિમહુલ્લાહએ વર્ણન કરી છે, હદીષ નંબર: (૧૬૭૬).

એવી જ રીતે તેમાંથી આ પણ એક બાબત છે: ક્યારેક રોજદાર જનાબતના ગુસલને ફજરના સમય સુધી વિલંબ કરી દે છે, એવી જ રીતે કેટલીક સ્ત્રીઓ હૈઝ અને નિફાસ (પ્રસૂતિ) થી પાક થવા માટે ગુસલને પણ ફજર સુધી વિલંબ કરે છે, જો તે સ્ત્રીએ ફજર પહેલા પાકી જોઈ લીધી હોય, તો તેના પર રોઝા રાખવો જરૂરી છે, અને તે જ સ્થિતિમાં ફજર થયા પછી પણ ગુસલ કરી શકે છે, પરંતુ સૂર્યોદય સુધી ગુસલ કરવામાં વિલંબ કરવો તેના માટે જાઈઝ નથી, પરંતુ તેના માટે જરૂરી છે કે તે ગુસલ કરી, સૂર્યોદય પહેલા જ ફજરની નમાઝ પઢી લે, એવી જ રીતે જે જુનબી (નાપાક) હોય, તેના માટે પણ જાઈઝ નથી કે સૂર્યોદય પછી ગુસલ કરે, પરંતુ તેના માટે જરૂરી છે કે ગુસલ કરી અને સૂર્યોદય પહેલા જ ફજરની નમાઝ પઢે અને પુરુષે ગુસલ જલ્દી કરવું જોઈએ, જેથી તે ફજરની નમાઝ જમાઅત સાથે પઢી શકે.

જે કારણોથી રોઝો તૂટતો નથી તેમાંથી એક: લોહીની તપાસ કરાવવી, શક્તિના ઈન્જેક્શ સિવાય અન્ય સારવાર માટે ઇન્જેક્શ લગાવવું, પરંતુ જો જરૂર ન હોય, તો ઈફતાર સુધી રાહ જોવી શ્રેષ્ઠ છે, કારણકે આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ કહ્યું: «જે વસ્તુમાં તમને શંકા હોય તેને છોડી દો અને તે વસ્તુ પર અમલ કરો જેના પર તમને શંકા ન હોય». [૧૧] આ હદીષને ઈમામ તિર્મિઝી રહિમહુલ્લાહએ વર્ણન કરી છે, હદીષ નંબર: (૨૫૧૮).

એવી જ રીતે આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ કહ્યું: «જે શંકાસ્પદ વસ્તુઓથી બચી ગયો, તેણે પોતાના દીન અને પ્રતિષ્ઠતાની બચાવી લીધી». [૧૨] આ હદીષને ઈમામ બુખારી રહિમહુલ્લાહએ વર્ણન કરી છે, હદીષ નંબર: (૫૨), ઈમામ મુસ્લિમ રહિમહુલ્લાહએ વર્ણન કરી છે, હદીષ નંબર: (૧૫૯૯).

તે કાર્યો, જેના વિશે કેટલાક લોકો જાણતા નથી તેમાંથી એક: નમાઝમાં શાંતિ ન રાખવી, તે ફર્ઝ નમાઝ હોય કે નફીલ નમાઝ, અલ્લાહના પયગંબર સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ દ્વારા સાચી હદીષમાં વર્ણન થયું છે કે શાંતિ, નમાઝના પિલર માંથી એક પિલર છે, જેના વગર નમાઝ થતી નથી, અર્થાત્ નમાઝમાં શાંતિ, ખુશૂઅ અને ખુઝૂઅ (ધ્યાન કેન્દ્રિત કરી) નમાઝ પઢવી, અહીં સુધી કે શરીરના દરેક સાંધા તેની જગ્યા સુધી ન પહોંચી જાય, ઘણા લોકો રમઝાનમાં તરાવીહની નમાઝ એ પ્રમાણે પઢે છે કે ન તો તે સમજી શકે છે કે શું પઢે છે અને ન તો અન્ય લોકો, અને શાંતિ સહેજ પણ નથી હોતી, પરંતુ કાગડાના દાણા ચરવા માફક ઉતાવળથી નમાઝ પઢતા હોય છે, આ પ્રમાણેની નમાઝ ખરેખર અમાન્ય છે અને તેને પઢવાવાળા પર ગુનાહ થશે તેમજ તેને કંઈ સવાબ પણ નહીં મળે.

તે કાર્યો, જેના વિશે કેટલાક લોકો જાણતા નથી તેમાંથી એક: કેટલાક લોકોનું અનુમાન લગાવવું કે તરાવીહની નમાઝ વીસ કરતા ઓછી ન હોય શકે, અને કેટલાક લોકોનું એવું અનુમાન કે અગિયાર અને તેર થી વધારે નથી પઢી શકતા આ સૌ અનુમાન ખોટા છે જે કે દલીલો વિરુદ્ધ ગણવામાં આવશે.

અલ્લાહના પયગંબર સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ દ્વારા સાબિત છે કે રાતની નમાઝની સંખ્યામાં છૂટ છે, તેમાં એક ખાસ સંખ્યા પર જોર આપવામાં નથી આવ્યું, જેનો વિરોધ ન કરી શકાય, પરંતુ આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ દ્વારા સાબિત છે કે આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ રાત્રે ક્યારેક અગિયાર, ક્યારેક તેર અને ક્યારેક તેના કરતાં પણ ઓછી નમાઝો પઢી છે, રમઝાનમાં પણ અને રમઝાન વગર પણ, અને જ્યારે આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમને રાતની નમાઝ વિશે પૂછવામાં આવ્યું તો આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ કહ્યું: «બે બે રકઅત (કરી) નમાઝ પઢો અને જ્યારે તમારા માંથી કોઈને સવાર પડી જવાનો ભય હોય, તો એક રકઅત પઢી લે; અને તે પઢેલી એક રકઅતની નમાઝને વિત્તરની નમાઝ કરી લે». તેને માન્ય હોવામાં ઇમામ બુખારી ઈમામ મુસ્લિમ એકમત છે. [૧૩] આ હદીષને ઈમામ બુખારી રહિમહુલ્લાહએ વર્ણન કરી છે, હદીષ નંબર: (૯૪૬), અને ઈમામ મુસ્લિમ રહિમહુલ્લાહએ વર્ણન કરી છે, હદીષ નંબર: (૭૪૯).

જોવા જઈએ તો આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ રાતની નમાઝની ચોક્કસ સંખ્યા વર્ણન ન કરી, ન તો રમઝાન માટે અને ન તો રમઝાન સિવાય, એટલા માટે કેટલાક સહાબાઓએ ઉમર રઝી અલ્લાહુ અન્હુના સમયમા કેટલીક વખતે ત્રેવીસ અને કેટલીક વખતે અગિયાર પણ પઢી છે, આ બધું ઉંમર રઝી અલ્લાહુ અન્હુ અને તેમના સમયના સહાબાઓ દ્વારા સાબિત છે.

કેટલાક સલફ રમઝાનમાં છત્રીસ રકઅત અને ત્રણ વિતર પઢતા હતા અને કેટલાક એકતાલીસ રકઅત પઢતા હતા, શૈખુલ્ ઇસ્લામ ઈબ્ને તૈયમિયહ રહિમહુલ્લાહ અને બીજા આલિમોએ પણ ઇલ્મ વાળાઓથી આ વાત નકલ કરી છે અને કહ્યું કે આ વિશે સાચી વાતમાં છૂટ છે અને એ પણ કહ્યું કે જે વ્યક્તિ કિરઅત, રુકૂઅ અને સિજદા લાંબા કરશે તેના માટે શ્રેષ્ઠ છે કે તે રકઅતનો સંખ્યા ઓછી કરે, અને જે વ્યક્તિ રુકૂઅ કિરઅત અને સિજદા નાના કરે, તો તે રકઅતની સંખ્યામાં વધારો કરે, આ તેમની વાતની સમજૂતી છે.

જે વ્યક્તિ આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમની સુન્નત પર ધ્યાન કરે, તો તેને જાણવા મળશે કે સૌથી શ્રેષ્ઠ અને બહેતર એ જ છે કે અગિયાર કે તેર રકઅત પઢવામાં આવે, ભલેને રમઝાન હોય કે રમઝાન વગર; કારણકે આ તરીકો આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમના વધુ પ્રમાણના તરીકા મુજબ ગણાશે અને આ તરીકો નમાઝ પઢનાર માટે વધુ સરળ અને ખુશૂઅ અને ખુઝૂઅ સૌથી નજીક છે અને જે વ્યક્તિ તેના કરતાં વધારે પઢવા ઈચ્છે તો કોઈ વાંધા વગર અને કંઈ તકલીફ વગર પઢી શકે છે, જેવું કે આગળ વર્ણન થઈ ચૂક્યું છે.

જે વ્યક્તિ રમઝાનમાં કિયામ કરવા માટે ઇમામ સાથે જ ઉભો થયો હોય તો શ્રેષ્ઠ છે કે તે ઇમામ સાથે જ કિયામ પૂર્ણ કરે; કારણકે આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ કહ્યું: «જે વ્યક્તિ ઇમામ સાથે કિયામ કરે અહીં સુધી કે તે નમાઝ પૂર્ણ કરી સલામ સુધી ઇમામ સાથે રહ્યો તો તેને આખી રાત કિયામ કરવાનો સવાબ મળશે». [૧૪] આ હદીષને ઈમામ તિર્મિઝી રહિમહુલ્લાહએ વર્ણન કરી છે, હદીષ નંબર: (૮૦૬), અને ઈમામ અબૂ દાવુદ રહિમહુલ્લાહએ વર્ણન કરી છે, હદીષ નંબર: (૧૩૭૫).

સમગ્ર મુસ્લિમોએ આ પવિત્ર મહિનામાં વિવિધ ઈબાદતમાં મહેનત કરવી જાઈઝ છે, જેવું કે નફિલ નમાઝ, ચિંતન મનન કરતા કુરઆન મજીદ પઢવું, વધુમાં વધુ તસ્બીહ (સુબ્હાનલ્લાહ) કરવી, તહલીલ (લા ઇલાહ ઇલ્લલ્લાહ) કરવી, તહમીદ (અલ્ હમ્દુ લિલ્લાહ) પઢવી, તકબીર (અલ્લાહુ અકબર) કહેવુ, દુઆ અને ઇસ્તિગફાર, નેકીનો આદેશ આપવો, બુરાઈથી રોકવું, અલ્લાહ તરફ લોકોને બોલાવવા, લાચાર અને ગરીબ લોકોની મદદ, માતાપિતાની આજ્ઞાનું પાલન, સિલા રહેમી, પાડોશીનું સન્માન, બીમારની ખબરગીરી કરવી અને અન્ય નેક કામ કરવા; જેવું કે આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમનો આદેશ પાછળ વર્ણન થઈ ચૂક્યો છે, જેમાં આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ કહ્યું: «નેકીઓમાં અલ્લાહ તઆલા તમારી સ્પર્ધાને જુએ છે અને પોતાના ફરિશ્તાઓ સમક્ષ તમારા પર ગર્વ કરે છે; જેથી અલ્લાહને પોતાની તરફથી નેકીઓ (સત્કાર્યો) કરીને બતાઓ; કારણકે સૌથી વધારે અભાગી તે વ્યક્તિ છે, જે આ પવિત્ર મહિનામાં અલ્લાહની રહમતથી વંચિત કરી દેવામાં આવે». [૧૫] આ હદીષને ઈમામ તબ્રાની રહિમહુલ્લાહએ "મુસ્નદ" માં વર્ણન કરી છે, હદીષ નંબર: (૨૨૩૮).

એવી જ રીતે આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ દ્વારા વર્ણન કરવામાં આવ્યું, આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ કહ્યું: «જે વ્યક્તિએ આ મહિનામાં કોઈ નેકીના કામ દ્વારા અલ્લાહની નિકટતા પ્રાપ્ત કરી, જે બીજા સમયમાં ફરજ અદા કરવા બરાબર છે, અને જે કોઈ ફરજ અદા કરે તો જાણે કે તેણે અન્ય સમયમાં સિત્તેર ફરજો અદા કરી». [૧૬] આ હદીષને ઈમામ ઈબ્ને ખુઝૈમહ રહિમહુલ્લાહએ તેમની સહીહમાં વર્ણન કરી છે, હદીષ નંબર: (૧૮૮૭).

જેવું કે સહીહ હદીષમાં આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમનું વર્ણન છે: «રમઝાનમાં ઉમરહ કરવા હજ કરવા બરાબર છે, અથવા કહ્યું: મારી સાથે હજ કરવા બરાબર છે». [૧૭] આ હદીષને ઈમામ બુખારી રહિમહુલ્લાહએ વર્ણન કરી છે, હદીષ નંબર: (૧૮૬૩).

આ પવિત્ર મહિનામાં નેકીઓના વિવિધ કામોમાં એકબીજા સાથે સ્પર્ધાની મહત્ત્વતા વિશે ઘણી હદીષો વર્ણન કરવામાં આવી છે.

અલ્લાહથી દુઆ છે કે તે આપણને અને દરેક મુસલમાનોને તે દરેક કામ કરવાની તૌફીક આપે, જે તેની પ્રસન્નતાનું કારણ હોય, આપણા રોઝા અને કિયામને કબૂલ કરે, આપણી સ્થિતિને સુધારે, અને આપણને દરેક પથભ્રષ્ટ માર્ગથી બચાવે,અમે અલ્લાહથી દુઆ કરીએ છીએ કે તે મુસ્લિમ શાસકોની ઇસ્લાહ કરે, અને સત્ય પર તે સૌને ભેગા કરી દે, ખરેખર અલ્લાહ જ આ વાત પર કુદરત ધરાવે છે અને તે જ તેની શક્તિ પણ ધરાવે છે.

વસ્સલામુ અલયકુમ વરહમતુલ્લાહિ વ બરકાતુહુ. અર્થ: તમારા પર અલ્લાહની સલામતી થાય, તેની બરકતો અને રહમતો ઉતરે.